‘દરેક વ્યક્તિએ વાદ-વિવાદ, ધર્મ, જાતિ આ તમામ વસ્તુઓ ભૂલીને બધાને મદદ કરવી જોઈએ.’: હાર્દિક પટેલ

0
17
રાજકોટમાં હાર્દિક પટેલનું ભાજપ પર સાંકેતિક નિવેદન- દરેક વ્યક્તિએ વાદ-વિવાદ, ધર્મ, જાતિ આ તમામ વસ્તુઓ ભૂલીને બધાને મદદ કરવી જોઈએ
રાજકોટમાં હાર્દિક પટેલનું ભાજપ પર સાંકેતિક નિવેદન- દરેક વ્યક્તિએ વાદ-વિવાદ, ધર્મ, જાતિ આ તમામ વસ્તુઓ ભૂલીને બધાને મદદ કરવી જોઈએ

‘હાર્દિક હવે પાટીદારનો જ નહિ, સર્વે સમાજનો!’ રાજકોટમાં ભાજપના એક મંત્રીના નિવેદનથી હાર્દિકના સૂર બદલાયા

રાજકોટ: એક સમયે ‘માત્ર પાટીદાર સિવાય કોઈ નહિ’ આવી વાતો કરનાર હાર્દિક પટેલના સૂર હવે એકાએક બદલાઈ ગયા છે. ભાજપના મનસુખ માંડવિયાના એક નિવેદનથી હાર્દિકે પોતાનાં વલણ અને વાણીમાં સીધો યુ-ટર્ન મારી લીધો છે.ગઈકાલે રાજકોટની મુલાકાતે આવેલા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પાટીદાર સમાજને લઈને બદલાયેલા સૂર જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ‘પાટીદાર એટલે ભાજપ’ના આપેલા નિવેદનને લઈને પ્રતિક્રિયા આપતાં હાર્દિક પટેલે કહ્યું હતું કે ‘ગુજરાતના વિકાસ માટે દરેક રાજકીય પાર્ટીએ તમામ સમાજને સાથે લઈને ચાલવું જોઈએ. દરેક વ્યક્તિએ વાદ-વિવાદ, ધર્મ, જાતિ -આ તમામ વસ્તુઓ ભૂલીને બધાને મદદ કરવી જોઈએ. હાર્દિક પટેલના આ નિવેદનથી પાટીદાર સમાજને લઈને તેના બદલાયેલા સૂર જોવા મળ્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસના નેતા છે અને હવે આગામી દિવસોમાં વર્ષ 2022ની ચૂંટણી આવી રહી છે ત્યારે સર્વ સમાજને સાથે રાખવાનું નિવેદન ખૂબ જ સૂચક અને રાજકીય હોય એવું લાગી રહ્યું છે.પાટીદાર અનામત આંદોલન સમિતિની હાર્દિક પટેલે રચના કર્યા બાદ એક આંદોલનકારી નેતા તરીકે અને પાટીદાર સમાજના પ્રશ્નોની લડત આપતો હાર્દિક પટેલ જોવા મળ્યો હતો. હાર્દિક પટેલની છાપ પાટીદાર નેતા તરીકે ઊપસી હતી, જેથી તેઓ માત્ર એક સમાજ પૂરતા મર્યાદિત રહ્યા હતા. હવે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે ત્યારે માત્ર પાટીદાર સમાજ પૂરતો સીમિત ન રહેવાનું તેઓ પસંદ કરી રહ્યા છે, જેને કારણે તેમના સૂર બદલાયેલા જોવા મળ્યા છે.

માંડવિયાના નિવેદનથી અનેક પાટીદાર અગ્રણીઓ અસહમત
ગઈકાલે હાર્દિકે એવી પણ ટકોર કરી હતી કે ‘પાટીદાર એટલે ભાજપ હોય તો મનસુખ માંડવિયાએ રાજકોટના કોમામાં રહેલા પ્રોફેસર વઘાસિયાની મદદે આવવું જોઈએ’. રાજકોટની સભામાં આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના ‘પાટીદાર એટલે ભાજપ’ના નિવેદનથી અનેક પાટીદાર નેતાઓએ અસહમતી દર્શાવી હતી. આ અંગે લેઉવા પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલે કહ્યું હતું કે પાટીદાર સમાજ ખૂબ જ મોટો સમાજ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વિચારધારાથી જોડાયેલો છે, જેથી મનસુખ માંડવિયાનું આ નિવેદન વ્યક્તિગત હોઇ શકે છે. તો એસપીજીએ પણ આ નિવેદન પર અસહમતી દર્શાવી હતી.હાર્દિક પટેલ કોંગ્રેસના પ્રદેશ નેતા બન્યા બાદ આવેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં જોઈએ એવું કોંગ્રેસને પરિણામ મળ્યું ન હતું, તેથી ગ્રામ્યસ્તરે હાર્દિક પટેલની લોકપ્રિયતા અંગે સવાલો ઊઠી રહ્યા હતા. હવે વર્ષ 2022ની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે માત્ર પાટીદાર સમાજ પૂરતું સીમિત રહેવું હાર્દિક પટેલને પોસાય એમ નથી, તેથી તેઓ હવે સર્વ સમાજને સાથે રાખવાની વાત કરતા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.