‘મિમિક્રી તો એક કળા છે, PM એ પણ કરી હતી..’ વિવાદમાં ફસાયેલા સાંસદ કલ્યાણ બેનર્જીએ કરી સ્પષ્ટતા

0
9
કહ્યું - હું સભાપતિ ધનખડનું સન્માન કરું છું
કલ્યાણ બેનર્જીએ કહ્યું કે પીએમ મોદીએ પણ આવી રીતે મિમિક્રી કરી હતી ત્યારે કોઈ કેમ ના બોલ્યું

નવી દિલ્હી : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રીનો વિવાદ વકરતો જઈ રહ્યો છે ત્યારે આ મામલે ફસાયેલા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ તેમના નિવેદન પર સ્પષ્ટતા કરી હતી. આ મામલે સ્પષ્ટતા કરતાં કલ્યાણ બેનર્જીએ કહ્યું કે મારો ઈરાદો કોઇને ઠેસ પહોંચાડવાનો નહોતો. ધનખડ સર મારાથી વરિષ્ઠ છે. મને એ નથી સમજાતું કે તેમણે આ મામલાને પોતાની સાથે કેમ જોડી લીધો. બેનર્જીએ આ મામલે મિમિક્રીને પોતાની કળા બતાવતા કહ્યું કે પીએમ મોદીએ પણ આવું સંસદમાં પહેલા કર્યું હતું. હું તો સભાપતિ ધનખડનું ઘણું સન્માન કરું છું. કલ્યાણ બેનર્જીએ કહ્યું કે મિમિક્રી એક કળા છે અને તેને કોઈના અપમાન સાથે ન જોડવી જોઇએ. પીએમ મોદીએ પણ લોકસભામાં મિમિક્રી કરી હતી. હું તમને તેનો વીડિયો બતાવી શકું છું. તેમણે કહ્યું કે પીએમ મોદીએ 2014 અને 2019માં આવું કર્યું. તો પછી મારા કેસને ગંભીરતાથી કેમ લેવાયો? ઉલ્લેખનીય છે કે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડની મિમિક્રી મામલે ચોતરફી ટીકાનો સામનો કરનારા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જી સામે પોલીસે પણ કેસ દાખલ કર્યો છે. આ મામલે અભિષેક ગૌતમ નામના એક વકીલે ફરિયાદ દાખલ કરી હતી અને તેણે સાંસદ કલ્યાણ બેનર્જી સામે કાર્યવાહીની માગ કરી હતી.