સદગુરુ કૃપા હી કેવલમ.
સંકલન- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬)
વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ મારું સર્વોત્તમ તીર્થ છે!
માનસ કબંધની છઠ્ઠા દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું કે કબંધ શબ્દ પર આપણે ઘણો સંવાદ કર્યો અને હજી એક નવો તર્ક આ શબ્દની વચ્ચે ‘બં’ આવે છે અને પછી ‘ધ’ અને છેલ્લે ‘ક’ મૂકી એક નવો શબ્દ બનાવીએ, તો એ બંધક બને છે. બંધકનો અર્થ થાય છે, કેદ થયેલાં, એક સારો એવો ગંધર્વ શ્રાપના બંધનમાં શા માટે આવ્યો, અને એ પણ ત્રણ ઋષિઓના શ્રાપનો બંધક બન્યો. આપણે એ ત્રણેય વિશેની કથાની વાત કરી! પરંતુ એવું શું થયું કે, એ બંધક બન્યો? અને આપણા જીવન સાથે એનો શું સંબંધ છે? એનું દર્શન કરીએ.
મારી તલગાજરડી આંખે હું જોઈ રહ્યો છું કે, પાંચ કારણથી આપણે બંધક બની જઈએ છીએ, હું અને આપ બધાં! જીવ સાથે કબંધનો ઊંડાણપૂર્વકનો કેવો નાતો છે? ગુરુકૃપાથી કબંધમાં મને પાંચ વસ્તુ દેખાય છે, જેને કારણે એ બંધક બન્યો. ગંધર્વ વધુ પડતા સ્વતંત્ર હોય છે, મહાભારત પણ એની ગવાહી આપશે! ઘણાં બધા એવા સ્થાનોમાં રજા વિના પ્રવેશ કરવાનો ગંધર્વ ને અધિકાર હોય છે, એ ગંદર્વને મળેલું સ્વાતંત્રય છે. એમ આપણને સ્વાતંત્રય મળી જાય તો એનો દુરુપયોગ ન થવો જોઈએ. કબંધે પ્રારબ્ધ કર્મ કે પછી કોઈ વિશેષ ઈષ્ટ કૃપાને કારણે થોડી ઘણી વિશેષતાઓ મળી, એનો ગર્વ કર્યો છે. તો આપણે બધા બંધક શા માટે છીએ? આત્મા તો બધાનો સારો છે, ખૂબ જ પ્યારો છે, પરંતુ આપણને અમુક વસ્તુનો અહંકાર આવી ગયો. ગંધર્વને પોતાના રૂપનો અહંકાર આવ્યો, એને યૌવનનો અહંકાર આવ્યો, અને વિદ્યા અને કલાનો અહંકાર આવ્યો. વિદ્યા વરદાન છે, પરંતુ જ્યારે એનો ગર્વ આવી જાય, અહંકાર આવી જાય, ત્યારે એ બંધક બનાવી શકે! અને સૌથી વધુ પોતાની વિશેષતાને કારણે ગમે ત્યારે અને ગમે ત્યાં પ્રવેશ કરવાનો અનાધિકાર ચેષ્ટા કરી, એટલા માટે એ ગંધર્વને કબંધ થવું પડ્યું.
ગુરુકૃપાથી એક નિવેદન કરું કે, પરમ સ્વાતંત્ર્ય હોવા છતાં ઘણાં એવાં મંચ હોય છે, જ્યાં આપણે પ્રવેશ નથી કરી શકતાં. વ્યાસપીઠને હું એવો પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ મારું સર્વોત્તમ તીર્થ છે, એની ઊંચાઈ કૈલાશ જેટલી છે, આપણે એને સમજી નથી શકતા કેમકે આપણે સંસારી લોકો છીએ. વ્યાસપીઠ નીલગીરીની ઊંચાઈ છે, વ્યાસપીઠ સંગમ રૂપી સિંહાસન પર બેસે છે, આમ તેમ નથી બેસતી, જ્યાં સૌનો સ્વીકાર હોય સૌનો સમન્વય હોય સંગમ હોય, જ્યાં કોઈનું અપમાન થતું હોય નહીં ,જ્યાં કર્મ, જ્ઞાન, અને ભક્તિ ત્રણેય એક જ જગ્યાએ મળી જતાં હોય.
