સુનીતા આહુજાએ ગોવિંદાના અન્ય મહિલા સાથે આડાસંબંધ હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

મુંબઈ: બોલિવૂડના હીરો ગોવિંદાની પત્નીએ હાલ જ તેના વ્લોગમાં છૂટાછેડાની અફવાઓ વિશે વાત કરી હતી. હવે એવી માહિતી સામે આવી છે કે ગોવિંદાની પત્ની સુનીતાએ બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી આપી છે. તેમણે ગોવિંદા સાથે દગો અને ત્રાસ આપવાના આક્ષેપ સાથે છૂટાછેડા માગ્યા છે. હાઉટરફ્લાઈટના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોર્ટે ગોવિંદાને 25 મેના રોજ સમન્સ મોકલ્યું હતું અને જૂન મહિનાથી બંને પરિસ્થિતિ સુધારવાના પ્રયાસ કરી રહ્યા છે.સુનાવણી વખતે કોર્ટમાં સુનીતા ઉપસ્થિત રહે છે પરંતુ ગોવિંદા ગાયબ રહે છે. અગાઉ સુનીતાએ પોતાના વ્લોગમાં જણાવ્યું હતું કે જિંદગી ઘણી કડવી થઈ ગઈ છે. સાથે જ તેણે પોતાના લેટેસ્ટ વ્લોગમાં છૂટાછેડાની અફવાઓ ઉપર પણ વાત કરી હતી.પોતાના વ્લોગમાં સુનિતા મંદિરમાં આરતી કરતી દેખાઈ જ્યાં તેણે પુજારી સાથે વાત કરતા કહ્યું કે તે નાનપણમાં મહાલક્ષ્મી મંદિર જતી હતી. રડતાં રડતાં તેણીએ કહ્યું કે, હું જ્યારે ગોવિંદાને મળી ત્યારે માતા પાસે એ જ માગ્યું કે મારા લગ્ન તેની સાથે થઈ જાય અને જીવન સારું જાય. માતાએ મારી બધી બાધા પૂરી કરી અને બે બાળકો પણ આપ્યા.


