બધા કાશ્મીરી દેશદ્રોહી નથી, 200 નેતાઓ ફાઈવ સ્ટાર હોટલમાં નજરકેદ છેઃ રામ માધવ

0
72

નવી દિલ્હી, તા. 5. ઓક્ટોબર 2019 શનિવાર

જમ્મુ કાશ્મીરમાંથી સરકારે દુર કરેલી કલમ 370ના મુદ્દે ભાજપના નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે કહ્યુ છે કે, દરેક કાશ્મીરી દેશદ્રોહી નથી.

રામ માધવે હૈદ્રાબાદમાં નેશનલ યુનિટી કેમ્પેઈનના કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યુ હતુ કે, લદ્દાખ અને જમ્મુ કાશ્મીરના લોકો કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ દુર થવાથી ખુશ છે.કાશ્મીર ખીણમાં સ્થિતિ સામાન્ય છે. જોકે કેટલાક મુદ્દા એવા છે જેના પર કામ કરવુ પડશે.

તેમણે કહ્યુ હતુ કે, દરેક કાશ્મીરી દેશદ્રોહી કે ભાગલવાદી નથી.તેઓ તમારા અને મારા જેવા માણસો છે.અમે કલમ 370 હટાવાવાનુ નક્કી એટલા માટે કર્યુ છે કે, અમે કાશ્મીરમાં લોકોને વિકાસનો અધિકાર, રાજકીય અધિકાર અને ગરીમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર આપવા માંગીએ છે.

રામ માધવે કહ્યુ હતુ કે, કાશ્મીરના 200 જેટલા નેતાઓને નજરકેદ રાખવામાં આવ્યા છે.નેતાઓને ફાઈવ સ્ટાર હોટલમાં રાખવામાં આવ્યા છે.જ્યાં તેમન માટે સારી સુવિધાઓ છે.રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સરકારે આ હંગામી પગલુ લીધુ છે.200 લોકો બે મહિનાથી જેલમાં છે અને આખા રાજ્યમાં શાંતિ છે.

તેમણે કહ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીર રાજ્ય આખરે દેશનો હિસ્સો બની ગયુ હોવાથી ત્યાંના લોકો પણ ખુશ છે.લદ્દાખના લોકો પણ સરકારના પગલાથી ખુશ છે.કારણકે તેઓ લાંબા સમયથી કલમ 370 હટાવવાની માંગ કરી રહ્યા હતા.

આ કલમ હટાવવી કેમ જરુરી હતી તે કાશ્મીરની જનતાને પણ સમજાવવામાં આવશે.કાશ્મીરમાં મોટી સંખ્યામાં લોકો આ નિર્ણયના વખાણ કરી રહ્યા છે.બે મહિનામાં કાશ્મીરમાં કોઈ અનિચ્છિનિય ઘટના બની નથી.