
મુંબઈ: બોમ્બે હાઇકોર્ટે ગુરુવારે જણાવ્યું કે ભાગેડુ આર્થિક અપરાધી વિજય માલ્યાએ પહેલાં ભારત પરત આવવું જોઈએ. અમે તરત જ તેમની અરજી પર સુનાવણી શરૂ કરીશું. જો તેઓ પરત આવવાનો નથી, તો અમે આ અરજી પર સુનાવણી શા માટે કરીએ? તેમાંથી શું હાંસલ થશે? કેન્દ્ર સરકારે પણ એ જ વલણ અપનાવ્યું અને કહ્યું કે વિજય માલ્યાએ ચર્ચા માટે ભારત પરત આવવું જોઈએ. તેમનો દાવો શું છે? તેમણે કઈ લોન લીધી છે અને કઈ નહીં? તે પૈસા ક્યારે અને કેવી રીતે પરત કરશે? સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્પષ્ટ કર્યું કે, અમે તેની વાત સાંભળવા માટે તૈયાર છીએ.વરિષ્ઠ વકીલ અમિત દેસાઈએ તેની તરફથી હાઇકોર્ટને જણાવ્યું કે, વિજય માલ્યા હાલમાં લંડનમાં છે. આ પર કોર્ટે કહ્યું કે જે લોકો નાણાંકીય છેતરપિંડીને કારણે વિદેશ ભાગી ગયા છે, તેઓએ ત્યાંથી અરજી દાખલ કરવી યોગ્ય નથી. ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અંખડની બેન્ચે ગુરુવારે જણાવ્યું કે, પહેલા અમને જણાવો કે તે ભારત ક્યારે આવશે, પછી અમે તેની અરજી પર સુનાવણી કરીશું. સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી કોઈપણ કાનૂની પ્રક્રિયા સ્થગિત કરવામાં નહીં આવે, એમ સ્પષ્ટ કરવામાં આવ્યું. સાથે જ, તમારી અરજીને નામંજૂર કરીને અમે તમને આ છેલ્લી તક આપી રહ્યા છીએ.ભારતીય બેંકોમાંથી હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને વિદેશ ભાગેલા વિજય માલ્યાને બ્રિટનમાંથી ભારત પરત લાવવાની પ્રક્રિયા હાલમાં અંતિમ તબક્કામાં છે. તેથી, તે બ્રિટિશ અદાલતોમાં આ કાનૂની પ્રક્રિયાનો ગેરઉપયોગ કરે તેવી શક્યતા છે આથી, કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને આ અરજી નામંજૂર કરવાની વિનંતી કરી છે. જોકે, સુપ્રીમ કોર્ટના કેટલાક અગાઉના ચુકાદાઓ અનુસાર આવા કેસોમાં આરોપીને દેશ પરત આવવા માટે મજબૂર કરી શકાય નહીં અને તે અહીં હાજર ન હોય તો પણ તેની અરજી પર સુનાવણી થઈ શકે છે.તેમ છતાં, હાઇકોર્ટે આ દલીલને નામંજૂર કરી અને 18 ફેબ્રુઆરીની આગામી સુનાવણીમાં તેમના વકીલોને ભાગેડુ વિજય માલ્યા ભારત ક્યારે પરત ફરશે તેની માહિતી આપવા નિર્દેશ આપ્યો.


