સદગુરુ કૃપા હી કેવલમ.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- ચિંતનની ક્ષણે.
મિત્રો- શુભ સવાર.
દર્શન એટલે આંખ સામે જે છે, એનાં ગુણ દોષનું વિશ્લેષણ કર્યા વગર એની ગરિમાને આત્મસાત કરવી.
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. સાંપ્રત સમયમાં સમાજ સામે ઘણી બધી સમસ્યા છે, અને એને સુલઝાવવામાં માનવી કેટલુંય ચૂકે છે! માનવતાનાં સાચાં ધર્મને ચૂકીને, ધર્મનાં ખોટાં ચકરડામાં ફસાઈ જાય છે! અને એટલે ઈશ્વર ને ઈશ્વર સમજવું પણ કઠિન પડે છે, કારણ કે ક્યાંક વિજ્ઞાન પડકારે, અને શ્રદ્ધા નબળી પડે! તો ક્યારેક અંધશ્રદ્ધા ખેલ ખેલી જાય, અને ઈશ તત્વ દૂર ચાલ્યું જાય! ઉપરાંત માનવીને ઈશ્વર નિરાકાર છે કે સાકાર? એની દ્વિધા પણ થાય છે! હાં જાણવાં ખાતર તો વેદ, ઉપનિષદ, અને પુરાણો ઉથલાવી નાખ્યાં, પણ અનુભવને નામે કંઈ જ પામ્યા નહીં. એટલે કે જગતની માયા ઈશ્વર છે કે, આ ઈશ્વરની માયાને લીધે જગત છે, એ સમજવું અઘરું છે! એટલું સુક્ષ્મ છે, આ બધું! જીવન ભર આવી અસમંજસમાં સમય જાય છે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ તો એમ કહે છે કે સંપૂર્ણ જગતનું કારણ હું છું, અને આખું જગત દોરામાં પરોવાયેલાં મણિ પેઠે મારી આસપાસ ગૂંથાયેલુ છે! પછી એ પ્રકૃતિ રચિત જગત હોય કે માનવી રચિત એનું વ્યક્તિગત જગત ( સંસાર) હોય, સર્વત્ર મારો જ વ્યાપ છે. આમ જીવ જ્ઞાન, વિજ્ઞાન, અને યોગનાં ત્રાજવે તોળાતો રહે છે. આજે મંગળવાર એટલે ગીતા જ્ઞાનનો દિવસ! આપણે ભગવત્ ગીતાનાં સાતમા અધ્યાયનો 8/9 શ્લોક પર ચિંતન કરીશું
- ભગવત્ ગીતા*
**
રસોઽહમપ્સુ કૌન્તેય પ્રભાસ્મિ શશિ-સૂર્યયોઃ ।
પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ ખે પૌરુષં નૃષુ ॥ ૮ ॥
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે,
હે કુંતીપુત્ર અર્જુન! પાણીમાં જે રસ (માધુર્ય, તૃપ્તિ આપતો ગુણ) છે, તે હું છું.
ચંદ્ર અને સૂર્યનું તેજ હું છું.
બધા વેદોમાં રહેલો ‘ૐ’ (પ્રણવ) હું છું.
આકાશમાં રહેલો શબ્દનો ગુણ હું છું.
મનુષ્યોમાં રહેલું પૌરુષ, શક્તિ, સાહસ અને ઉત્તમ પુરુષાર્થ હું છું.
**
પુણ્યો ગન્ધઃ પૃથિવ્યાં ચ તેજશ્ચાસ્મિ વિભાવસૌ.
જીવનં સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વિષુ ॥ ૯ ॥
પૃથ્વીમાં રહેલી પવિત્ર સુગંધ હું છું.અગ્નિનું તેજ હું છું.બધાં જીવમાત્રમાં રહેલું જીવન હું છું.
તપસ્વીઓના તપમાં પણ હું જ રહેલો છું.
