અમદાવાદ-ગાંધીનગરમાં મીની વાવાઝોડું, આગામી બે કલાકમાં 9 જિલ્લામાં વરસાદ થવાની શક્યતાઓ

0
5

આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે જેમાં રવી સીઝનના પાકના ભાવ નક્કી કરાશે

ભારે પવન ફૂંકાવાની શક્યતાઓને લઈને માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ

અમદાવાદ અને ગાંધીનગરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો હેરાન થયાં છે. શહેરના અનેક વિસ્તારોમાં પવન ફૂંકાઈ રહ્યો છે. તે ઉપરાંત મહેસાણામાં પણ મીની વાવાઝોડું ફૂંકાયું હોવાની માહિતી મળી છે. આગામી બે કલાકમાં 9 જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરાઈ છે.અમદાવાદ, ગાંધીનગર સહિત મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 

આગામી 24 કલાક વરસાદની આગાહી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકાઓમાં વરસાદ નોધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના અંજારમાં પોણા બે ઈંચ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ધોરાજી અને શિહોરમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. ગારિયાધાર, ગોંડલ અને વલ્લભીપુરમાં 1 ઈંચ અને અન્ય તાલુકાઓમાં અડધાથી પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હજુ આગામી 24 કલાક વરસાદની આગાહી છે.દરિયાકિનારાના વિસ્તારોમાં દરિયામાં કરન્ટ જોવા મળી શકે છે. તેથી દરિયા કિનારે લોકોને ન જવા માટે પણ અપીલ કરવામાં આવી છે. 

14 જિલ્લામાં વરસાદ થવાની શક્યતાઓ
આજે 14 જિલ્લામાં વરસાદ થવાની શક્યતાઓ દર્શાવાઈ છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર ખેડા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, મહીસાગર,પંચમહાલ, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. બનાસકાંઠાના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયાં છે. 

વીજળી પડતાં 28 પશુઓના મોત
કચ્છના અંજારમાં રેફરલ હોસ્પિટલની પાછળ આવેલા મકાન ઉપર આકાશી વીજળી ત્રાટકી હતી. જ્યારે ભારે પવન અને વરસાદના કારણે અંજાર માર્કેટ યાર્ડમાં કચ્છી કેસર કેરીના માલને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. કચ્છમાં ભુજના મોડાસર ગામે તોફાની વરસાદ સાથે વીજળી પડતાં 28 પશુઓના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે રાજકોટના જેતપુરમાં ભારે પવન ફૂંકાતા ઓરડીના પતરાનું રીપેરિંગ કરતાં ચાર શ્રમિકો નીચે પટકાયા હોવાની દુર્ઘટના ઘટી હતી.