
સરકારી જમીનમાં દબાણ કરનાર સામે ગાંધીનગર મહાનગરપાલિકાને અનેક ફરિયાદ મળી રહી છે. જેથી આ ફરિયાદને આધારે ગાંધીનગર મહાનગરપાલિકા તંત્રએ કામગીરી હાથ ધરી છે. ઉત્તર ઝોન એસ્ટેટ શાખા દ્વારા શહેરના પેથાપુર વિસ્તારમાં જી.ઈ.બી.ની પાછળ, નદી કાંઠે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે ગાંધીનગર મહાનગર પાલિકાએ 115 દબાણકર્તાઓને તેમના બાંધકામો સંબંધિત આધાર-પુરાવા રજૂ કરવા અંગે ફરમાન કરીને નોટિસ પાઠવવામાં આવી છે.નોંધનીય છે કે, આ દબાણકર્તાઓને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અગાઉ 22 ઓગસ્ટે પણ એક નોટિસ આપવામાં આવી હતી. જોકે, તેના પર કોઈ નક્કર કાર્યવાહી ન થતાં ફરી એકવાર એટલે 10 અને 11 સપ્ટેમ્બરના રોજ ફરી એકવાર કાર્યવાહીના ભાગરૂપે 115 દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી છે. આ નોટીસમાં સાત દિવસની અંદર બાંધકામના કાયદેસરતાના પુરાવા રજૂ કરવા માટે આખરી નોટિસ ફટકારવામાં આવી છે.ગાંધીનગર મહાનગરપાલિકાના એસ્ટેટ શાખા દ્વારા આ દબાણો દૂર કરીને સરકારી જમીનને ખુલ્લી કરાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શહેરી વિકાસને અવરોધતા દબાણોને હટાવીને કાયદેસરતા સ્થાપિત કરવાનો છે. જો નિર્ધારિત સમય મર્યાદામાં દબાણકર્તાઓ દ્વારા યોગ્ય પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો નિયમાનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


