ગીરના સિંહો માટે પણ હવે પાણીના ટેન્કરો દોડશે

0
41

(જી.એન.એસ.)ગીર,તા.૨૦
કાળઝાળ ઉનાળા વચ્ચે ગુજરાતનાં શહેરોમાં પણ પીવાના પાણીની તંગી શરૂ થઈ ગઈ છે ત્યારે સ્વાભાવિક રીતે ગીર ફોરેસ્ટમાં પણ નદી અને ઝરણાંઓ સુકાઈ ગયાં છે જેને લીધે સિંહો અને અન્ય જંગલી જાનવરોએ ખૂબ ભટકવું પડે છે. ભટકતાં ભટકતાં આ સિંહોનાં ટોળા આજુબાજુનાં ગામોમાં ઘસી આવવાની ઘટના પણ આ જ કારણે વધવા માંડતા હવે ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ગીરના જંગલમાં સિમેન્ટની ટાંકીઓ મુકાવવી અને એને દરરોજ ટેન્કર મારફત ભરવી.
ચારેક વર્ષ પહેલાં પણ આ રીતે સિમેન્ટની ટાંકી મૂકીને ઉનાળામાં સિંહોને ટેન્કરનું પાણી પીવડાવવામાં આવ્યું હતું પણ અત્યારે એ ટાંકીની હાલત બિસ્માર હોવાથી નવી ટાંકી મૂકીને એમાં પાણી ભરવામાં આવશે. ગીર ફોરેસ્ટમાં અત્યારે અંદાજે ૬૦૦ જેટલા સિંહો છે. એક તો સિંહોને આ વિસ્તાર ટૂંકો પડે છે તો સાથો સાથ પાણીના કારણે વલખાં મારવા પડતાં હોવાથી સિંહ આજુબાજુનાં ગામો અને ગીર ફોરેસ્ટના નેસમાં ઘૂસીને હુમલો કરે એવી શકયતા હોવાથી ગીર ફોરેસ્ટમાં જ પાણીની સગવડ કરી આપવી હિતાવહ લાગતાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત ગવર્નમેન્ટ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.