
અનંત અંબાણી સનાતન ધર્મમાં અતૂટ આસ્થા ધરાવે છે, જે તેમના કાર્યોમાં પ્રતિબિંબિત થાય છે. દ્વારકામાં દર્શનાર્થે આવતા હજારો યાત્રાળુઓ માટે આધુનિક ‘યાત્રી ભવન’ અને શારદાપીઠમાં વરિષ્ઠ નાગરિકો તેમજ દિવ્યાંગો માટે ‘એસ્કેલેટર’ની સુવિધા ઊભી કરવામાં આવશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીએ પોતાના 31મા જન્મદિવસની ઉજવણી અનોખી અને પરોપકારી રીતે કરી છે. માત્ર વ્યક્તિગત આનંદને બદલે તેમણે સામાજિક જવાબદારીને પ્રાધાન્ય આપીને વિવિધ ક્ષેત્રોમાં સખાવતી કાર્યો દ્વારા આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રસંગે કુલ 31 નવી અને પાયાની પહેલોની જાહેરાત કરવામાં આવી છે.અંબાજી મંદિરમાં 1 વર્ષ માટે ભોજન પ્રસાદીની સેવા દ્વારા અંદાજે 26 લાખ ભક્તોને લાભ મળશે. સોમનાથ મંદિરમાં સવાર-સાંજની ભોજન સેવા અને નાથદ્વારામાં શ્રીનાથજીની ‘અનંત સેવા’ અંતર્ગત લાખો વૈષ્ણવોને અન્ન પ્રસાદ પૂરો પાડવામાં આવશે.આરોગ્ય ક્ષેત્રે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સારવાર લેતા 2.26 લાખથી વધુ દર્દીઓને 1 વર્ષ માટે પૌષ્ટિક ભોજન પૂરું પાડવાની જવાબદારી લેવામાં આવી છે. ‘પ્રોજેક્ટ દ્રષ્ટિ’ હેઠળ 1.50 લાખથી વધુ લોકોને આંખની નિઃશુલ્ક સારવાર અને જામનગરના ગ્રામીણ વિસ્તારોમાં મલ્ટી-સ્પેશિયાલ્ટી હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.પશુ કલ્યાણ માટે પડાણામાં પશુ નિદાન કેમ્પ અને સાળંગપુર તેમજ સેતાલુસમાં નવી ગૌશાળાઓનું નિર્માણ કરાશે. ગ્રામીણ માળખાકીય સુવિધાઓમાં સુધારો લાવવા માટે જામનગર, જૂનાગઢ અને વડોદરાના વિવિધ ગામોમાં સામુદાયિક હોલ અને સ્મશાનગૃહોનું નિર્માણ કરવામાં આવશે. જન્મદિવસની ઉજવણીમાં જામનગર રિફાઇનરીના 95,000થી વધુ કામદારોને ફૂડ હેમ્પર્સ અને 15 ગામોની 31,000 મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું છે.સદભાવના વૃદ્ધાશ્રમ અને ખેડાના મહિપતસિંહ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓને આર્થિક મદદ કરીને અનંત અંબાણીએ વરિષ્ઠ નાગરિકો પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો છે. લોક ડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સ્થાનિક સંસ્કૃતિને પણ વેગ આપવામાં આવ્યો છે.શિક્ષણ ક્ષેત્રે, જામનગરના સિક્કા અને ડેરા છીકારી ગામોમાં શાળાઓના નવા મકાનો બાંધવામાં આવશે. જામનગર અને ગીરતારા વિસ્તારના 12,000 વિદ્યાર્થીઓને ટ્રેકસૂટ આપવામાં આવશે. અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સહયોગથી અત્યાધુનિક સામુદાયિક રસોડા દ્વારા દર વર્ષે 55 લાખ ભોજન પીરસવામાં આવશે.
