અમદાવાદમાં ત્રણ માળનું મકાન ધરાશાયી: બેનાં મોત, ૫ાંચ ઘાયલ

0
23

અમદાવાદ:

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા બંગલાવાળી ચાલીમાં આશરે ૧૦૦ વર્ષ જૂનું મકાન એકાએક ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં બે મહિલાઓના મોત થયા હતા જ્યારે પાંચ જણા ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.શહેરના અમરાઇવાડીમાં જનતાનગર ટોરેન્ટ પાવર સામે આવેલું ત્રણ માળનું જૂનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં ૧૦ લોકો દટાયા હતા તે પૈકી ૫ાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને એલજી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ૭૫ વર્ષીય વિમળાબેન અને ૩૬ વર્ષનાં આશાબેનનું મોત નિપજ્યું હતું.

દુર્ઘટનાને પગલે આસપાસના લોકોએ સ્થળ પર પહોંચીને કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી હતી જોકે, ત્યારબાદ પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમે કામગીરી સંભાળી લીધી હતી. લોકોના ટોળા ઉમટી પડતા પોલીસ પર સ્થળ પર દોડી આવી હતી અને ભીડ પર કાબૂ મેળવ્યો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં પાંચ જેટલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.