
આજે ચૈત્રી નવરાત્રી નો સાતમો દિવસ એટલે કે મા નવદુર્ગાના કાલરાત્રિનાં સ્મરણનો મહિમા! કાળ જ્યારે ચારે બાજુથી જકડે ત્યારે મા સિવાય કોઈ સાંત્વના આપી શકે નહીં! એ આ સ્વરૂપનો સંદેશ છે, અને આ સ્વરૂપની ભયાનકતાનું કારણ એ છે કે,તે પોતાનાં આશ્રિતનાં શત્રુનો વિનાશ કરવા કાળથી પણ ભયાનક સ્વરૂપ ધારણ કરે છે. પરંતુ સાંપ્રત સમયને જોતાં એવું લાગે કે દરેકને માથે કોઈ ને કોઈ રુપે કાળ તલવાર લઈને ઝળુંબી રહ્યો છે! પણ એક સહજ પ્રશ્ન એ પણ થાય કે, કાળની આટલી ભયાનકતા આવી કેમ? અને જવાબ માટે વિશે સુક્ષ્મ ચિંતન કરીએ તો શીખ, શિખામણ, આજ્ઞા, એ બધા શબ્દ હવે શબ્દકોશમાં જ રહી જશે એવું લાગે છે. કારણ કે માત્ર આપણો દેશ નહીં વિશ્વ આખું અત્યારે દિશાહીન જીવન જીવી રહ્યું છે. સુખ નામનો પડછાયો પકડવા એની પાછળ એટલું દોડ્યાં કે હવે ખુદ સ્વયંને પાછળ મૂકી દીધાં છે, એનો ખ્યાલ જ ન રહ્યો! અને આ ભોગે એવો ભરડો લીધો, કે રોગ રોગ અને રોગ સમાજમાં જ્યાં જુઓ ત્યાં નિતનવા રોગ વિશે સાંભળવા મળે છે. લગભગ દરેક જણ એમ બોલતું હશે કે આ કળિયુગની અસર છે! પણ કળિયુગ લાવ્યું કોણ? માત્ર ને માત્ર આપણે! એ સિવાય કળિયુગનો આટલો વિસ્તાર વધે નહીં. આપણે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, હૃદય ચક્ર અને વિશુદ્ધ ચક્રની પુષ્ટિ કઈ રીતે થઈ શકે, અથવા તો તેને સક્રિય કરી ઊર્જાને સ્પંદિત કરી ઉપર ઉઠાવવાની વાત કરી હતી, ત્યારે મૂલાધાર પર ધીરજ ધરવી, સ્વાધિષ્ઠાન પર સ્વયં પર ધ્યાન કેન્દ્રિત કરી પોતે પશુ નહીં પણ માનવ છે, એની સહજ સમજ કેળવવા સંયમી બનવું. હ્રદય ચક્રમાં પોતે એક જ નહીં, પણ અન્ય માટે પણ એનું હ્રદય ધડકવું જોઈએ! માટે જીવને અહમ આગ્રહ અને અપેક્ષા ઉપેક્ષા છોડવા તૈયાર કર્યો! અને આમ માત્ર સિદ્ધી નહીં પણ સાથે સાથે શુદ્ધિનું મહત્વ પણ ટાંક્યું! મનુષ્યના સ્થૂળ શરીરને પોષણ આપવા માટે મુખ દ્વારા ખોરાક અંદર જાય, અને નીચેની તરફ એટલે કે ગળામાંથી થઈને જઠરમાં પહોંચે છે. જીભના બે મુખ્ય કામ છે એક સ્વાદ, અને બીજું વાણી પ્રસારણ, અને આ બંને કાર્ય જો સંયમપૂર્વક કરવામાં આવે તો જ નીચેના ચક્રો સંતુલિત માત્રામાં સક્રિય રહે. આ ચક્ર જાગરણની વાતમાં કટી ભાગથી નીચેના ભાગનું કોઈ એટલું મહત્વ દર્શાવાયું નથી અને ત્યાં કોઈ ચક્રો પણ બતાવ્યા નથી!: પરંતુ આપણે આજે જે છઠ્ઠા ચક્રની વાત કરવાના છીએ એમાં આ બે ચરણનું આચરણ જો સદગુરુની આજ્ઞા મુજબ કે આપણા વૈદિક શાસ્ત્રોમાં લખાયા મુજબ મનુષ્ય એટલે કે માનવીએ કંઈ રીતે જીવવું, એ મુજબ હોય તો જ આ આજ્ઞા ચક્ર સક્રિય થાય! તો ચાલો જોઈએ આજ્ઞા ચક્રની શાસ્ત્રીય વાતો.
