
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આસામ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે, જેમાં તેમણે આદિવાસી લોકોની જમીન, વારસો અને ગૌરવનું રક્ષણ અને 5 લાખ કરોડ રૂપિયાના માળખાગત રોકાણનું વચન આપ્યું હતું. ભાજપના ‘સંકલ્પ પત્ર’માં 31 વચન સામેલ છે જેમાં બાંગ્લાદેશી ‘મિયાઓ’ દ્વારા કબજે કરાયેલી જમીન પાછી મેળવવા, યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા અને રાજ્યના વિકાસ તેમજ યુવાઓ માટે રોજગારની તકો સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે. સીતારમણે જણાવ્યું કે આ મેનિફેસ્ટો ‘રાજ્યમાં એક દાયકાના બદલાવ’ પર આધારિત છે જેને કોંગ્રેસ 60 વર્ષથી મેળવી શકી નથી. સીતારમણે આરોપ લગાવ્યો કે, ‘કોંગ્રેસનું નોર્થ ઇસ્ટના લાંબા સમયના વિકાસ પર કોઇ ધ્યાન નહતું, કારણ કે તેમની રાજનીતિ તેના પર ટકેલી છે.’ સીતારમણે દાવો કર્યો કે રાજ્યમાં ભાજપના શાસન દરમિયાન મોટા પાયે વિકાસ થયો છે. કેટલાક યુવા અસમિયા લોકો પોતાના ગ્લોબલ કરિયરને છોડીને આસામ પરત ફરી રહ્યા છે, આ કોઇ મજબૂરીને કારણે નહીં પણ અહીં મળતી તક કારણ છે.
નિર્મલા સીતારમણે જણાવ્યું કે, ભાજપે ‘આસામે શાંતિ સ્થાપી છે અને વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે સ્થિરતા હોય. કોંગ્રેસની નીતિઓને કારણે આસામે 32 વર્ષ સુધી અફસ્પા એક્ટમાં રહેવું પડ્યું પરંતુ ભાજપે આ સુનિશ્ચિત કર્યું કે આ કાયદાને રાજ્યના મોટાભાગમાંથી હટાવવામાં આવશે.’મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું, ‘2015-16માં આસામનો GSDP 2.24 લાખ કરોડ રૂપિયા હતું અને આજે 2025-26માં આ 7.41 લાખ કરોડ રૂપિયા છે. 2020-21માં પ્રતિ વ્યક્તિ આવક 1.03 લાખ રૂપિયા હતી જ્યારે 2024-25માં આ 1.59 લાખ રૂપિયા છે. માત્ર 4 વર્ષમાં 54 ટકાનો વધારો થયો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને પવિત્ર માર્ગારેટા, રાજ્ય ભાજપના અધ્યક્ષ દિલીપ સૈકિયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત પાંડા, રાજ્ય મંત્રી મંડળના મંત્રી અને પાર્ટીના અન્ય સીનિયર નેતા સામેલ હતા. રાજ્યની 126 વિધાનસભા બેઠક માટે ચૂંટણી 9 એપ્રિલે યોજાશે જ્યારે મતની ગણતરી 4 મેએ કરાશે.
