અમદાવાદ: પોરબંદરના કુતિયાણા વિધાનસભા બેઠકના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને વર્ષ ૧૯૯૮માં પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે હથિયાર રાખવાની ફરિયાદમાં પુરાવાના અભાવે ગુજરાત હાઈ કોર્ટે નિર્દોષ જાહેર કર્યાં છે. હાઈ કોર્ટે કાંધલ જાડેજાની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરી હતી. કાંધલ જાડેજા સામે હાલ ૧૫ કેસો નોંધાયેલા છે. આ ૧૫ કેસોમાં ગેરકાયદેસર હથિયાર, ખંડણી, હુમલો, રમખાણ, કસ્ટડીમાંથી ફરાર થવું અને નકલી દસ્તાવેજો સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટની સૂચના બાદ ગુજરાત હાઈ કોર્ટે નીચલી કોર્ટોને નિર્દેશ આપ્યો છે કે, ગુજરાતના વર્તમાન અને પૂર્વ સાંસદો અને ધારાસભ્યો સામે ચાલી રહેલા કેસોની નિયમિત સુનાવણી કરી સત્વરે તેનો નિકાલ કરવામાં આવે. ગુજરાત હાઈ કોર્ટમાં કાંધલ જાડેજા સામેના પડતર કેસોની સુનાવણી પણ શરૂ કરવામાં આવી હતી. પોરબંદરમાં વર્ષ ૨૦૦૫ના એક હત્યા કેસમાં કાંધલ જાડેજોને નિર્દોષ છોડી મૂક્યા હતા. જેની સામે સરકારે ગુજરાત હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. આ અપીલની સુનાવણી સોમવારથી ગુજરાત હાઈ કોર્ટમાં હાથ ધરવામાં આવશે. વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કાંધલ જાડેજાએ કરેલી એફિડેવિટમાં પોરબંદર, રાજકોટ અને અમદાવાદમાં કુલ ૧૫ કેસો નોંધાયેલા છે.
Home Gujarat News Ahmedabad એનીસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા એક કેસમાં નિર્દોષ છૂટ્યા: હજુ ડઝનથી વધુ કેસ...