રૂપાણી દર મહિને મનની મોકળાશ કાર્યક્રમ યોજશે

0
18

અમદાવાદ,તા.૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ વર્ષોથી યોજી રહ્યા છે. આ કાર્યક્રમના ભાગરુપે મોદી જુદા જુદા વિષયો ઉપર દેશના લોકો સાથે વાતચીત કરતા રહે છે. હવે આ દિશામાં ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી પણ વધી રહ્યા છે. રૂપાણી હવે પ્રજા સાથે સીધો સંવાદ કરશે અને મનની મોકળાશ કાર્યક્રમ યોજશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યની વિકાસયાત્રામાં નાગરિકો પોતાના સૂચનો-વિચારો આપી શકે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી નાગરિકો સાથે સીધો સંવાદ કરવા પ્રતિમાસ મનની મોકળાશ કાર્યક્રમ યોજશે. પટેલે ઉમેર્યુ કે, રાજ્યના વિવિધ વિસ્તારના નાગરિકો-નિષ્ણાંતો રાજ્યની કલ્યાણકારી યોજનાઓમાં પોતાના સૂચનો આપી શકે તે માટે મુખ્યમંત્રી તેમના ગાંધીનગર ખાતેના નિક્વાસસ્થાને નાગરિકોને બોલાવી મહિનામાં એકવાર આ કાર્યક્રમ યોજશે. જરૂર જણાશે તો મહિનામાં બે વાર પણ આ કાર્યક્રમ પ્રતિમાસ યોજાશે. તેમણે ઉમેર્યુ કે, આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના નાગરિકો, શ્રમિકો, આદિવાસીઓ, ખેડૂતો, શિક્ષણવિદો સાથે મુખ્યમંત્રી સીધો સંવાદ કરશે, ઉપરાંત વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોને પણ આમંત્રિત કરીને તેમની સાથે પણ પરામર્શ કરવામાં આવશે અને વિકાસ યાત્રામાં તેમને પણ સહભાગી કરાશે, જેના પરિણામે વિકાસ યોજનાના લાભો વધુ સરળતાથી છેવાડાના નાગરિકો સુધી પહોંચતા કરી શકાશે. રાજ્યમંત્રીમંડળની બેઠકમાં દેશના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું ગઇ કાલે નિધન થતાં તેઓને શ્રધ્ધાંજલિ આપી ઠરાવ પસાર કરાયો હતો. એ જ રીતે કાશ્મિરને ભારત સાથે એક રૂપ કરવા માટે ૩૭૦ કલમ દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા કરાયો છે તે માટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.