
માનસ રત્નાવલીનાં ત્રીજા દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું કે રત્નાવલી વિશે ઈતિહાસમાં ઘણું કહેવાયું છે, અને મારા શ્રોતાઓ પુછે છે, અમારે શું સાચું માનવું! અમે તો તમને માનીએ છીએ! મારું એમને એટલું જ કહેવું છે કે હું કોઈ વાત સિદ્ધ કરવા માટે નથી આવ્યો! વ્યાસપીઠનો શુદ્ધિનો નિરંતર પ્રયાસ રહે છે. મારી સમજ મુજબ તુલસી એક અખંડ જ્યોત છે, અને મા રત્નાવલી એક દીવો! બંનેનું એકબીજા વિના મૂલ્ય નથી! જ્યોતિ ચિન્મય હોય છે, અને દીવો માટીનો એટલે કે મૃત્તિકામય હોય છે, અહીં તેજોમય ચેતના અને મૃણમય એટલે કે માટી જેવી મૂલાયમ ચેતનાનો સંગમ થાય છે. દીવો ન્હોત તો જ્યોત પ્રગટી ન્હોત! અને તો વિશ્વમાં રામચરિત માનસનું અજવાળું ફેલાયું ન્હોત. આપણે કંઈ પ્રમાણિત નથી કરવું માત્ર જેના વચનોને કારણે તુલસીને વૈરાગ્ય આવ્યો, એવી મા રત્નાવલીના ઘાટે શુદ્ધ થવાં થોડું દર્શન કરીએ. કહે છે કે તુલસીને કહ્યા પછી મા રત્નાવલી ખૂબ રડ્યાં, અને કહ્યું કે આપનો આટલો પ્રેમ જોઈ મજાકની ચૂટકી ખણી હતી! મને ક્યાં ખબર હતી કે મારે કારણે જ હું વિરહી થઈશ! અને એટલે હું ક્યારેય તમે છોડી ગયા એવો ઠપકો નહીં આપું! તુલસીના પ્રમાણમાં બુદ્ધ થોડાં કઠોર ત્યાગી લાગે! કારણ કે રાહુલના જન્મ પછી વૈરાગ્ય લીધો! રાહુલનો શું દોષ? તુલસી સીતા અપહરણ પછી જ્યારે રામ સંબંધી ભાવ આલેખે છે ત્યારે એ કદાચ પોતાનો ભાવ પણ હોય શકે! “તત્વ પ્રેમ કર મમ અરુ તોરા” મને આવું કહેવા કોઈ ટકોરા મારે છે.
કાલે સાંજે નવદુર્ગાનાં નવ સ્વરૂપોની ચર્ચા ચાલી રહી હતી કે શૈલપુત્રી કોણ ? બ્રહ્મચારિણી કોણ ? આમ દરેક સ્વરૂપનું મુખ્ય તાત્વિક દર્શન શું હોય શકે! અને મને કહેવા દો કે, મા રત્નાવલીમાં નવદુર્ગાનાં નવે સ્વરૂપનું તાત્વિક દર્શન દેખાય છે. શૈલપુત્રી એટલે કે હિમાલય જેવાં અચલ પિતાની પુત્રી! દીનબંધુ પાઠક એ સમયનાં બહું મોટાં વેદાંતી હતાં, અને એની વાત અકાટ્ય રીતે સ્વીકાર્ય રહેતી! એટલે કે અચલ પિતાની પુત્રી! બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી, રત્નાવલી તો વિવાહિતા હતાં, જેના બ્રહ્મમય ચરણ છે, એનાં હ્રદયમાં બ્રહ્મ તત્વ છુપાયેલું હતું, માટે તો તુલસીને એના વચનોનો મર્મ સ્પર્શી ગયો, એ રીતે એ અનટચ છે, એનું ચિંતન કુંવારુ છે! એનાં દોહાઓ વાંચીએ તો તુલસી