
મુંબઈ: પન્નાસ ખોકે એકદમ ઓકે ના વિરોધ પક્ષના નારા વચ્ચે આજે ભાજપના ઉમેદવાર રીતુ તાવડે મૅયર અને શિંદેસેના ના સંજય ધાડી મુંબઈના ડેપ્યુટી મૅયર પદે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં પાલિકા મુખ્યાલયના સભાગૃહમાં તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા ભાજપના નગરસેવકો એ જય ભવાનીના નારા સાથે સભાગૃહ ગજાવી દીધું હતું. મેયર ના નામની જાહેરાત સાથે જ મુંબઈ મહાનગરપાલિકામાં ચાર વર્ષથી રહેલા વહીવટી શાસનનો અંત આવ્યો હતો, જે સાત માર્ચ, ૨૦૨૨ના ચૂંટાયેલા નગરસેવકોના કાર્યકાળ પૂરા થયા બાદ લાગુ થયો હતો. દક્ષિણ મુંબઈમાં પાલિકા મુખ્યાલયના બહાર મોટી સંખ્યામાં ભાજપ સમર્થકો ઉમટી પડ્યા હતા અને પાલિકા સભાગૃહમાં ભાજપના નગરસેવિકા રીતુ તાવડે મુંબઈના ૭૭માં મેયર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવતા સમર્થકોએ જ્યજયકારના નારા લગાવીને ભાજપની ઐતિહાસિક જીત નો જશ્ન મનાવ્યો હતો. પાલિકા કમિશનર ભૂષણ ગગરાનીને તેમના નામની જાહેરાત કરી એ દરમયાન વિરોધપક્ષે પન્નાસ ખોકે એકદમ ઓકે અને ચોર ચોર ના નારા સાથે સભાગૃહમાં નારા લગાવ્યા હતાં.
મેયર પદની જાહેરાત બાદ કોંગ્રેસ અને ઉદ્ધવ સેના નગરસેવકો સાથેના વિરોધ પક્ષે મેયર ને ઘેરી વળ્યા હતા અને તેમને ભાષણ કરતાં અટકાવ્યા હતા. આ દરમ્યાન સભાગૃહમાં હાજરી આપ્યા બાદ ફડણવીસ અને શિંદે એ મુંબઈગરા નો આભાર માન્યો હતો અને આગામી પાંચ વર્ષમાં મુંબઈના વિકાસ પર ધ્યાન આપવા પર તેમણે ભાર આપ્યો હતો. ભાજપ માટે પણ ૪૪ વર્ષ પછી મુંબઈ મહાનગરપાલિકામાં પુનરાગમન થયુ હતું. એ સાથે જ એશિયાની સૌથી શ્રીમંત કહેવાતી મુંબઈ મહાનગરપાલિકામાં શિવસેનાનું ત્રણ દાયકા સુધી રહેલા શાસનનો અંત આવ્યો હતો. મુંબઈ મહાનગરપાલિકા-૨૦૨૬ની ચૂંટણીમાં ૨૨૭ વોર્ડમાંથી ૮૯ વોર્ડમાં ભાજપના નગરસેવકો ચૂંટાઈ આવતા તે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ મૅયર પદ માટેની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લેતા રિતુ તાવડે ૧૧ ફેબ્રુઆરીએ મુંબઈના મેયર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. તે સાથે જ મુંબઈમાં પોતાના જોરે મુંબઈ મહાનગરપાલિકા પર કબજો કરવાનું ભાજપનું દાયકા જૂનું સપનું પૂરું થયું છે. શિંદેસેનાના સંજય ઘાડી ડેપ્યુટી મૅયર પદ સંભાળશે. મુંબઈમાં ભાજપના પહેલા મૅયર ડૉ. પ્રભાકર પૈ હતા, જેમણે ૧૯૮૨થી ૧૯૮૩ સુધી પાર્ટીની સ્થાપનાના થોડા વર્ષ સુધી પદ સંભાળ્યું હતું. એ બાદ ૧૯૯૭માં અવિભાજિત શિવસેનાએ મુંબઈ મહાનગરપાલિકામાં સત્તા મેળવી હતી. ભાજપની ૨૬ બેઠક સામે તેમણે ૧૦૩ બેઠકો જીતી હતી. તેથી શિવસેનાએ તેમની સાથે મૅયર પદ કે પછી અન્ય કોઈપણ વૈધાનિક સમિતિના અધ્યક્ષપદની વહેંચણી કરવાનો ઈનકાર કર્યો હતો. તેથી ભાજપ પાસે ફક્ત સ્પેશિયલ કમિટી જ રહી હતી. હવે લગભગ ત્રણ દાયકા બાદ ભાજપ સૌથી ધનિક ગણાતી મુંબઈ મહાનગરપાલિકા પર સંપૂર્ણરીતે નિયંત્રણ મેળવવા માટે તૈયાર થઈ ગઈ છે. બુધવારના મેયર તરીકે રીતુ તાવડેનું નામ સત્તાવાર રીતે જાહેર થતાં જ મુંબઈ મહાનગરપાલિકામાં ચાર વર્ષના વહીવટી શાસનનો અંત આવ્યો હતો, જે તેના ૧૫૦ વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી લાંબો ગણાય છે.
મુંબઈ મહાનગરપાલિકાના તત્કાલિકન કમિશનર ઈકબાલસિંહ ચહલને આઠ માર્ચ, ૨૦૨૨ના રોજ રાજ્યના પ્રશાસક તરીકે નીમવામાં આવ્યા હતા અને માર્ચ, ૨૦૨૪માં ભૂષણ ગગરાણી તેમને સ્થાને આવ્યા હતા. આ સમયગાળા દરમ્યાન ચૂંટાયેલા નગરસેવકોને બદલે પાલિકાનો કારભાર કમિશનરના નેતૃત્વમાં પાલિકાના અધિકારીઓ અને બ્યુરોકેટ્સ દ્વારા ચલાવવામાં આવતો હતો. ચૂંટાયેલા નગરસેવકો હવે ફરી આવ્યા હોવાથી મુંબઈના ૨૬ પ્રશાસકીય વોર્ડ અને ૨૨૭ નગરસેવકો ફરી તેમના કામ શરૂ કરશે.