કબંધ પાસે ત્રણ ગુરુઓ આવ્યાં, પરંતુ એને કોઈ ગુરુને આદર નથી આપ્યો, અને દુર્વ્યવહાર કર્યો! અને એ ગુરુઓ કોઈ સાધારણ ન્હોતા, દુર્વાસા, અષ્ટાવક્ર, અને સ્થૂલસીરા, જેમનાં લોક મંગલનાં કાર્યમાં આ ગંધર્વે વિક્ષેપ કર્યો, અને એટલે ગંધર્વ કબંધ બન્યો. અન્ય ક્ષેત્ર તો ઠીક છે, પરંતુ ભજનમાં દંભ ન કરો, ઈર્ષા ન કરો, નિંદા ન કરો, જેવા છો તેવા જ જીવો, જેનામાં તમારી શ્રદ્ધા હોય એને દિવસમાં પાંચ દસ મિનિટ માટે યાદ કરતા રહો. સંબંધ વિશેની એક બીજી કથા છે કે એ જ્યારે હિમાલયની યાત્રામાં હતો, અને માન સરોવર નજીક હતું, ત્યારે મધ્યરાત્રીએ માન સરોવરમાં સ્નાન કરવા ગયો, અને શાપિત થઈ ગયો. જળ તત્વ પણ સાધના કરે છે, અને એનો નિશ્ચિત સમય હોય, ત્યારે ગમે તેટલો અધિકાર હોય તોય એને વિક્ષેપ કરવો જોઈએ નહીં! કથા એવી છે કે વરૂણદેવ દ્વારા શ્રાપિત થયો. પૃથ્વી ક્રૌંચનાં આરય્ણમાં સાધિકાનાં પુત્રએ પણ શ્રાપ આપ્યો હતો.
માનસનો અયોધ્યા કાંડ ઇન્દ્રિયોને બદલવાની પ્રક્રિયા છે. જસુ તુમ્હાર માનસ બિમલ હંસિનિ જીહા જાસુ , વાલ્મિકી કહે છે દુનિયામાં જે કોઈની જીભ હંસીની બનીને મોતીનો ચારો ચરે છે, એની જીભ બદલી ગઈ છે. જેની નાસિકા ઈશ્વર કૃપા અનુભવે, આપના પ્રસાદનો જ અનુભવ કર્યા કરે, એ ઇન્દ્રિય બદલી છે. ચરન રામ તીરથ ચલિ જાહી, જેમના ચરણ પવિત્ર સ્થાનો તરફ ગતિ કરતા હોય, એ પગ બદલી ગયા છે. જિન્હકે શ્રવણ સમુદ્ર સમાના, જેના કાન સમુદ્ર જેવા થઈ જાય, અને નદીની માફક ભગવત ચર્ચા એના કાનમાં આવતી રહે, એનાં કાન બદલી ગયા સમજવા. “લોચન ચાતક જીન્હ કરિ રાખે “જેમણે નેતૃથી માત્ર શુભ દર્શન કર્યું છે.
માણસ પોતાના જીવનમાં પાંચ દસ મિનિટ એકાંતમાં ચૂપચાપ બેસે તો ખ્યાલ આવે કે પોતાનું અસલી રૂપ કેવું છે આત્મચિંતન બહુ જરૂરી હોય છે અને આત્મચિંતન માટે કામ તો બહુ જરૂરી છે શંકરાચાર્ય કહે છે એકાંતે સુખમાસ્યતાં, એકાંતના આદિ હોય એને ચાવી મળી ગઈ!