આજ્ઞા ચક્ર શરીરનું હિન્દુ પરંપરા મુજબ છઠ્ઠું ચક્ર છે, અને અચેતન મનની સ્થિતિ દર્શાવે છે, એટલે મનની પોતાની જાત માટે કોઈ માંગ રહેતી નથી, અને કહેવાય છે, આટલાં જાગરણ પછી સાધકને ત્રીજી આંખ સમજણની આંખ પ્રાપ્ત થાય છે, અને એ તેને પોતાનાં અંતર્જ્ઞાન સાથે જોડવાં, તેમજ વિશ્વ સાથે વાતચીત કરવાની ક્ષમતા આપવાં મદદ કરે છે. જો આ ચક્ર સંતુલિત રીતે સક્રિય થયું હોય તો ભવિષ્યના સંદેશાઓ પણ ઝીલાય છે.
આજ્ઞા ચક્રનું સ્થાન બે ભમરની વચ્ચે કપાળની મધ્યમાં સ્થિત છે, તે સક્રિય થતાં છઠ્ઠી ઈન્દ્રિય જાગી ગઈ એમ પણ કહેવાય છે. તેનો બીજ મંત્ર ઓમ છે, અથવા “પ્રણવ ઓમ”, સર્વોચ્ચ ધ્વનિ. જે ભૌતિક શરીરનો ભાગ નથી, પરંતુ પ્રાણિક પ્રણાલીનો ભાગ માનવામાં આવે છે, એટલે બ્રહ્માંડ ની ઉત્પત્તિ આ નાદ બ્રહ્મ દ્વારા થઈ હતી! જેને ગોડ પાર્ટિકલ પણ કહે છે. આ સ્થાનને સાધક જેની શરણાગતિ સ્વીકારી છે, એવાં સદગુરુ માટે એક પવિત્ર સ્થળ બનાવે છે, જ્યાં હિન્દુઓ તેના માટે આદર દર્શાવતાં તિલક બિંદી લગાવે છે.
આજ્ઞા ચક્રને “બે પાંખડીઓના હીરા જેવા કમળ તરીકે વર્ણવવામાં આવ્યું છે, જેની અધ્યક્ષતા હંસા દેવતા અને સુષુમ્ણા શક્તિ છે. એવું કહેવાય છે કે, તે ઇડા અને પિંગલાનું પ્રતિનિધિત્વ કરે છે, જે મુગટ ચક્ર, સહસ્રારમાં ઉગતા પહેલા મધ્ય સુષુમ્ણા નાડીને મળે છે. કમળની ડાબી પાંખડી પર અક્ષર “હમ” (हं) સફેદ રંગમાં લખાયેલ છે, અને એ શિવનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે અક્ષર “ક્ષમ” (क्षं) જમણી પાંખડી પર સફેદ રંગમાં લખાયેલ છે અને શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે.
આ વિશિષ્ટ કમળની અંદર હાકિની શક્તિ છે. તેને સફેદ ચંદ્ર, છ ચહેરા અને છ હાથમાં જુદા જુદા આયુધ અને પુસ્તક ધરાવે, જે વરદાન આપતી અને ભયને દૂર કરતી મુદ્રામાં છે. તેના ઉપરથી નીચે તરફ નિર્દેશિત ત્રિકોણમાં સફેદ લિંગ છે. આ ત્રિકોણ, કમળના ફૂલ સાથે, શરણાગતનાં શાણપણનું પ્રતિનિધિત્વ કરે છે.
