
પોપ્યુલર સિંગર કિંજલ દવેએ આંતરજ્ઞાતિય યુવક સાથે સગાઈ કરતાં તેના સમાજે બહિષ્કાર કર્યો હતો. આ જ રીતે હવે વધુ એક સિંગરના લવમેરેજને લઈ વિવાદ થયો છે. સુરત શહેરની જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમલગ્નનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે પ્રેમલગ્ન કર્યા છે. આ પ્રેમલગ્નને લઈ સમાજ અને સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થયો છે. આ સામાજિક વિવાદ વચ્ચે યુવા પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાનું મહત્ત્વનું અને સૂચક નિવેદન સામે આવ્યું છે. તેમણે આ ઘટનામાં યુવતી દ્વારા મળેલી સ્વતંત્રતાના દુરુપયોગ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે તેમજ દીકરીના પિતાએ રડતાં રડતાં દિવ્ય ભાસ્કર સામે વ્યથા ઠાલવી હતી.આરતીના પિતા લેસપટ્ટીનું કામ, એટલે કે સાડીના જોબવર્કનું કામ કરે છે. તેમને કુલ 5 દીકરી અને એક દીકરો છે, જેમાં આરતી અને તેની બહેન ટ્વિન્સ છે, જેમાં આરતી નાની છે, જ્યારે ભાઈ સૌથી નાનો છે. આ અંગે આરતીના પિતાએ જણાવ્યું હતું કે હું વિનંતી કરું છું કે તું પરત આવી જા અને સમાજ આપણો, આપણી સાથે છે. આપણો પરિવાર આપણી સાથે છે. જે ભૂલ થઈ હોય ઈ..ઈ ભૂલને સુધારી નાખ. હજી સમય છે અને તું પરત આવી જા.’છેલ્લી મારે 16 ડિસેમ્બરે બપોરે એકથી દોઢ વાગ્યે વીડિયો કોલમાં વાત થઈ. ભાવનગર પ્રોગ્રામ હતો અને ભાવનગરથી પ્રોગ્રામ પૂરો કરીને વીડિયોમાં વાત થઈ અને પછી તેણે કહ્યું હતું કે હું સાંજે બસમાં બેસી જઈશ પપ્પા, સવારમાં હું પહોંચી જઈશ. મેં તેને કીધું કે તું કામરેજ પહોંચે એટલે મને ફોન કરજે, હું તને લઈ જઈશ. આ છેલ્લી વાત મારે થઈ હતી. પછી ફોન સ્વિચ ઓફ થઈ ગયો એટલે પછી મેં એક દિવસ પછી ગુમ થયાની ફરિયાદ બપોરે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.’


