દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સાગરદાણ કેસમાં દોષિત જાહેર, 7 વર્ષની સજા

0
13
સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી
ગત વર્ષે આ કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ ઈશ્યુ કરાયા હતા

અમદાવાદઃ  આજે સાગરદાણ કૌભાંડ કેસનો ચુકાદો આવ્યો છે. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી આ કેસમાં દોષિત જાહેર થયા છે. આ કેસમાં કુલ 22 લોકો આરોપી છે. જેમાં  22 આરોપીઓ પૈકી 3ના મૃત્યુ થયા છે. 2013ના વર્ષમાં રૂ.22.50 કરોડનું સાગરદાણ મહારાષ્ટ્રમાં મોકલાવ્યું હતું. 2014માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી હતી. સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી. આ કેસના 19 આરોપી દોષિત સાબિત થયા છે. વિપુલ ચૌધરીને કોર્ટે સાત વર્ષની સજા ફટકારી છે. જો તેઓ સજા પર સ્ટે માટે આગળ કાર્યવાહી નહીં કરે તો કોઈપણ સમયે ધરપકડ થઈ શકે છે.  આ કેસમાં 19 આરોપીઓ પૈકી 15 આરોપીઓને દોષિત ઠેરવીને કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે. જેમાં વિપુલ ચૌધરી સહિત, પૂર્વ એમડી નિશિથ બક્ષી, પૂર્વ  એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પી.આર.પટેલ,  પૂર્વ એકાઉન્ટ હેડ રશ્મિકાંત મોદી, પૂર્વ વાઇસ ચેરમેન જલાબેન ઠાકોરને સજા ફટકારવામાં આવી છે. આ સજા પર સ્ટે માટે જો આગળની કાર્યવાહી નહીં થાય તો કોઈપણ સમયે તેમની ધરપકડ થઈ શકે છે. 19 પૈકી 3 આરોપીઓને શંકાનો લાભ મળતા તેમને અપીલ પિરિયડ સુધીમાં 50 હજારના જાત મુચરકાના જામીન પણ છોડવામાં આવ્યા છે. દૂધસાગર ડેરી સાગર દાણ કેસ મામલે વિપુલ ચૌધરી સામે મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ હાલમાં મહેસાણા કોર્ટમાં ચાલી રહ્યો હતો. ગત વર્ષે આ કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ ઈશ્યુ કરાયા હતા. શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ વિપુલ ચૌધરીને એનડીડીબીના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા. વિપુલ ચૌધરીએ મહારાષ્ટ્રને સાગર દાણ મોકલ્યું, એ જ અરસામાં શકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ ભલામણ પત્ર લખ્યા હતા. વિપુલ ચૌધરી ઉપર એનડીડીબીના ચેરમેન બનવા દાણ આપવાનો આરોપ લાગ્યો છે. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ACBએ ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી એક દિવસ અગાઉ ધરપકડ કરી હતી. તમને જણાવી દઇએ કે, વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપનીઓ બનાવીને રૂ. 800 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ લાગ્યો છે.  મહેસાણાની દૂધસાગર ડેરીમાં કરોડોમાં પ્રોત્સાહન બોનસ ચૂકવી તેની 80 ટકા રકમ પરત મેળવી જ્વેલરીમાં રોકાણ કરવાના તથા મહારાષ્ટ્રમાં વિનમૂલ્યે સાગરદાણ મોકલી મંડળીને 22 કરોડનું નુકસાન કરવા સહિતના કેસમાં સી.આઇ.ડી.એ છ વર્ષ બાદ વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી.