નિજાનંદ રિસોર્ટમાં ૧૨ લાખ, ઈગલટનમાં ૨૫ લાખ ખર્ચ્યા

0
43

અમદાવાદ, તા.૭
રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલની જીતને પડકારતી અરજી મામલે આજે ગુજરાત કોંગ્રેસના તત્કાલીન પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ હાઈકોર્ટમાં ખર્ચની વિગતો રજૂ કરી હતી. જેમાં તેમણે ૨૦૧૭માં યોજાયેલી રાજ્યસભા ચૂંટણી સમયે આણંદના નિજાનંદ રિસોર્ટ ખર્ચ રૂ.૧૨ લાખ અને બેંગાલુરૂના ઈગલટન રિસોર્ટનો ખર્ચ રૂ.૨૫ લાખના આંકડા અને હિસાબ રજૂ કર્યા હતા. ભરતસિંહ સોલંકી દ્વારા ખર્ચના આંકડા અને કેટલાક દસ્તાવેજા પણ રજૂ કરવામાં આવ્યા હતા. જા કે, તેમની જુબાનીમાં કેટલીક બાબતોને લઇ વિસંગતતા પણ સામે આવી હતી, જેને લઇ હાઇકોર્ટે પૃચ્છા કરી હતી. આજે ભરતસિંહ સોલંકીની જુબાની પૂર્ણ થઇ હતી. આ પહેલા ગઇકાલે તા.૬ જુલાઈના રોજ ભરતસિંહે કોર્ટમાં જુબાની આપી હતી કે, રાજ્યસભા ચૂંટણી સમયે ધારાસભ્યોને બેંગાલુરૂ મોકલવાનો નિર્ણય મારો હતો. અહમદ પટેલે આ અંગે નારાજગી પણ દર્શાવી હતી.

પરંતુ ભાજપની ભાંગફોડ વૃત્તિના કારણે તેમણે આ પગલું લીધુ હતું. ગત તા.૬ જુલાઈએ અરજદાર અને ભાજપના નેતા બળવંતસિંહના વકીલ તરફથી તેમને ધારાસભ્યોને બેંગ્લોર મોકલવા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે ઓગસ્ટ-૨૦૧૭ના અંતમાં અમે ધારાસભ્યો માટે એક તાલીમ શિબિર યોજવાનું આયોજન કર્યુ હતું. સૂરજકુંડ, દિલ્હી અથવા બેંગ્લોરમાં તાલીમ શિબિરની વિચારણા હતી, પરંતુ રાજ્યસભા ચૂંટણીના પરિણામે જુલાઇ મહિનામાં કપરી પરિસ્થિતિ અને સંજોગો સર્જાયા હતા. ભાજપની ભાંગફોડ વૃત્તિના કારણે કોંગ્રેસના ધારાસભ્યોને પ્રલોભનો અને ધમકીઓ અપાઇ રહી હતી. તેથી મેં ધારાસભ્યોને બેંગાલુરૂ મોકલવાનો નિર્ણય કર્યો હતો. મેં મારી ઓફિસમાં ફ્‌લાઇટની ટિકિટો બુક કરવા સૂચના આપી હતી. રોકાણ અને અવરજવરનો ખર્ચ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ભોગવ્યો હતો.