પાછળ રહી જાય છે. રત્નાવલી ખૂબ સુંદર છે એટલે કે ચંદ્રઘંટા પણ છે. રત્નાવલી કુષ્માંડા પણ છે, કારણ કે એણે કુખેથી નહીં પણ મુખેથી તુલસી રુપી ગોસ્વામીને જન્મ આપ્યો! સ્કંદ માતા, એણે વિશ્વને રામાયણનું પરમ ધર્મ રુપી દૂધ પાયું, રત્નાવલી એ પરમ ધર્મ શીખવ્યો. વિવાહિતતાના સંયમ નિયમ વ્યવહારિકતા, જે આપણાં જીવનનો સ્વધર્મ નિભવનારી દુર્ગાને કાત્યાયની કહે છે. પતિ ગયાં પછી પોતે વ્રત અનુષ્ઠાન કર્યા અને કુટુંબ તેમજ સમાજ સેવા પણ કરી. કાલરાત્રિ એટલે ભય પમાડે એ નહીં પણ ભય દૂર કરનાર, લોકોને અંધશ્રદ્ધાપ્રેરક મૃત્યુના ભ્રમ અને ભ્રાંતિ માંથી બહાર કાઢનારી એ કાલરાત્રિ છે. જે પેઢીઓનું પાલન પોષણ કરે એને ગૌરી કહે છે, પરિવારનાં અન્ય સભ્યો સાથે અનુબંધ હશે એ રીતે એનું પાલન પોષણ કર્યુ. પાછલાં જન્મની સ્મૃતિ સાથે લઈ પાછા ફરેલા! એટલે કે કોણ પતિ હતાં એને જ પ્રાપ્ત કરવાનો નિર્ણય કરે એ ગૌરી, જેમ કે સતી બીજા જન્મમાં પાર્વતી બની શંકરને પતિ તરીકે પ્રાપ્ત કરે છે! અને એ રીતે તુલસી અને રત્નાવલીની યાત્રા પણ જન્મ જન્મની હશે! સંતો કહે છે વાલ્મિકી જ તુલસી તરીકે જન્મ્યા! વાલ્મીકિનું મૂળ નામ રત્નાકર છે, અને એ રીતે ત્યાં રત્નાવલીનાં સંબંધનો નિર્દેશ થાય છે!: અને એટલે મને મા નવદુર્ગાનાં નવે સ્વરૂપનું તાત્વિક દર્શન રત્નાવલી માં પણ થાય છે. મારી માટે તો દરેક નારી રત્ન છે.
એક પ્રશ્ન છે કે તુલસીનાં જમાનાની રામકથા અને આજની રામકથામાં શું અંતર છે? અર્થાત રામકથાનો સાર એક જ છે તો એ શું છે? તુલસી નામનાં મૂળને પકડીને રામકથા નિતનૂતન થતી જાય છે. હું પણ કલ્પના નથી કરી શકતો, કે કથામાં હું શું બોલીશ! શ્રોતાઓ પણ વિચારે કે બાપુ હવેની કથામાં કયો વિષય લેશે? કથા રોજ નવાં વસ્ત્ર પરિધાન કરીને આવે છે! પણ કથાનો સાર તો રામ જ રહેશે! ત્યારે રામકથા નું સ્વરૂપ આવું નહીં હોય! આટલાં મોટાં પંડાલ નહીં હોય! લાઈવ ટેલિકાસ્ટ નહીં હોય! કદાચ આટલાં બધાં શ્રોતાઓ પણ નહીં હોય! પણ રામ તત્વ તો આ જ રહ્યું હશે!
પ્રશ્ન છે કે બાપુ સીત્તેર વર્ષની ઉંમરે પણ હજી કામના છૂટતી નથી! રામ નામનો જાપ કરવા છતાં એમાંથી મુક્તિ નથી! ફળની આશા સાથે રામનામ લેવું નહીં! બસ રામનામ રટતા રહો, અને કામ ક્રિયામાં પરિણમે નહીં, વિચારો સુધી રહે એટલું સ્વનિયંત્રણ રાખવામાં નામ મદદ અવશ્ય કરશે.
