
માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે બતાવી લીલી ઝંડી
રેલવે યાત્રીઓની સુવિધાને સર્વોપરી રાખતા તથા કચ્છ ક્ષેત્રને દેશની રાજધાની દિલ્હી સાથે સીધો અને ઉત્તમ રેલવે સંપર્ક આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે આજે તારીખ 22 મે, 2026 ના રોજ ભુજ અને દિલ્હી વચ્ચે નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેન સેવાનો શુભારંભ કરવામાં આવ્યો. ટ્રેન નંબર 19403/19404 ભુજ–દિલ્હી–ભુજ એક્સપ્રેસનું ઉદઘાટન માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે લીલી ઝંડી બતાવીને કરવામાં આવ્યું.
આ પ્રસંગે માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આઝાદી પછીથી ભુજ–જાલોર–પાલી ક્ષેત્રને દિલ્હી સાથે સીધી રેલવે કનેક્ટિવિટી આપવાનું સપનું આજે સાકાર થયું છે. તેમણે જણાવ્યું કે દેશભરમાં 1300 રેલવે સ્ટેશનોનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રેલવે માટે રેકોર્ડ બજેટ ફાળવવામાં આવ્યું છે, જેના હેઠળ ગુજરાતમાં 4600 કરોડ રૂપિયાના રોકાણથી 85 સ્ટેશનોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે, જેમાંથી 15 સ્ટેશનોનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત 24 ગતિશક્તિ કાર્ગો ટર્મિનલોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તથા 14,000 કરોડ રૂપિયાના રોકાણથી સમર્પિત ફ્રેઈટ કોરિડોરનું કાર્ય પણ પૂરું થઈ ચૂક્યું છે. તેમણે જણાવ્યું કે તારંગા હિલ–અંબાજી રેલવે લાઇનનું કાર્ય પણ ઝડપી ગતિથી પ્રગતિ પર છે તથા તેના પ્રથમ સેક્શનનો ડિસેમ્બર મહિનામાં પ્રારંભ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે વર્તમાનમાં ભુજ–બરેલી સાપ્તાહિક ટ્રેન સેવા સંચાલિત કરવામાં આવી રહી છે, જેમાં આશરે 80 ટકા યાત્રીઓ બરેલી અને ઉત્તર ભારત ક્ષેત્રના હોય છે. નવી ભુજ–દિલ્હી એક્સપ્રેસના દરરોજના સંચાલનથી યાત્રીઓને વધુ સુવિધાજનક, નિયમિત અને ઉત્તમ રેલવે સેવા ઉપલબ્ધ થશે.
માનનીય રેલવે મંત્રીએ વધુમાં જણાવ્યું કે નવી ભુજ–દિલ્હી એક્સપ્રેસથી ગુજરાતના 6 શહેરો તથા અન્ય 19 શહેરોને દિલ્હીથી સીધી રેલવે કનેક્ટિવિટી પ્રાપ્ત થશે. આ ટ્રેન સેવાથી વિદ્યાર્થીઓ, શ્રમિકો, હસ્તશિલ્પ ઉદ્યોગ સાથે જોડાયેલા કારીગરો, વેપારીઓ, ઉદ્યોગ જગત અને ખેડૂતોને વિશેષ લાભ મળશે. તેમણે કહ્યું કે રણોત્સવ દરમિયાન દિલ્હી અને ઉત્તર ભારતના યાત્રીઓને કચ્છ આવવા માટે દરરોજ સીધી ટ્રેન સુવિધા ઉપલબ્ધ રહેશે, જેનાથી પર્યટનને પણ પ્રોત્સાહન મળશે.
