હાર્દિક પટેલે 50 હજારના ખર્ચે મસાજ કરાવ્યો, પબમાં ડાન્સ કર્યોઃ દિનેશ બાંભણિયા

0
47
/MGUJ-AHM-HMU-NL-hardik-patel-spent-a-50-thousand-for-massage-and-dance-in-pubdinesh-bambhaniya-gujarati-news-5
/MGUJ-AHM-HMU-NL-hardik-patel-spent-a-50-thousand-for-massage-and-dance-in-pubdinesh-bambhaniya-gujarati-news-5

પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ પાસ કન્વીનર અને સાથી એવા હાર્દિક પટેલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. એક પત્રકાર પરિષદ યોજી દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે, પાટીદારોને અનામત અપાવવા મુદ્દે શરૂ થયેલું આંદોલન આજે ફંટાઇ ગયું છે,હાર્દિક રાજકીય લાભ લઇ રહ્યો છે, હવે અનામતની વાત કરતો નથી અને જેલમાં બંધ અલ્પેશ કથિરિયાને છોડાવવા કોઇ જ પ્રયાસ કર્યા નથી.માત્ર એટલું જ નહીં તેણે બેંગાલુરૂ જઇને લાખો રૂપિયાના ખર્ચે જલસા કર્યા છે. હાર્દિકે ઉપવાસ આંદોલન દરમિયાન જ બેંગાલુરૂ જવા માટે બૂકિંગ કર્યું હતું. આ બૂકિંગથી સ્પષ્ટ થાય છે કે ઉપવાસ આંદોલન રાજકીય હતું.હાર્દિકે બેંગાલુરુમાં 50 હજાર રૂપિયાના ખર્ચે મસાજ કરાવ્યો હતો અને જિંદાલ હોસ્પિટલમાં 3.60 લાખ રૂપિયા ખર્ચ પેટે આપ્યા હતા. કીડનીની સારવારના નામે દિલ્હી ગયેલા હાર્દિકે પબમાં ડાન્સ કર્યો હતો.

સમાજ સાથે દગો કર્યો, ઉપવાસ માત્ર નાટક હતું

દિનેશ બાંભણિયાએ આગળ જણાવ્યું કે, આંદોલનની શરૂઆતમાં અમે પાંચ મિત્રોએ સાથે મળી લડત શરૂ કરી હતી, હાર્દિકને જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ, તેણે સમાજ સાથે દગો કર્યો છે, તે ગુજરાતમાં કોંગ્રેસ કે ભાજપ સિવાય અન્ય પાર્ટીને ફાયદો કરાવવા માટે આંદોલન ચલાવી રહ્યો છે. હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલ માત્ર નાટક હતું, હાર્દિક પાછળ નીતિશ કુમારની JDU સરકાર બેફામ પૈસા વાપરી રહી છે.

પ્રશાંત કિશોર સાથે મીટિંગ યોજી સેટિંગ કર્યું

બાંભણિયાએ વધુમાં જણાવ્યું કે 22 સપ્ટેમ્બર, 2018ના રોજ બેંગાલુરુ ખાતે 7.25 થી 9.15 વચ્ચે JDUના પ્રશાંત કિશોર સાથે મીટિંગ ચાલે છે. હોટેલ ઈરોસ-નહેરુ પેલેસમાં મીટિંગ થઇ હતી, જેમાં ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સિવાય અન્ય પાર્ટીને ફાયદો થાય તે માટે સેટિંગ થયું હતું. દિલ્હીથી આવ્યા બાદ હાર્દિક સાથે એવી પણ વાત થઇ કે અનામત અંગે વાત કરવી નહીં.

બાંભણિયાએ મીડિયા સમક્ષ ડોક્યુમેન્ટ રજૂ કર્યા

આ ઉપરાંત દિનેશ બાંભણિયાએ આરોપોની સાથે કેટલાક ડોક્યુમેન્ટ તથા પોતે કરેલું સોગંદનામું પણ પત્રકારો સમક્ષ રજૂ કરતા જણાવ્યું કે ગુજરાતમાં ચાલતા પાટીદાર અનામત આંદોલનના કન્વીનર અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ માટે તારીખ 15-11-2018થી સુરત ખાતેથી મૌન યાત્રા કાઢવામાં આવશે, જ્યાં સુધી અલ્પેશની મુક્તિ ન થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ જ રહેશે.

માલવણમાં ભાજપ સાથેનું કનેક્શન સામે આવ્યું

દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારે સમિતીની રચના કરવામાં આવી અને હાર્દિક પટેલને મુખ્ય કન્વીનર બનાવ્યો હતો, ત્યારબાદ આંદોલનમાં 14 યુવાનો શહિદ થયા હજારો યુવાનો પર રાજદ્રોહ સહિતનો આરોપ લાગ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આંદોલન નબળું પડી ગયું હતું. અચાનક હાર્દિકે માલવણ ખાતે મહાપંચાયત બોલાવી જેમાં ભાજપના નેતાઓ ખાસ કરીને જીતુ વાઘાણીને પણ આમંત્રણ આપવામાં આવ્યું, ત્યારે ભાજપ સાથેનું તેનું કનેક્શન સામે આવ્યું હતું. આ સમગ્ર વાત અંગે હાર્દિકે કમિટીને અંધારામાં રાખી હતી.