પ્રશ્ન બાપુ મારાં જીવનમાં ઘાસ જેમ વિપત્તિ ઉગી નીકળે છે, તો એનું નિવારણ કરો! વિપત્તિ આવવાનાં ઘણાં કારણો છે, કર્મનું કારણ પણ હોય! તો અણસમજ પણ એક કારણ હોય શકે, ક્યારેક ક્યારેક બધું જ સુખ હોવા છતાં દુઃખ શોધે છે! ગુજરાતી સવા ભગત કહે છે કે સંપત્તિ વિપત્તિ અચાનક આવી પડે, પણ નામ વાળાને નહીં નડે! એટલે જેનું સ્મરણ નિત્ય હોય તેને કંઈ નડતું નથી. વિપત્તિનાં બીજ ને જમીન ન આપો, એ આપોઆપ ખતમ થઈ જશે! પણ આપણે સ્વભાવ વશ એને જમીન આપીએ છીએ, અને સિંચાઈ પણ કરીએ છીએ એટલે વધે છે. મંથરા એક નિમ્ન માનસિકતા છે! કૈકેયી જેવી મહારાણીએ કાન આપ્યાં, એટલે કે એની વાત કાને ધરી! તુલસી લખે છે!
બિપતિ બીજુ બરષા રિતુ ચોરી,
ભૂઈં ભઈ કુમતિ કૈકેયી કેરી.
પાઈ કપટ જલુ અંકુર જામા,
બર દોઉ દલ દુઃખ ફલ પરિનામા.
મંથરા નામની વર્ષાઋતુને કૈકેયી એ જમીન આપી, અને સ્વાતિ નક્ષત્ર નહોતું વરસ્યું પણ કપટનાં જલ થી એનું સિંચન થયું, અને આખી અયોધ્યા માટે રામ વનવાસની વિપત્તિ આવી.
કથાનાં ક્રમમાં આગળ વધીએ! કુંભની કથામાંથી યાજ્ઞવલ્ક્ય ઋષિ પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે ભારદ્વાજ ઋષિ એમને રોકી લે છે, અને રામ તત્વ શું છે? એ વિસ્તારથી કહો. યાજ્ઞવલ્ક્ય મહારાજ એમને રામકથા કહેતા પહેલાં શિવકથા સંભાળાવે છે, રામ અને શિવનો સમન્વય કરે છે. ત્રેતાયુગ ચાલી રહ્યો હતો, અને એકવાર ભગવાન શંકર સતીને લઈને કુંભજ ઋષિનાં આશ્રમે કથા સાંભળવા જાય છે. કુંભજ ઋષિ ભગવાન શંકર અને સતીનું પૂજન કરે છે, એટલે સતી એવો અર્થ કરે છે, કે ઘડામાંથી જેનો જન્મ થયો છે, એ શું કથા કહેશે! કોઈ આપણને આદર આપે તો એનાથી આપણી યોગ્યતા સિદ્ધ નથી થતી, પણ એની નમ્રતા સિદ્ધ થાય છે. કથા સાંભળ્યા બાદ પાછાં ફરતાં સતી રામની પરીક્ષા કરે છે, અને શંકર પાસે ખોટું બોલે છે, શંકર સતીનાં એ શરીરનો ત્યાગ કરી સમાધિસ્થ થાય છે, દક્ષ યજ્ઞમાં પોતાનાં પતિનુ અપમાન સહન થયું નહીં, એટલે સતી યજ્ઞાગ્નિમાં પોતાને બાળીને ભસ્મ કરી દે છે, અને હિમાલયનાં ઘરે પાર્વતી તરીકે જન્મ લે છે, ત્યાં સુધીની કથા કરી ત્રીજા દિવસની કથાને વિરામ આપ્યો.
સંકલન ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
