
પર્યુષણ જૈન ધર્મનો સૌથી પવિત્ર અને મહત્ત્વપૂર્ણ તહેવાર છે. આ પર્વ ધાર્મિક સાથે વૈજ્ઞાનિક અને આરોગ્યની દ્રષ્ટિએ પણ અત્યંત લાભદાયક છે. MD ફિઝિશિયન અને મેટાબોલિક હેલ્થ એક્સપર્ટ ડૉ. વંદન કાનાબાર જણાવે છે કે પર્યુષણ દરમિયાન કરવામાં આવતો ઉપવાસ શરીર માટે કુદરતી દવા સમાન છે. જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે સૌપ્રથમ શરીરમાં સંગ્રહાયેલું ગ્લુકોઝ વપરાઈ જાય છે. આશરે 12 કલાક સુધી ગ્લુકોઝનો ઉપયોગ થાય છે, પરંતુ ત્યાર પછીના 12 કલાકમાં શરીર ઊર્જા માટે ફેટનો ઉપયોગ શરૂ કરે છે. આ પ્રક્રિયા શરીરની વધારાની ચરબીને ગાળે છે અને શરીરને હળવું બનાવે છે.24 કલાક પછી શરીર ‘ઓટોફેજી’ નામની પ્રક્રિયા શરૂ કરે છે, જેનાથી નબળા અને બિનજરૂરી કોષોને દૂર કરવામાં આવે છે અને નવા કોષોના નિર્માણ માટે પ્રક્રિયા શરૂ થાય છે. આ સમય દરમિયાન શરીરમાં કુદરતી રીતે રિપેરિંગ થવા લાગે છે. આ કારણે નિયમિત ઉપવાસ કરનારાઓના ચહેરા પર તેજસ્વીતા જોવા મળે છે અને તેમની શારીરિક અને માનસિક તંદુરસ્તી વધારે સુધરે છે.આયુર્વેદમાં ઉપવાસને ઉત્તમ ઉપચાર માનવામાં આવે છે. ખાસ કરીને કેન્સર જેવા રોગોમાં ઘણીવાર ઉપવાસની સલાહ આપવામાં આવે છે, કારણ કે ઉપવાસથી શરીરમાંથી ટૉક્સિન દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. પર્યુષણ દરમિયાન માત્ર ખોરાકનો જ ત્યાગ નથી કરવાનો, પરંતુ આપણી અંદર રહેલા અહંકાર, ઈર્ષા, લોભ અને તૃષ્ણાનો પણ ત્યાગ કરવાનો હોય છે. પર્યુષણનો મુખ્ય સાર છે ક્ષમા. જ્યારે આપણે કોઈને ક્ષમા આપીએ છીએ ત્યારે માત્ર તે વ્યક્તિ જ નહીં, પરંતુ આપણે પોતે પણ હળવાશ અનુભવીએ છીએ.


