પરપ્રાંતીયો પર હુમલાઃ ઠાકોર સેનાના મીડિયા સેલ ઈન્ચાર્જ સહિત અફવા ફેલાવતા 10ની ધરપકડ

0
65
news/MGUJ-AHM-HMU-LCL-crime-branch-caught-a-10-man-to-spread-rumour-on-north-indian-in-gujarat-gujarati-news-596
news/MGUJ-AHM-HMU-LCL-crime-branch-caught-a-10-man-to-spread-rumour-on-north-indian-in-gujarat-gujarati-news-596

રાજ્યભરમાં પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલાને પગલે પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે અને અફવા ફેલાવનારાઓને વીણી વીણીને ઝડપી રહી છે. જેને પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઠાકોર સેનાના પાલનપુરના મીડિયા સેલ ઈન્ચાર્જ સહિત સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારા વધુ 10 લોકોની ધરપકડ કરી છે.

(ભયના ઓથાર તળે પરપ્રાંતીયોઃ ટ્રેનના સમય કરતા 14 કલાક વહેલા પહોંચે છે રેલવે સ્ટેશન)

70-80 પ્રોફાઈલ શોધીને ઝડપી પાડ્યા

આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનાની તપાસ દરમિયાન ઓપન સોર્સ ઈન્ટેલિજન્સની મદદથી ટેકનિકલ સર્વેલન્સના આધારે સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવતા, કોમેન્ટ્સ, પોસ્ટ્સ તથા વીડિયો પોસ્ટ કરનારા અલગ-અલગ લોકોની 70-80 પ્રોફાઈલ શોધી તથા 35 જેટલી વીડિયો લિંક્સ મેળવીને ટેકનિકલ એનાલિસિસ કર્યું હતું. ત્યાર બાદ આરોપીઓને ઓળખી કાઢીને શોધખોળ શરૂ કરી હતી. જેને પગલે ગુજરાતના વિવિધ જિલ્લામાંથી ઓરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

(પરપ્રાંતીયો પર હુમલાઃPM મોદીના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના MEGA SHOW પર રૂપાણી સરકારે પાણી ફેરવ્યું)

રાહુલ પરમાર ઠાકોર સેનાનો સોશિયલ મીડિયા ઈન્ચાર્જ

આ તમામ આરોપીઓ પૈકી બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપાયેલો રાહુલ નગીન પરમાર ગ્રેજ્યુએટ છે. તે મોબાઈલની દુકાનમાં નોકરી કરે છે અને છેલ્લા બે વર્ષથી ક્ષત્રિય ઠાકોર સેનામાં જોડાયેલો છે. તેમજ પાલનપુર મીડિયા સેલનો પ્રમુખ છે. તેની સાથે સાથે તે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટરમાં પોતાના નામથી એકાઉન્ટ ધરાવે છે. માત્ર એટલું જ નહીં, આરોપી 10 જેટલા વોટ્સએપ ગ્રુપ પણ ચલાવી રહ્યો છે અને સમાજમાં બનતી ઘટનાઓ સોશિયલ મીડિયામાં શેર અને પોસ્ટ કરવાનું કામ કરે છે. જ્યારે આરોપી જગદીશસિંહ ઠાકોરે એલએલબીનો અભ્યાસ કર્યો છે. તે પણ સોશિયલ મીડિયામાં અલગ-અલગ પોસ્ટ્સ શેર કરી પરપ્રાંતીયોને નિશાન બનાવે છે.

વૈમનસ્ય ફેલાવતા મેસેજીસ મોકલતા હતા

ક્રાઈમ બ્રાન્ચે આ તમામ આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન કબજે કર્યા છે. તેમજ ફોનની અંદર રહેલા વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ આરોપીઓ વોટ્સએપ ગ્રુપો મારફતે એકબીજા સાથે ગુનાહીત કૃત્યો આચરતા ઝડપાયા છે. તેઓ સામાજિક અશાંતિ અને વૈમનસ્ય ફેલાઈ તથા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવા મેસેજીસ મોકલતા હોવાની જાણ થતા તમામને પકડી પાડવામાં આવ્યા છે.

અમદાવાદ શહેર

કિરણ કુબેરભાઈ મકવાણા(ઉ.વ.31)
ભાવેશ મંગાજી ઠાકોર(ઉ.વ.25)
પ્રવીણ રમેશજી ચૌહાણ(ઉ.વ.20)

અમદાવાદ ગ્રામ્ય
સતીષ સુરેશ સૈજા(પટેલ) (ઉ.વ.21)

બનાસકાંઠા જિલ્લો
જગદીશસિંહ બાલસંગજી ઠાકોર(ઉ.વ.24)
ઈશ્વર ભવરલાલ સોનગરા (ઉ.વ.21)
રાહુલ કુમાર નગીનભાઈ પરમાર(ઠાકોર) (ઉ.વ.24)

કચ્છ પૂર્વ જિલ્લો
તુષાર મગન સોલંકી(ઉ.વ.21)

પાટણ જિલ્લો
અમિત કુમાર સેવંતી લાલ પંચાલ (ઉ.વ.30)
બચુજી સોવનજી ઠાકોર (ઉ.વ.23)