
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના તત્કાલીન સંચાલકો સામે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. શાળાની પ્રવેશ પ્રક્રિયા અને સંચાલન સંબંધિત વિવિધ મુદ્દાઓને લઇને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેના પર જસ્ટિસ નિર્જર દેસાઇની બેન્ચ સમક્ષ વિગતવાર સુનાવણી હાથ ધરાઇ હતી.
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સંચાલકોને આકરા શબ્દોમાં પૂછ્યું હતું કે, ‘શું માતા-પિતા પોતાના બાળકોને ગુમાવવા તમારી શાળામાં મોકલે છે?’ કોર્ટે વધુમાં પ્રશ્ન કર્યો કે, ‘શું આજે મૃત બાળક તેના પરિજનોને પરત મળી શકશે?’ આવી ટકોર સાથે કોર્ટે શાળા સંચાલનની ગંભીર નિષ્ફળતાઓ તરફ ઈશારો કર્યો હતો.
કોર્ટે નોંધ લીધી કે ઘટનાના સમયે શાળાનો વોચમેન સૂઈ રહ્યો હતો અને મદદ માટે કોઈ પણ વ્યક્તિ આગળ આવી નહોતી. બાળકોની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા ન હોવા બાબતે હાઇકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, કોઈ પણ સંસ્થામાં બાળકોને પ્રવેશ આપતા પહેલા પૂરતી ચેતવણી અને સુરક્ષા વ્યવસ્થા હોવી અનિવાર્ય છે.
હાઇકોર્ટે સંચાલકોને પ્રશ્ન કર્યો કે, ‘તમે માત્ર વળતર આપીને છટકી જશો, પરંતુ માતા-પિતાના સપનાઓનું શું?’ સાથે જ કોર્ટે ટકોર કરી કે શાળા સંસ્થાને માત્ર પૈસા છાપવાનું મશીન બનાવવું યોગ્ય નથી. કોર્ટે આ બાબતની પણ નોંધ લીધી કે જ્યારે જ્યારે રાજ્ય સરકારે શાળા સામે કાર્યવાહી કરી છે, ત્યારે તેની સામે હાઇકોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી. આ સ્થિતિ પણ શાળા સંચાલનની નીતિ અને વલણ પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે.


