
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2025નો ગઈકાલે 25 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય પ્રારંભ થયો છે. આ કાર્નિવલના પ્રથમ જ દિવસે નાગરિકો અને પ્રવાસીઓ તરફથી ભારે પ્રતિસાદ મળ્યો હતો. સત્તાવાર આંકડા મુજબ, ઓપનિંગ ડે પર કુલ 1,31,255 મુલાકાતીઓએ કાર્નિવલની મુલાકાત લીધી હતી, જે શહેરમાં ઉત્સવ પ્રત્યેની ઉત્સાહભરી ભાવનાને પ્રતિબિંબિત કરે છે.કાંકરિયા કાર્નિવલ 2025ના પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત-નૃત્ય પ્રસ્તુતિઓ, ફૂડ ઝોન, બાળકો માટેની વિવિધ પ્રવૃત્તિઓ થકી કાંકરિયા પરિસરને ઉત્સવમય બનાવવામાં આવ્યો હતો. કાર્નિવલમાં પરિવાર સાથે આવેલા નાગરિકો, યુવાનો અને પ્રવાસીઓએ મનોરંજન સાથે શહેરની સંસ્કૃતિનો અનુભવ કર્યો હતો. પ્રથમ દિવસે મળેલી મુલાકાતીઓની રેકોર્ડ બ્રેક હાજરીને પગલે આગામી દિવસોમાં પણ કાર્નિવલ પ્રત્યે વિશાળ જનસમર્થન જોવા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.કાંકરિયા કાર્નિવલનું આયોજન નાગરિકોને ભવ્ય મનોરંજન, સ્થાનિક કલાકારોને મંચ અને શહેરના પર્યટનને પ્રોત્સાહન આપવાના હેતુથી કરવામાં આવ્યું છે. ત્યારે ખરેખર ગઈકાલે આ કાંકરિયા કાર્નિવલના પ્રથમ દિવસથી જ આ હેતુ સફળ સાબિત થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે અને અમદાવાદ માટે આ આયોજન માત્ર મનોરંજનનો ઉત્સવ નહીં પરંતુ શહેરની સાંસ્કૃતિક ઓળખ, સામૂહિક આનંદ અને પર્યટન વિકાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દેશ-વિદેશમાં વિખ્યાત બનેલા કાંકરિયા કાર્નિવલ-2025નો રંગારંગ પ્રારંભ કરાયો હતો. તે પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલબિહારી વાજપેયીની 101મી જયંતિ નિમિત્તે ભાવવંદના કરીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2014થી સુશાસનના પ્રણેતા એવા અટલજીના જન્મદિવસને ગુડ ગર્વનન્સ ડે તરીકે ઊજવવાની શરૂઆત કરાવી હતી. આ સુશાસન થકી છેવાડાના લોકોને વિકાસના મુખ્યપ્રવાહમાં જોડી શકાય છે.


