
2025નું વર્ષ બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગ માટે સારું નહોતું. આ વર્ષે ઘણા કલાકારોનું અવસાન થયું. 2026માં આશા ભોસલેનું અવસાન ભારતીય કલા જગત માટે એક પુરી ન કરી શકાય તેવી મોટી ખોટ છે.
પ્રખ્યાત અને પીઢ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની જૈફ વયે નિધન થયું છે. ગઈકાલે શનિવારે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આશા ભોસલેના પુત્ર આનંદ ભોસલેએ તેમના નિધનની પુષ્ટિ કરી. તેમણે કહ્યું, “મારી માતાનું આજે અવસાન થયું. કાલે સવારે 11 વાગ્યે લોઅર પરેલના કાસા ગ્રાન્ડે ખાતે લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે આવી શકે છે, જ્યાં તેઓ રહેતા હતા. તેમના અંતિમ સંસ્કાર સોમવારે સાંજે 4 વાગ્યે શિવાજી પાર્કમાં થશે.”શનિવારે શરૂઆતમાં, તેમની પૌત્રી જનાઈએ ઇન્સ્ટાગ્રામ પર તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી શેર કરતા લખ્યું, “મારી દાદી આશા ભોસલેને ભારે નબળાઈ અને છાતીમાં ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે આપને અમારી ગોપનીયતા જાળવવાની વિનંતી કરીએ છીએ. તેમની સારવાર ચાલી રહી છે અને આશા છે કે બધું સારું થશે. અમે ચોક્કસપણે તમને બધાને જાણ કરીશું.”તેમના નિધનથી બોલીવુડ સહિત સમગ્ર દેશમાં શોકનો માહોલ ફેલાયો છે, આશા ભોસલેના નિધનથી તેમના ચાહકો ખુબ જ શોકમાં ગરકાવ થઈ ગયા છે, અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, પીએમ મોદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપતા કેટલીક તસ્વીરો શેર કરી હતી અને પોતાની દુ:ખની પીડા વ્યક્ત કરી હતી.મીડિયા સાથે વાત કરતા, રાજ્યના સાંસ્કૃતિક મંત્રી આશિષ શેલારે શોક વ્યક્ત કરતા કહ્યું, “આજે, સમગ્ર રાષ્ટ્ર અને મહારાષ્ટ્ર રાજ્ય ખૂબ જ દુઃખી છે. એક યુગનો અંત આવ્યો છે. આપણી પ્રિય આશાતાઈ આપણી વચ્ચેથી ચાલ્યા ગયા છે. આપણી વચ્ચે તેમની હાજરી સાંત્વનાનો સ્ત્રોત હતી. તેમનું જીવન પોતાના અંગત દુ:ખ સહન કરતી વખતે બીજાઓને આનંદ આપવામાં વિતાવ્યું. તેમની કલાત્મક સિદ્ધિઓ માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરે છે. આશાતાઈનો વારસો વિશ્વ માટે એક ભેટ છે. તેઓ હવે આપણી વચ્ચે નથી. તમામ જરૂરી તબીબી અને પારિવારિક વિધિઓ કરવામાં આવશે. સોમવારે સાંજે 4:00 વાગ્યે શિવાજી પાર્ક ખાતે તેમના અંતિમ સંસ્કાર પૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.”આશા ભોંસલેના સારવાર કરી રહેલા ડૉક્ટર પ્રતિક સમદાનીએ જણાવ્યું હતું કે, “આજે આશા ભોંસલેજીનું અવસાન થયું તે ખૂબ જ દુઃખદ છે. તેમને તબીબી સમસ્યા હતી અને તેમનું મૃત્યુ બહુ-અંગ નિષ્ફળતાથી થયું હતું.”
બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડૉ. પ્રીત સમદાનીને ટાંકીને ગઈકાલે, મીડિયા રિપોર્ટ્સ જણાવ્યું હતુ કે, ગાયિકા આશા ભોંસલેને હૃદયરોગનો હુમલો આવ્યા બાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
