ટ્રમ્પનું બેવડું વલણ: મોદી-ઇમરાન ખાન, બન્ને મારા સારા મિત્રો

0
27

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન બે પરમાણુ શક્તિઓ છે અને એવામાં બન્ને દશોએ કાશ્મીરના મુદ્દાને ઉકેલવો જોઈએ.

તેઓ બન્ને દેશ વચ્ચેનો મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કરશે. ટ્રમ્પે આ વાત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કર્યા બાદ એક પ્રેસ-કૉન્ફરન્સમાં કરી હતી.

ટ્રમ્પે કહ્યું કે જો તમે બન્ને વડા પ્રધાનો તરફ જુઓ તો બન્ને મારા સારા મિત્રો છે. હું તેમને કહું છું કે તેઓ એને ઉકેલી દે, કારણ કે તેઓ બન્ને પરમાણુ શક્તિ છે. નોંધનીય છે કે ટ્રમ્પે સોમવારે ઇમરાન ખાન સાથે વાતચીત કરી હતી ત્યાર બાદ બીજા દિવસે તેમણે નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષી વાતચીત કરી હતી.

ટ્રમ્પે કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે છેલ્લા થોડા સમયમાં અનેક વાર મધ્યસ્થીની રજૂઆત કરી છે. તેઓએ ફરી એક વાર આ મુદ્દે મદદની વાત કરી છે.

તેઓએ કહ્યું કે પાકિસ્તાન અને ભારતના સંબંધોમાં અમે કાશ્મીર વિશે વાત કરી અને હું જે પણ મદદ કરી શકું છું એની મેં રજૂઆત કરી અને એ મદદ મધ્યસ્થી છે. હું જે કરી શકું છું એ કરીશ, કારણ કે આ ખૂબ ગંભીર મામલો છે અને આશા રાખું કે એ સારી સ્થિતિમાં થઈ જશે.

ભારતનું માનવું છે કે કાશ્મીર એક દ્વિપક્ષી મામલો છે અને એમાં કોઈ ત્રીજા દેશનો હસ્તક્ષેપ તેમને મંજૂર નથી.

ટ્રમ્પનાં નિવેદનો પર પ્રતિક્રિયા આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા ર‌વિશ કુમારે કહ્યું કે આ મુદ્દે વડા પ્રધાન અને વિદેશસચિવ પહેલાં જ પોતાની વાત રજૂ કરી ચૂક્યા છે.