અંગ્રેજોએ આપણી શિક્ષણ પદ્ધતિ અપનાવી, હવે શિક્ષણ-સ્વાસ્થ્ય સેવા ધંધો બન્યા : મોહન ભાગવત

0
2

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના વડા મોહન ભાગવત હરિયાણાના કરનાલ પહોંચ્યા હતા

કહ્યું – ભારતમાં અંગ્રેજોના શાસન પહેલા આપણા દેશની શિક્ષણ વ્યવસ્થામાં 70 ટકા વસ્તી શિક્ષિત હતી અને અહીં કોઈ બેરોજગારી નહોતી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના વડા મોહન ભાગવત હરિયાણાના કરનાલ પહોંચ્યા હતા. અહીં તેમણે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ભારતમાં અંગ્રેજોના શાસન પહેલા આપણા દેશની શિક્ષણ વ્યવસ્થામાં 70 ટકા વસ્તી શિક્ષિત હતી અને અહીં કોઈ બેરોજગારી નહોતી.

ઈંગ્લેન્ડમાં માત્ર 17 ટકા શિક્ષિત હતા 

તેમણે વધુમાં કહ્યું કે ‘તે જ સમયે ઈંગ્લેન્ડમાં માત્ર 17 ટકા લોકો જ શિક્ષિત હતા. ભારતમાં આવ્યા પછી, અંગ્રેજોએ આપણી શિક્ષણ પ્રણાલી એટલે કે 70 ટકા લોકોને શિક્ષિત રાખવાની પદ્ધતિને કબાડ કરી નાખી. ત્યારબાદ આપણી શિક્ષણ પ્રણાલીને પોતાને ત્યાં લઇ ગયા અને તેમની શિક્ષણ પ્રણાલીને ભારતમાં લાવી.

મોહન ભાગવતે કહ્યું – હવે આપણી સ્થિતિ તેમના જેવી થઈ 

મોહન ભાગવતે કહ્યું કે અંગ્રેજોની એ શિક્ષણ પદ્ધતિથી આપણે 17 ટકા સાક્ષર રહી ગયા અને તેઓ 70 ટકા શિક્ષિત બન્યા. આ ઈતિહાસનું સત્ય છે. તેમણે કહ્યું કે આપણી પાસે જે શિક્ષણ વ્યવસ્થા હતી શિક્ષકો તેમાં ભણાવતા હતા, બધાને શીખવતા તેમાં જ્ઞાતિ-જાતિનો ભેદભાવ નહોતો. માણસ પોતાનું જીવન જીવી શકે, આટલું જ નહીં શિક્ષણ પણ દરેક માટે ઉપલબ્ધ હતું. તેમણે કહ્યું કે શિક્ષકો ગામે-ગામ  જઈને ભણાવતા હતા. તેઓ પોતાનું પેટ ભરવા માટે શીખવતા નહોતા કારણ કે શિક્ષણ આપવું તેમનું કામ છે. શિક્ષણ એ તેમનું કર્તવ્ય અને ધર્મ હતું. 

લોકો શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે કંઈ પણ કરવા તૈયાર 

તેમણે કહ્યું કે ‘આજકાલ આપણા દેશમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે દરેક વ્યક્તિ શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે કંઈ પણ કરવા તૈયાર છે, કારણ કે આ બંને વસ્તુઓ ખૂબ જ મોંઘી અને દુર્લભ બની ગઈ છે.’ તેમણે કહ્યું કે આજે આ બંને બાબતો આજે ધંધો બની ગઈ છે.  શિક્ષણ અને આરોગ્ય દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી છે. તેમણે કહ્યું કે પહેલા આ વસ્તુઓને બિઝનેસ તરીકે જોવામાં આવતી ન હતી.