અમદાવાદની વધુ એક ઠગ કંપની SMRMનું ૧૫૦ કરોડમાં ઊઠમણું

0
321
Cops get more ponzi complaints
Cops get more ponzi complaints

SMRMનો આરોપી પ્રણવ ચૌહાણ રેન મુદ્રાનાં કૌભાંડમાં પણ સપડાયેલો હતો : નિકોલ પોલીસની લાપરવાહીની કારણે આરોપીઓને મોકળુ મેદાન મળી ગયું

સનવિલા ન્યુઝ । અમદાવાદ
શહેરના આશ્રમરોડ પર આવેલ કેપીટલ કોમર્શિયલ કોમ્પેલેક્ષમાં સાયન્ટીફિક માર્કેટ રિસર્ચ મીડિયા (SMRM) નામની કંપનીમાં રોકાણકારોને લોભામણી જાહેરાતો આપીને રૂ.૧૫૦ કરોડથી વધુ નાણાં લઈને રફુચક્કર થઈ ગઈ છે. આર્ચર કેર કંપનીની જેમ યુ ટયુબ પર જાહેરાતો આપવાનું કહીને ઠગાઈ આચરવામાં આવતી હતી. કંપની દ્વારા વેબસાઈટમાં મહત્વનો સંદેશો મુકીને રોકાણકારોને જણાવ્યુ છે કે, ટેકનીકલ કારણોસર રોકાણકારોને પેમેન્ટ ૩૧મી જાન્યુઆરી ૨૦૧૯ સુધી કરી શકીશુ નહીં તે માટે સહકાર આપવો. જો કે, રોકાણકારોએ જણાવ્યુ હતુ કે, આ લેભાગુ કંપનીના સંચાલક પ્રણવ માનસીંગ ચૌહાણ અને ભરત શંકલાલ ચાવડા એક જ ગ્રુપના સાત હજારથી વધુ રોકાણકારોના નાણાં ચાંઉ કરી ગયા છે. આ એસએમઆરએસ કંપની ગુજરાત સહિત દેશભરમાં લાખો રોકાણકારો પાસેથી માતબર રકમ ઉઘરાવીને ફુલેકુ ફેરવ્યુ છે. આ અંગે ભોગ બનેલા રોકાણકારોએ સીઆઈડી ક્રાઈમમાં લેખિત ફરિયાદ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, આર્ચર કેર કંપનીના વિનય શાહના ગુનાની કડીઓ હજુ સીઆઈડી ક્રાઈમ ખોલી રહી છે. ત્યાં આ બીજુ જાહેરાતો આપવાની લાલચ આપીને ગુજરાત સહિત દેશભરમાંથી લાખો રોકાણકારો પાસેથી રૂ.૫૫૦૦ અને ૧૫,૫૦૦ ઉઘરાવીને ઠગાઈ આચરવામાં આવી છે.

આશ્રમરોડ પર આવેલ કેપીટલ કોમર્શિયલ કોમ્પેલેક્ષમાં સાયન્ટીફિક માર્કેટ રિસર્ચ મીડિયા (SMRM) નામની કંપની ખોલી હતી.જે કંપનીમાં સંચાલક તરીકે પ્રણવ માનસીંગ ચૌહાણ અને ભરત ચાવડા હતા. આ કંપની દ્વારા યૂ ટયૂબમાં જાહેરાતો આપવાનું કહેવામાં આવ્યુ હતુ.જેમાં રૂ.૫૫૦૦નુ રોકાણ કરનારને ૧૪ માસમાં રૂ.૫૦૦૦૦ આપવામાં આવશે. અને રૂ.૧૫,૫૦૦નું રોકાણ કરનારને ૧૪ માસમાં એક લાખ રૂપિયા આપવાનું કહેવામાં આવ્યુ હતુ.જેમાં રોકાણ કરનાર અન્ય રોકાણકારને લાવે તો તેને કમિશન આપવામાં આવતુ હતુ. આમ પીરામીડ સીસ્ટમ કરીને અમદાવાદ સહિત ગુજરાતના હજારો રોકાણકારો પાસેથી મસ્ત મોટુ રોકાણ કરાવીને કરોડો રૂપિયા કંપની દ્વારા ઉઘરાવી લીધા હતા. આ કંપની દ્વારા રોકાણ કરનારને પેમેન્ટ આપવાનુ થતા ટેકનીકલ કારણોસર ૩૧મી જાન્યુઆરી ૨૦૧૯ સુધી પેમેન્ટ આપી શકાશે નહીં તેમ જણાવી દેવામાં આવ્યુ છે.