બહુ જ ઊંડાણથી એક વાત કરું, જે ગુરુકૃપાથી મારી સમજમાં આવી છે. વ્યાસપીઠ પરથી જે ભાષા બોલવામાં આવે છે, એ દેવ ભાષા નથી, દેવ ભાષા એટલે કે સંસ્કૃત ચોક્કસ મહિમાવંત છે. વ્યાસપીઠ પરથી જે બોલાય છે એ પ્રાકૃત ભાષા પણ નથી, એ ગુજરાતી ભાષા પણ નથી, કોઈ ચોક્કસ ક્ષેત્રિય ભાષા પણ નથી, વ્યાસપીઠ પરથી બોલવાની એક માત્ર ભાષા, કેવલ મહાદેવ ભાષા છે, રચી મહેસ નિજ માનસ રાખા.
તલગાજરડામાં એ ખૂણામાં દાદા મને ચોપાઈઓ ખોલી ખોલીને એનું રહસ્ય સમજાવતા હતા! કે “રામ બિલોકનિ બોલની ચલની”, ઉત્તર કાંડનો એક પ્રસંગ છે, લંકાથી પાછાં આવ્યા પછી છ મહિના બાદ ભગવાન સૌને વિદાય આપે છે, એમાં એક વિદાય અંગદની પણ છે. અંગદ બહુ મોટો રામપ્રેમી છે, એને રામને છોડીને જવાની જરા પણ ઈચ્છા નથી, માટે એ ભગવાનને વારંવાર દંડવત કરે છે, અને વિચારે છે કે ભગવાન મને રડતો જોઈને કહે કે, અંગદ તું રોકાઈ જા! રામ પાસે છ મહિના રહ્યો, એણે જોયું કે ભગવાનની નજર કેટલી નિર્મળ છે!એનું ચિતવન કેટલું શાંત છે! તેઓ અમારી સાથે ચાલતા ચાલતા, હસતાં હસતાં વાત કરતાં અમને મળી રહ્યાં છે. દાદા એ કહ્યું કે આપણાં બધાંના શરીર પ્રાકૃત છે! પણ પરમાત્મા એ જેને કોઈ અંગ વિશિષ્ટ આપ્યું હોય તો એ અંગદ છે! તો આવા વિશેષ અર્થ આપનારી ભાષા મહાદેવ ભાષા છે.
સકલ અમાનુષ કરમ તુમ્હારે,
કેવલ કૌશિક કૃપા સુધારે.
માનસમાં ભગવાન રામને તેની ખુદની માતાઓ કહે છે કે હે રામ તે સુબાહોને માર્યો તાડકાને મારી ભગવાન શંકુનું સ્તુતિ પરશુરામજી આવ્યા અને તારાથી દીક્ષિત થઈને જયકાર કરીને ચાલ્યા ગયાં, આ માનવીય કર્મ નથી, ભલે તું અમારો પુત્ર છે, પરંતુ અમે જાણીએ છીએ. પણ પછી માતાને થયું કે અહંકાર આવી જશે, એટલે કહે છે કે આ કેવળ ગુરુકૃપાનું કારણ છે.પરમાત્મા એવા છે કે જે આપણું બધું લુંટાઈ ગયું હોય એ પાછું લાવી આપે, જે ગયું હોય એને ફરી પાછું બમણું કરી દે, સવાલ છે અખંડ વિશ્વાસનો! જે વ્યક્તિના કર્મ અમાનવીય હોય છે, એ કોઈની બગડેલી બાજી સુધારી શકે છે. કથાનાં ક્રમમાં રામ જન્મ પછી ચારે ભાઈઓના નામ વિશ્વને આરામ આપે એનું નામ રામ, કોઈનું શોષણ ન કરે એનું નામ ભરત, કોઈ સાથે શત્રુતા રાખે નહીં એ શત્રુઘ્ન, અને ઉદાર મના, અને જગતનો આધાર છે, એ બાળકનું નામ લક્ષ્મણ રાખ્યું. ગુરુ વશિષ્ઠજીએ કહ્યું કે રાજન આપના પુત્ર તો છે જ, પરંતુ તત્વતઃ આ વેદના સૂત્ર છે. અયોધ્યામાં પુત્ર જન્મનો ઉત્સવ મનાવાયો, એમ કહી છઠ્ઠા દિવસની કથાને વીરામ આપ્યો.
સંકલન. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