આ બંને શ્લોકોમાં ભગવાન એક અગત્યનું તત્ત્વ સમજાવે છે કે ઈશ્વર માત્ર મંદિરમાં કે મૂર્તિમાં જ નથી, પરંતુ સમગ્ર સૃષ્ટિના દરેક ઉત્તમ ગુણમાં પ્રગટ છે. જ્યારે પાણી પીએ અને તેની તૃપ્તિ અનુભવીએ તો ભગવાનને યાદ કરો.
સૂર્યોદય કે ચંદ્રપ્રકાશ જોઈ તેમાં ભગવાનનું તેજ દેખાય છે! ૐ નો નાદ સાંભળીને અથવા જપ કરીએ ત્યારે એ પરમાત્માનો સ્વર છે.પૃથ્વી પર વરસાદ પછી આવતી સુગંધમાં પણ ભગવાનનો સ્પર્શ છે. દરેક જીવમાં ધબકતું જીવન એ પરમાત્માની જ હાજરી છે. કોઈ સાધક તપ, સંયમ અને સાધના કરે છે, તો તે શક્તિ પણ ભગવાન પાસેથી જ મેળવે છે.આ રીતે ભગવાન અર્જુનને શીખવે છે કે, ઈશ્વરની વિભૂતિ સમાન દિવ્યતાને જીવનની સામાન્ય લાગતી વસ્તુઓમાં પણ ઓળખવાની દ્રષ્ટિ વિકસાવવી જોઈએ.આ શ્લોકોનો સંદેશ એ કે માનવીય જીવન માત્ર ભૌતિક દ્રષ્ટિએ એ નહીં, પણ એક એક ઘટના ઈશ્વરની અભિવ્યક્તિ તરીકે જોવી પડે.
દરેક સારા ગુણમાં ભગવાનનું દર્શન કરવું, અને
જીવનના દરેક ક્ષણને ઈશ્વરસ્મરણ સાથે જોડવું.
બહાર ભગવાનને શોધતાં પહેલાં, પોતાની આસપાસ અને પોતાની અંતરમાં રહેલાં દિવ્ય તત્ત્વને ઓળખવાનો પ્રયત્ન કરવો.આ બંને શ્લોકોનો સાર એ છે કે જગતમાં જ્યાં જ્યાં શ્રેષ્ઠતા, પવિત્રતા, જીવન, પ્રકાશ અને શક્તિ દેખાય છે, ત્યાં, કેવળ ભગવાનનું જ પ્રગટીકરણ છે. તેથી સાધક માટે સમગ્ર જગત કે જેને યોગીઓ મિથ્યા કહે છે, એ જ જગત કે સજીવ નિર્જીવ સૃષ્ટિ ભગવાનનાં દર્શનનું સાધન બની જાય છે. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ એ કહ્યું એમ સહજતાથી આપણે ઈશ્વરની દિવ્યતાને અનુભવી શકતાં નથી, કારણકે જ્ઞાન બાબત આપણી પાસે માત્ર માહિતી છે, કોઈ ઠોસ અનુભૂતિ નથી! અને ઉપરથી આ જાણકારી અહંકારનું આવરણ રચે છે, જ્ઞાન જ આત્મ તત્વને ઉજાગર કરે છે, અને મોહ માયા અહંમના તાંતણા હટતાં જાય તેમ બહાર જેમ સૂર્યોદય થતાં આખું જગત પ્રકાશથી ઝળહળી ઉઠે છે, એમ આત્મ તત્વનું તેજ અંતરમાં એટલું ઓજસ પાથરે છે કે, ક્યાંય મેલ રહેતો નથી, અને એ તેજ ની કાંતિ માત્ર લલાટ પૂરતી સિમિત રહેતી નથી, એક આભા વલયનુ નિર્માણ કરે છે. પરંતુ કેન્દ્રમાં “હું ” અને “મારું” આ બે ભાવ ઈશ્વરને કારણે જ બધું છે, એ સત્યને જાણવાં છતાં, જ્ઞાન અધૂરું રહી જાય, અને અંતે આ બધીય શાસ્ત્રીય વાત આપણી માટે માત્ર કલ્પના બની રહે છે.
