ગાય અને ઓમ જેવા શબ્દો કાને પડતા જ કેટલાક લોકોને કરન્ટ લાગે છેઃ નરેન્દ્ર મોદી

0
73

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મથુરામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની શરૂઆત કરી. મોદીએ મથુરામાં કચરો વીણનારી મહિલાઓ સાથે પણ મુલાકાત કરી હતી. વડા પ્રધાને મથુરા માટે ૧૦૦૦ કરોડથી વધુની યોજનાઓનો શિલાન્યાસ કર્યો છે. મોદીએ વેટરનરી વિશ્વવિદ્યાલયમાં પશુ આરોગ્ય મેળાનું ઉદ્ઘાટન કર્યું. વડા પ્રધાને મેળામાં ખેડૂતો સાથે વાતચીત કરી હતી. આ દરમ્યાન તેમણે એ જાણવાની કોશિશ કરી કે સરકારની યોજનાઓનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે કે નહીં. પીએમએ પ્રદર્શનનું પણ અવલોકન કર્યું. તેમાં ઘણી ટેક્નિકોનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

મોદીએ કહ્યું કે ચૂંટણીના પરિણામો બાદ કાન્હાની નગરીમાં પ્રથમ વાર આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ વખતે સમગ્ર ઉતર પ્રદેશના આર્શીવાદ મને અને મારા સાથીઓને પ્રાપ્ત થયા છે. દેશહિતના તમારા આ નિર્ણય માટે હું વ્રજભૂમિમાંથી તમારી સામે મસ્તક નમાવું છું.

ભારતની પાસે શ્રીકૃષ્ણ એવા પ્રેરણાસ્રોત રહ્યા છે, જેની કલ્પના પર્યાવરણ પ્રેમ વગર અધૂરી છે. કાલિંદી જેને યમુના કહે છે. લીલું ઘાસ ચરતી તેમની ગાય. શું તેના વગર શ્રીકૃષ્ણની તસવીર પૂરી થઈ શકે છે. શું દૂધ, દહીં, માખણ વગર ગોપાલની કલ્પના કોઈ કરી શકે છે. પ્રકૃતિ, પર્યાવરણ અને પશુધન વગર જેટલા આપણા આરાધ્ય દેખાય છે એટલું જ અધૂરાપણું આપણને ભારતમાં પણ દેખાશે. પ્રકૃતિ સાથે સંતુલન બનાવીને જ આપણે નવા ભારત તરફ આગળ વધશું.

કાન્હાની નગરી મથુરા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ ‘ઓમ’ અને ‘ગાય’ના બહાને વિપક્ષ પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ‘ઓમ’ શબ્દ સાંભળતા જ કેટલાક લોકોના કાન સરવા થઈ જાય છે. કેટલાક લોકોના કાનમાં ‘ગાય’ શબ્દ પડે છે તો તેમના વાળ ઊંચા થઈ જાય છે, તેમને કરન્ટ લાગી જાય છે. તેમને લાગે છે કે દેશ ૧૬મી-૧૭મી સદીમાં જતો રહ્યો છે. આવા લોકોએ જ દેશને બરબાદ કરી દીધો છે.

તેમણે કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે, લગભગ ૧ સદી પહેલાં વિશ્વ ધર્મ સમ્મેલનમાં સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગોમાં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. જોકે આજના દિવસે જ અમેરિકામાં એવો હુમલો થયો હતો જેને જોઈને વિશ્વ હલી ગયું હતું.

આજે આતંકવાદ એક વિચારધારા બની ગઈ છે, જે કોઈ સરહદ સાથે બંધાયેલી નથી. આ એક વૈશ્વિક સમસ્યા છે, જેના મજબૂત જડ આપણી પડોશમાં ખીલી રહ્યા છે. આતંકવાદીઓનું પોષણ કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે ભારત સંપૂર્ણ રીતે સક્ષમ છે અને અમે તે કરીને પણ દેખાડ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે નવા જનાદેશ બાદ કાન્હાની નગરીમાં પહેલી વખત આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ વખતે પણ આખા ઉત્તર પ્રદેશના આશીર્વાદ મને અને મારા સાથીઓને પ્રાપ્ત થયા છે. દેશહિતમાં તમારા આ નિર્ણયમાં વ્રજભૂમિથી તમારી સામે શીશ ઝુકાવું છું. તમારા તમામના આદેશની અનુરૂપ ૧૦૦ દિવસમાં અમે અભૂતપૂર્વ કામ કરીને દેખાડ્યું છે. મને વિશ્વાસ છે કે દેશના વિકાસ માટે તમારું આ સમર્થન અને આશીર્વાદ અમને મળતા રહેશે.