કેવી રીતે રોકાણકારોને ફસાવવામાં આવ્યા

SMRM કંપની દ્વારા મોટી દવાની કંપનીઓ સાથે કોન્ટ્રાકટ થયા હોવાનુ દર્શાવવામાં આવ્યુ હતુ.જેમાં યુરોપી સહિતની વિવિધ કંપનીઓના દર મહિને ૮-૧૮ અને ૨૭મી તારીખે વિડીયો રોકાણકારોએ ફરજિયાત જોવાના હતા. યૂ ટયૂબ પર વીડિયો જોયા બાદ તેમાં અન્ય રોકાણકારોને જોડાવો તો તમને દસ ટકા કમિશન આપવામાં આવતુ હતુ.

સવા કરોડનું રોકાણ કરાવનારને ક્રેટા કાર ગિફટની લાલચ

SMRM કંપનીમાં ૨૬મી નવેમ્બર થી ૨૬મી ડિસેમ્બર સુધી રોકાણ કરવારનાર માટે ખાસ ઓફર મુકવામાં આવી હતી.જેમાં સવા કરોડ સુધીનું રોકાણ કરાવનારને ક્રેટા કાર ગીફટ આપવાનું લાલચ આપવામાં આવી છે. બે લાખનું રોકાણ કરાવનારને બે નાઈટ ઉદેપુર, પાંચ લાખનું રોકાણ કરાવનારને ગોવાની ટુર, ૭.૫૦ લાખનુ રોકાણ કરાવનારને લેપટોપ, ૧૨ લાખનુ રોકાણ કરાવનારને એકટીવા, ૨૫ લાખનું રોકાણ કરાવનારને બેઝીક બુલેટ, ૫૦ લાખનું રોકાણ કરાવનારને સેન્ટ્રો, ૭૫ લાખનું રોકાણ કરાવનારને બેલીનો, એક કરોડનુ રોકાણ કરાવનારને સીયાઝ અને ૧.૨૫ કરોડનું રોકાણ કરવાનારને ક્રેટા કાર

રાજ્યના ગૃહમંત્રી સમક્ષ પીડિતોએ ફરિયાદ કરી

નિકોલ સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા હિરેન અરવિંદભાઈ પટેલે SMRM કંપનીના પ્રણવ માનસિંહ ચૌહાણ અને ભરત શંકરલાલ ચાવડા સામે સીઆઈડી ક્રાઈમ અને રાજયના ગૃહમંત્રીને લેખિત ફરિયાદ કરી છે.જેમાં આવી લેભાગુ કંપની સામે તાકીદે કાર્યવાહી કરવા અને વધુ રોકાણકારો ફસાય નહીં તે માટે ઓફિસ તથા બેંકના ખાતાઓ ફીઝ કરવા માટે માંગણી કરી છે.

SMRM કંપનીમાં રોકાણકારો કેવી રીતે ભોગ બન્યા

SMRM કંપનીમાં ૧૫,૫૦૦નું રોકાણ કરનારને દર દસ દિવસે ખાતામાં ૧૬૧૫ જમા આવશે. એટલે કે માસિક રૂ. ૪૮૪૫ જમા થાય અને ૧૪ માસમાં ૧ લાખ રૂપિયા રોકાણકારને આપવાનુ કહેવામાં આવ્યુ હતુ.જેના પગલે ફરિયાદીએ તેમના મિત્રો અને સગાઓને ૧૮મી ઓકટોબરથી રૂ.૪.૯૬ લાખનું રોકાણ તબક્કાવાર કરાવ્યુ હતુ. ત્યારબાદ ૩જી ડિસેમ્બરના રોજ કંપનીના પ્રણવ અને ભરતને ફોન કરતા ફોન રીસવ કર્યા નહોતા. કંપનીમાં જઈને તપાસ કરતા તેઓ આવતા નથી તેમ જણાવી દીધુ હતુ.

