નલિયા સામૂહિક રેપ કેસમાં કોઇને છોડાશે નહીં : જાડેજા

0
22
ભોગ બનનાર યુવતી તપાસ પંચ સમક્ષ હાજર થઇ નથી જેથી કોઇ નિષ્કર્ષ આપી શકાયો નથી :જાડેજા દ્વારા નિવેદન

અમદાવાદ, તા.૨૬
કચ્છ જિલ્લાના નલિયામાં એક યુવતી ઉપર ઓગસ્ટ-૨૦૧૫થી નવેમ્બર-૨૦૧૬ દરમિયાન સામૂહિક દુષ્કર્મ આચરવાના ચકચારભર્યા પ્રકરણમાં સરકાર દ્વારા આ કેસનો તપાસ રિપોર્ટ આખરે આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો. જા કે, તેમાં નલિયાકાંડમાં દુષ્કર્મ અંગે કોઇ પુરાવા જ નહી મળ્યા હોવાના ચોંકાવનારા ખુલાસો કરાતાં સમગ્ર કાંડ પર ઠંડુ પાણી રેડી દેવાયું હોવાની વાત વિપક્ષ કોંગ્રેસે ઉચ્ચારી હતી. નલિયાકાંડમાં ભાજપના જ સ્થાનિક નેતાઓ અને આગેવાનોની પણ સંડોવણી જે તે વખતે સામે આવી હતી અને તેના કારણે સમગ્ર ગુજરાતમાં નલિયા સેક્સકાંડના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. બાદમાં, નલિયાકાંડની તપાસ માટે જસ્ટિસ એ. એલ. દવેના અધ્યક્ષ પદે તપાસ પંચ બનાવવામાં આવ્યું હતું. તપાસ પંચનો રિપોર્ટ આજે ગુજરાત વિધાનસભામાં મૂકવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં એ.એલ.દવે કમિશનને રાજ્યમાં ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે ભલામણો કરવામાં આવી છે. જ્યારે તપાસ અહેવાલ પ્રમાણે દુષ્કર્મની ઘટના બની હોવા અંગે કોઈ સાહિત્ય મળ્યું ન હોવાની નોંધ કરવામાં આવી છે. તપાસ પંચના અહેવાલ મુજબ, ઓગષ્ટ-૨૦૧૫ થી નવેમ્બર-૨૦૧૬ દરમ્યાન કચ્છ જિલ્લાની યુવતી ઉપર બળાત્કારની ઘટના બન્યા અંગેનું કોઈ સાહિત્ય કે વિગતો ઉપલબ્ધ થઈ નથી. આ બનાવ અંગેની વિગતો ઉપલબ્ધ ન હોવાથી પોલીસ અથવા અન્ય સત્તાવાળા કે કોઈ વ્યક્તિઓની ક્ષતિ થયાનું ફલિત થતું નથી. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નલિયા ખાતે બનેલા સામૂહિક બનાવ સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી સંવેદનશીલ સરકારે ઘટનાને પ્રથમ દિવસથી સંવદેનાથી લીધી હતી. ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં લઇ ભોગ બનનાર પીડિતાને યોગ્ય ન્યાય મળે તે માટે તરત જ ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એએલ દવેના અધ્યક્ષપદે તપાસ પંચની રચના કરીને તપાસના આદેશ આપ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, ઘટનાની પણ યોગ્ય તપાસ નિયમ અનુસાર કરવામાં આવી છે તેમાં કોઇ અધિકારીઓએ પોલીસ વિભાગ દ્વારા તપાસમાં કોઇ ચુક ન થઇ હોવાના સ્પષ્ટ નિર્દેશ તપાસ પંચે આપ્યા છે.