
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા આડેધડ આપવામાં આવતા સમન્સ પર નિયંત્રણ મૂકતા સુપ્રીમ કોર્ટે વકીલોને સમન્સ પાઠવવા મુદ્દે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. આ સાથે સુપ્રીમે ઈડીએ બે વકીલોને આપેલા સમન્સ રદ કરી દીધા હતા. મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈના અધ્યક્ષપદે બેન્ચે કહ્યું, ક્લાયન્ટને આપવામાં આવતી સલાહ માટે ઈડી વકીલોને સમન્સ પાઠવી શકે નહીં. વધુમાં એસપીની મંજૂરી વિના પણ તપાસ અધિકારી ક્રિમિનિલ તપાસ માટે વકીલોને સમન્સ પાઠવી શકે નહીં.ઈડી દ્વારા વકીલોને ક્લાયન્ટને સલાહ આપવા બદલ આપખૂદ રીતે સમન્સ પાઠવવા પર નિયંત્રણ મુકતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ મુદ્દે ઈડીને સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા. ન્યાયાધીશો વિનોદ ચંદ્રન અને એનવી અંજારિયાને સમાવતી બેન્ચે કહ્યું કે, બીએસએની કલમ ૧૩૨ સામાન્ય રીતે વકીલોને પોતાના ક્લાયન્ટ્સ સાથે ગુપ્ત વાતચીતનો ખુલાસો કરતા રોકે છે. જોકે, તે કેટલીક એવી માહિતી આપવાની મંજૂરી આપી શકે છે, જેમ કે કોઈ ગેરકાયદે વસ્તુ અંગે માહિતી અપાઈ હોય અથવા વકીલે કોઈ ગૂના અથવા છેતરપિંડી જોઈ હોય.


