
ખ્રિસ્તીઓના પ્રભુ ઈસુ ખ્રિસ્તના આજે જન્મદિવસ પ્રસંગે શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા લાલ ચર્ચ સહિત વિવિધ ચર્ચ ખાતે વહેલી સવારે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. આ પ્રાર્થના સભામાં ખ્રિસ્તી સમુદાયના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રભુને પ્રાર્થના કરી હતી. શહેરમાં આવેલા 10થી વધુ ચર્ચમાં ક્રિશ્ચન સમાજના બે લાખથી વધુ લોકોએ વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ પવિત્ર પ્રસંગે ક્રિસમસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ખ્રિસ્તીઓના પવિત્ર તહેવાર નાતાલની ઉજવણી શહેર સહિત દેશભરમાં થઈ રહી છે. પ્રભુના જન્મદિનની ઉજવણી પૂર્વે ગઈકાલે તા.24મીએ નાતાલ અગાઉની સાંજ (નાતાલ ઈવ)થી શહેરના લાલ ચર્ચ સહિત તમામ દેવળોમાં કેરોલ સિંગિંગનું આયોજન કરાયું હતું. આજે પ્રભુ ઈસુના જન્મદિન નિમિત્તે સંદેશો આપતા પાદરીએ જણાવ્યું હતું કે આજથી 2025 વર્ષ પહેલા પ્રભુનો જન્મ થયો હતો. પ્રભુએ જણાવ્યું હતું કે પાપોની ક્ષમા કરવાના હેતુથી જ પૃથ્વી પર જન્મ લીધો છે. વડોદરા સહિત ગુજરાત રાજ્ય અને દેશ તથા વિશ્વભરમાં પ્રેમ શાંતિ વધે અને લોકો પાપોમાંથી મુક્તિ મેળવે એવા આશયથી જ પ્રભુએ પૃથ્વી પર જન્મ લીધો હતો. પ્રભુ ઈસુના જન્મદિન નિમિત્તે આજે લાર્જ ચર્ચ ખાતે ભજન પ્રાર્થના સહિત વિશ્વભરના અને દેશના તથા રાજ્ય અને શહેરના લોકોમાં આ પછી પ્રેમ ભાવ વધે, શાંતિ જળવાય એવા સંદેશા સહિત યોજાનારી પ્રાર્થનાનું મુખ્ય મહત્વ છે. સમગ્ર માનવ જાતના ઉધાર માટે લાલ ચર્ચ ખાતે આજે પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રાર્થના સભામાં ખ્રિસ્તી સમુદાયના બે લાખથી વધુ ખ્રિસ્તી ધર્મ પ્રેમીઓએ સમગ્ર માનવ જીવન અને વિશ્વ શાંતિ માટે અર્ચના કરી હતી. પ્રભુ ઈસુના જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ભજન સેવા પ્રાર્થના સહિત ઈસુનો શાંતિનો સંદેશો ફેલાવવાનું આયોજન કરાયું હતું.