સાયન્ટીફીક માર્કેટ રિસર્ચ મીડિયા (SMRM) નામની કંપનીએ રોકાણકારોને લોભામણી લાલચ આપીને ૧૫૦ કરોડ રૂપિયાનુ ફુલેકુ ફેરવ્યુ છે. તે કંપનીની સંચાલક પ્રણવ માનસીંગ ચૌહાણ ૨૦૧૬માં પણ રેન મુદ્રા નામની એમએલએમ કંપની ઉભી કરીને કરોડો રૂપિયા ચાઉ કરીને જેલના સળિયા પાછલ જઇને આવ્યો છે. જેથી લોકોને એકના ડબલ કરવાની લાલચ આપીને છેતરપીંડી કરવામા પીએચડી કરી હોવાનુ પોલીસસુત્રો તરફથી જાણવા મળ્યુ છે. ભરત ચાવડા નામનો આરોપીના પિતા પણ અગાઉ પીએસઆઇ તરીકે નોકરી કરી હોવાનુ જાણવા મળ્યુ છે. જેના કારણે સૌપ્રથમ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ૨૦ દિવસ પહેલા ગયા હતા. ત્યારે પોલીસે માત્ર અરજી લઇને સંતોષ માની લીધો હતો. સોમવારે ઘોરનિદ્રામાંથી નિકોલ પોલીસ જાગી હોય તેમ ભોગ બનનારાઓને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. જેના કારણે ૫૦થી વધારે રોકાણકારો દસ્તાવેજી પુરાવા લઇને પોલીસ સ્ટેશન ગયા હતા. જેથી પી.આઇએ પોલીસ ચોકીએ પીએસઆઇને મળવાનુ કહ્યુ હતુ. પીએસઆઇએ પણ રોકાણકારોની વાત સાંભળી નહોતી અને બુધવારે મળવા માટે બોલાવ્યા છે. નિકોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ બાય-બાય ચાયણી કરતા હોવાથી રોકાણકારો પોલીસ સ્ટેશનના ધકકા ખાવામાં જ દિવસ પુરો થઇ ગયો હતો.

આર્ચર કેરના એમ.ડી વિનય શાહે લખેલી ૧૧ પાનાની ચિઠ્ઠીમાં પણ સાયન્ટિફિક માર્કેટ રિસર્ચ મીડિયા (SMRM) માલિક પ્રણવ ચૌહાણ અને ભરત ચાવડા વિશે ઉલ્લેખ કર્યો છે. જેથી આ કંપનીના તાર પણ વિનય સાથે જોડાયેલા હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી હતી. SMRM કંપનીના સંચાલકોએ રોકાણકારો અને એજન્ટોને વિદેશમાં લઇ જવાના તેમજ ગોવા, ઉદેપુર તેમજ લકઝુરિયસ કારો તેમજ મોઘાદાટ મોબાઇલો અપાવવાની લાલચ આપી હતી. જેના કારણે સૌથી વધારે યુવાવર્ગ આ કંપનીમાં છેતરાયો હોવાનુ જાણવા મળ્યુ છે.
નિકોલ પોલીસની લાપરવાહીની કારણે આરોપીઓને મોકળુ મેદાન મળી ગયું : વિનય શાહ અને ભાર્ગવી શાહની આર્ચર કેર અને ડીજી લોકલ્સની છેતરપીંડીની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામા આવી હતી. પરંતુ નિકોલ પોલીસની બેદરકારીના કારણે તેમાં કોઇ કાર્યવાહી ના કરાતા આખરે સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપવામા આવી હતી. તે જ રીતે સાયન્ટીફીક માર્કેટ રિસર્ચ મીડિયા (SMRM)ની પણ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા રોકાણકારો ગયા હોવા છતાં નિકોલ પોલીસની કામ નહી કરવાની નીતિ અપનાવીને આરોપીઓને છાવરવામા આવતા હોવાનો આક્ષેપ રોકાણકારોએ કર્યો છે.