આ પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષોમાં ભારતીય રેલવેનો અભૂતપૂર્વ કાયાકલ્પ થયો છે. તેમણે જણાવ્યું કે તાજેતરમાં જ અમદાવાદ–ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલવે પરિયોજનાની ભેટ પણ ગુજરાતને મળી છે. તેમણે કહ્યું કે ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત નિર્મિત વંદે ભારત અને નમો ભારત રેપિડ રેલ જેવી આધુનિક ટ્રેનોએ માત્ર યાત્રીઓને ઉત્તમ સુવિધા જ પ્રદાન નથી કરી, પરંતુ દેશના વિકાસને પણ નવી ગતિ આપી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દેશની પહેલી બુલેટ ટ્રેન પરિયોજના મુંબઈ–અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું કાર્ય ગુજરાતમાં ઝડપી ગતિથી ચાલી રહ્યું છે તથા 508 કિલોમીટર લાંબી પરિયોજનામાંથી 348 કિલોમીટરનું નિર્માણ ગુજરાતમાં થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2026 ના બજેટમાં ગુજરાતને રેકોર્ડ 17,366 કરોડ રૂપિયાની ફાળવણી પ્રાપ્ત થઈ છે, જે વર્ષ 2014 ની સરખામણીમાં આશરે 29 ગણી વધુ છે. વર્તમાનમાં ગુજરાત રાજ્યમાં 1,28,748 કરોડ રૂપિયાના ખર્ચની વિવિધ રેલવે પરિયોજનાઓ પર કાર્ય પ્રગતિ પર છે. તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા 12 વર્ષોમાં ગુજરાતના તમામ રેલવે માર્ગોનું 100% વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ભુજ સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં શ્રી ત્રિકમભાઈ છાંગા, માનનીય ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્ય મંત્રી, ગુજરાત સરકાર તેમજ માનનીય ધારાસભ્ય – અંજાર, માનનીય સંસદસભ્ય (કચ્છ) શ્રી વિનોદ એલ. ચાવડા, માનનીય ધારાસભ્ય (ભુજ) શ્રી કેશુભાઈ શિવદાસ પટેલ, શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, માનનીય ધારાસભ્ય – અબડાસા, પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી રામાશ્રય પાંડે, મંડળ રેલ પ્રબંધક અમદાવાદ શ્રી વેદ પ્રકાશ સહિત રેલવેના વરિષ્ઠ અધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવો અને અતિથિઓ ઉપસ્થિત રહ્યા.
નવી દૈનિક ટ્રેન સેવાના શુભારંભથી કચ્છ ક્ષેત્રના યાત્રીઓને દિલ્હી માટે સીધી રેલવે સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે. આ ટ્રેન ગુજરાત અને રાજસ્થાનના વિવિધ મહત્વપૂર્ણ શહેરો અને સ્ટેશનોને જોડતાં યાત્રીઓને સુરક્ષિત, સુગમ અને આરામદાયક યાત્રાની સુવિધા ઉપલબ્ધ કરાવશે.
ટ્રેન નંબર 19403/19404 ભુજ–દિલ્હી–ભુજ એક્સપ્રેસ
ટ્રેન નંબર 19403 19403 ભુજ–દિલ્હી એક્સપ્રેસ 23 મે 2026 થી દરરોજ ભુજથી 11:15 કલાકે પ્રસ્થાન કરીને બીજા દિવસે 11:45 કલાકે દિલ્હી પહોંચશે.
તે જ રીતે, ટ્રેન નંબર 19404 દિલ્હી–ભુજ એક્સપ્રેસ 24 મે 2026 થી દરરોજ દિલ્હીથી 16:40 કલાકે પ્રસ્થાન કરીને બીજા દિવસે 19:35 કલાકે ભુજ પહોંચશે.
માર્ગમાં મુખ્ય સ્ટોપેજ
આ ટ્રેન બંને દિશાઓમાં અંજાર, ગાંધીધામ, ભચાઉ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડી, લૂણી, પાલી મારવાડ, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધી નગર-જયપુર, બાંદીકુઈ, અલવર અને રેવાડી સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં 2-ટાયર એસી, 3-ટાયર એસી, સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે.
આ પ્રસંગે સ્થાનિક નાગરિકો અને જનપ્રતિનિધિઓ દ્વારા ભુજથી હરિદ્વાર માટે સીધી ટ્રેન સેવા શરૂ કરવાની માંગ પણ મૂકવામાં આવી હતી, જેના પર પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી રામાશ્રય પાંડેએ સકારાત્મક વિચાર કરવા અને જરૂરી પ્રક્રિયા આગળ વધારવાની ખાતરી આપી.
આ નવી રેલવે સેવા કચ્છ ક્ષેત્રના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