“આજ્ઞા ચક્રમા રહેલી શક્તિને ક્રિયાન્વીત કરવા માટે, સાધક શિષ્ય સદગુરુની આજ્ઞાને મહત્વ આપી તેને અનુસરે છે. તેને અંતર્જ્ઞાન અને બુદ્ધિની આંખ તરીકે ગણવામાં આવે છે. જ્યારે ધ્યાનમાં મનની આંખમાં, અથવા સ્વપ્નમાં કંઈક દેખાય છે, ત્યારે તે ગુરુ આજ્ઞા દ્વારા ‘જોઈ રહ્યું છે’. અહીં એક સેતુ છે, જે સદગુરને શિષ્ય સાથે જોડે છે, જેનાથી સાધક શિષ્ય વચ્ચે મૌનમાં પણ સંચાર થાય છે. આજ્ઞા સાથે સંકળાયેલ સાધક શિષ્યનું ઈન્દ્રિય અંગ અને ક્રિયા અંગ એ સદગુરુનું અકળ મન છે, જેને આ સ્થાન પર સ્થિર કરી, સાધક શિષ્ય સદગુરુના જ્ઞાનનો માત્ર શરણાગત બની લાભ મેળવે છે.
આપણે ન જોયેલાં માર્ગ પર કોઈનું સરનામું શોધતાં હોઈએ, તો એક બે જણને પૂછી લેતા હોઈએ છીએ, અને આપણને એમાં કોઈ તકલીફ પણ પડતી નથી, એણે દર્શાવેલ માર્ગ પર જવાથી એ સ્થાને પહોંચી પણ જવાય છે. પરંતુ રામ અને કૃષ્ણ જેવા અવતારો એ સામાન્ય માનવી એ મુજબ જીવી ચરિત્ર નિર્માણ કરી શકે, એવી જે ચરિત્ર લીલાઓ કરી છે, એને આપણે અનુસરી શકતા નથી! એ તો દૂરનું થયું છોડો! પરંતુ આપણા જ વડીલો આપણને શીખ, શિખામણ, કે આજ્ઞા આપે, તો આપણી બૌદ્ધિકતા એટલી વધી ગઈ છે કે, આપણે એને વગર પ્રશ્ને અનુસરી શકતા નથી! કોઈ કોઈ જ એવા હોય છે, માટે એને વિશેષણ સાથે સંબોધન કરવામાં આવે છે, કે આજ્ઞાકારી દીકરો આજ્ઞાકારી દીકરી, કે પછી આજ્ઞાંકિત પૂત્રવધૂ, પતિ પત્ની! આવું આપણે સહજ બોલતા હોઈએ છીએ. ટૂંકમાં આપણને જ્યાં ખબર ન પડતી હોય ત્યાં કોઈની આજ્ઞા સિરોધર કરવાથી ઘણીવાર બહુ મોટા લાભ પ્રાપ્ત થાય છે. આપણાં સુખ માટે કે પછી અહમ આગ્રહ માટે કે પછી શ્રેષ્ઠ સાબિત કરવાં કે પછી, સત્તા માટે આપણે જ સમયનું અવમૂલ્યન કર્યું! તો હવે આપણે જ આ બધું ઠીક કરવું પડશે! આપણાં દ્વારા સ્વીકારેલ નાના ફેરફારો પણ યુગ પરિવર્તન માટે બહુ મોટું પરિણામ આપે છે, એ યાદ રાખી, જ્ઞાનનાં એ વિદ્યુત પ્રવાહની અનુભૂતિ કરવાં સદગુરુ આપણને આજ સુધી જે બોધ આપ્યો છે, એ મુજબ જીવીને વિશ્વ શાંતિ માટે એક આહવાન આપીએ. જય ભવાની.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