સદગુરુ કૃપા કહે છે કે પરમાત્મ તત્વ સુધી પહોંચવા માટે માયાને સમજવી બહુ જરૂરી છે, અને એની માટે પોતાનાં જ જાળાંમાં ફસાયેલાં કરોળિયાથી ઉત્તમ કોઈ ઉદાહરણ નથી! માનવી આ જ રીતે પોતાનો સંસાર ગૂંથે છે, અને પછી ખુદ એમાં જ પૂરાઈ જાય છે. ભગવાન જળમાં માધુર્યની વાત કરે છે, જ્યારે જીવને હવે કેરીનાં રસમાં પણ માધુર્ય અનુભવાતું નથી! પહેલાં એવું હતું કે ભોગ ભોગવતી વખતે તો આનંદ રહેતો, પરંતુ હવે એવું નથી! કાલે મળશે કે નહીં! કેસરનો રસ હોત તો! કેસર હોય તો તાલાળા જૂનાગઢની હોત તો! આટલું વિચારે ત્યાં રસ પૂરો, પછી માધુર્ય ક્યાંથી અનુભવાય! ટૂંકમાં આપણી આંખો સ્થૂળ અને ભૌતિક દર્શનથી આગળ વધે તો એ પ્રાકૃતિક અંગોમાં ઈશ્વર અનુભવી શકાય! સૂર્યને આપણે સૌ જોઈએ છીએ! દર્શન કોણ કરે છે? દર્શન એટલે આપણી આંખ સામે જે છે, એનાં ગુણ દોષનું વિશ્લેષણ કર્યા વગર, એને જજ કર્યા વગર, એની ગરિમાને આત્મસાત કરવી. મંદિરમાં મૂર્તિ સામે ઉભાં રહીએ તો, કેવાં વાધા પહેરાવ્યા છે! આભૂષણ ખોટાં હશે કે સાચાં! શિલ્પકાર મૂર્તિનાં ભાવને બરોબર અંકિત કરી શક્યો નથી! આટલી કાળી મૂર્તિ? શું આ દર્શન છે? વેદનો ૐ કાર, એટલે ધ્વનિનો રણકો કે સ્વરની સચ્ચાઈ ! જે ભાગ્યે જ અનુભવાય. આકાશનો શબ્દ, કોઈ ને કોઈ ઘોંઘાટ અને અપ શબ્દો વચ્ચે એનું મૂળ ક્યાં દેખાય! પૃથ્વી તત્વની ગંધ! આસપાસ વિષય વૃત્તિ કે વાંસનાની દુર્ગંધમાં સમાધિની સુગંધ નાસિકમાં પહોંચે એટલું ધૈર્ય કોને છે? અને હવે તો વરસાદ પણ એવાં આવે છે કે, પ્રથમ વરસાદની ભીની સુગંધ ભાગ્યે જ આવે! પુરુષની શક્તિ એટલે માત્ર પૌરુષત્વ નહીં, પરિવર્તન માટે સાહસ પણ જરૂરી ! સંન્યાસીનું તપ! કળિયુગમાં પહેલાં સંન્યાસી સાચો છે કે ખોટો ? એ પારખવું કઠિન! આપણાં જીવનની સચ્ચાઈ એ છે કે આપણે સિદ્ધ તો છીએ, પણ શુદ્ધ નથી, પવિત્ર નથી, અને એટલે આપણે આસપાસના જગતની દિવ્યતામાં ઈશ્વરને અનુભવી શકતાં નથી! સદગુરુનો બોધ એ છે કે, દ્રષ્ટિને સ્થૂળ દર્શનથી એટલે ભૌતિકતાથી આગળ લઈ જઈએ તો જ દ્રષ્ટિ દર્શન સુધી પહોંચી શકશે! પરમાત્મા આમપણ નિર્ગુણ છે! એટલે એમાં ગુણ શોધવામાં સમય બગાડ્યા વગર આપણાં ગુણોને ઉજાગર કરવાં, દુર્ગુણોને છાવરવાનું બંધ કરવું પડશે, અને તો આ જ માયાને સમજી શકાશે! ગીતાનાં બોધને આ રીતે સમજી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે તો સૌને મારાં આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
