કારે બે ટુ-વ્હીલરને ઠોકર મારતાં બાળકીનું મોત, પાંચ ઘાયલ

0
30

રાજકોટ

કુવાડવા રોડ પર આવેલા માલિયાસણ પાસે ગત રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં પાંચ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. માલિયાસણના ચાવડા પરિવારના  છ લોકો બે ટુવ્હીલર પર ખેરડીથી માલિયાસણ આવતા હતાં. એ સમયે  બેફામ રીતે આવતા એક કારચાલકે આ બંને વાહનને ઠોકર મારીને ઉલાળ્યા હતા. બાદ કારચાલક કાર સાથે પલાયન થઈ ગયો હતો. 

મળતી માહિતી મુજબ, માલિયાસણ રહેતા અને ઇમિટેશનનું કામ કરી ગુજરાન ચલાવતા ચિરાગ લલીતભાઇ ચાવડાના કાકાજી સસરા રસિકભાઈ પરમારની તબિયત સારી ન હોવાથી, ગઇકાલે સાંજે વિનોદ પોતાના એક્ટિવામાં માતા કાંતાબેન લલીતભાઇ ચાવડાને બેસાડી ખેરડી ગયો હતો. ચિરાગની સાથે તેના ફઈનો દીકરો માલિયાસણમાં જ રહેતો વિનોદ ધીરૂભાઇ રબારીયા પણ પોતાની પત્ની સંગીતા અને બે બાળકો રાજૂ તથા માનસી (ઉ.5)ને લઇને ખેરડી ગયો હતો. 

આ ચારેય બાઇક પર હતાં. ખબર કાઢીને બધા પરત માલિયાસણ આવી રહ્યા હતા ત્યારે માલિયાસણ નજીક એક કારના ચાલકે વિનોદના બાઇક અને ચિરાગને એક્ટીવાને ઠોકરે લીધા હતા. આથી બંને વાહન પર સવાર છ લોકો ફંગોળાઇ જતાં નાની-મોટી ઇજા થઇ હતી. અકસ્માત સર્જી કારનો ચાલક કાર લઇ ભાગી ગયો હતો. ઘાયલ પૈકીના ચિરાગ ચાવડા તેના માતા કાંતાબેન ચાવડા, ફઈના દીકરા વિનોદ, તેની પત્ની સંગીતા અને પુત્ર માનસી વિનોદ તથા પુત્ર રાજૂ વિનોદને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન પાંચ વર્ષની માનસીનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.