
ગુજરાતને મળ્યો ભારતનો પ્રથમ સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોર, અમદાવાદ–ધોલેરા વચ્ચે બનશે 134 કિમી લાંબો બ્રોડ ગેજ સેમી હાઈ-સ્પીડ કોરિડોર ₹20,667 કરોડના ખર્ચે વિકસિત થશે દેશનો પ્રથમ સ્વદેશી ટેક્નોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ — નમો ભારત ટ્રેનોનું થશે સંચાલન
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિ (CCEA) એ ગુજરાતને દેશનો પ્રથમ બ્રોડ ગેજ સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોર આપતા અમદાવાદ (સરખેજ)–ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને ઐતિહાસિક મંજૂરી આપી છે. અંદાજે ₹20,667 કરોડના ખર્ચે બનનાર આ પ્રોજેક્ટ ભારતીય રેલવેનો પ્રથમ સ્વદેશી ટેક્નોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ હશે, જેમાં ભવિષ્યમાં નમો ભારત ટ્રેનો દોડાવવામાં આવશે.
લગભગ 134 કિલોમીટર લાંબી આ નવી ડબલ રેલ લાઇન અમદાવાદ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR), આવનાર ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાનમથક તેમજ લોથલ સ્થિત નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સને અત્યાધુનિક રેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે. પ્રોજેક્ટની ડિઝાઇન ગતિ 220 કિમી પ્રતિ કલાક અને સંચાલન ગતિ 200 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. આ કોરિડોર પર કુલ 13 સ્ટેશનો વિકસાવવામાં આવશે.
પ્રોજેક્ટ હેઠળ 3 મેગા બ્રિજ, 74 કિલોમીટર વાયાડક્ટ, 39 રોડ અંડર બ્રિજ અને 2 રેલ ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. કુલ ટ્રેક લંબાઈ અંદાજે 293 કિલોમીટર રહેશે. આ પ્રોજેક્ટ આગામી 4 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
માનનીય રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું:
“અમદાવાદ–ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ ભારતીય રેલવેના ઇતિહાસમાં નવી શરૂઆત છે. આ માત્ર એક રેલ લાઇન નથી, પરંતુ ‘ન્યૂ ઇન્ડિયા’ની આધુનિક, ઝડપી અને આત્મનિર્ભર પરિવહન વ્યવસ્થાનું પ્રતિક છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ ભારતીય રેલવે આત્મનિર્ભર ભારતના વિઝનને નવી ગતિ આપી રહી છે. સ્વદેશી ટેક્નોલોજી આધારિત આ પ્રોજેક્ટ ભવિષ્યમાં સમગ્ર દેશમાં સેમી હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણનો આધાર બનશે.”
મંડળ રેલ પ્રબંધક (DRM), ભાવનગર શ્રી દિનેશ વર્માએ જણાવ્યું:
“માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી, રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેંદ્ર પટેલજીના માર્ગદર્શન હેઠળ ભારતીય રેલવેને આ ઐતિહાસિક પ્રોજેક્ટના અમલીકરણનો ગૌરવ પ્રાપ્ત થયો છે. 134 કિલોમીટર લાંબો આ કોરિડોર એક્સપ્રેસવેની સમાનાંતર નવી એલાઇનમેન્ટ પર વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ અમદાવાદ અને ધોલેરા વિસ્તારને વિશ્વસ્તરીય રેલ કનેક્ટિવિટી આપશે. યાત્રિયોને ઝડપી, સુરક્ષિત અને આધુનિક મુસાફરીની સુવિધા મળશે તેમજ ઉદ્યોગ, લોજિસ્ટિક્સ અને રોજગારને નવી ગતિ મળશે.”
તેમણે વધુમાં જણાવ્યું કે વિશ્વનો પ્રથમ બ્રોડ ગેજ સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોર હવે ગુજરાતમાં બનવા જઈ રહ્યો છે. પ્રથમ વખત વિશ્વમાં કોઈ સેમી હાઈ-સ્પીડ ટ્રેન 220 કિમી પ્રતિ કલાકની ઝડપે બ્રોડ ગેજ ટ્રેક પર દોડશે. સમગ્ર પ્રોજેક્ટ અને ટ્રેન સંપૂર્ણપણે “મેક ઇન ઇન્ડિયા” ટેક્નોલોજી પર આધારિત હશે. ટ્રેનોમાં અત્યાધુનિક Kavach 5.0 સુરક્ષા પ્રણાલી સ્થાપિત કરવામાં આવશે, જે સુરક્ષા અને ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શનના નવા ધોરણો સ્થાપિત કરશે.
હાલ સુધી વિશ્વમાં સેમી હાઈ-સ્પીડ ટ્રેનો મુખ્યત્વે સ્ટાન્ડર્ડ ગેજ પર દોડતી આવી છે, પરંતુ ભારત પ્રથમ વખત બ્રોડ ગેજ નેટવર્ક પર 220 કિમી પ્રતિ કલાકની ઝડપનું સફળ મોડેલ વિકસાવવા જઈ રહ્યું છે. આ માત્ર એક રેલ પ્રોજેક્ટ નથી, પરંતુ ભારતીય ઇજનેરી, આત્મનિર્ભરતા અને રેલવે આધુનિકીકરણનો ઐતિહાસિક અધ્યાય છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદ અને ધોલેરા વચ્ચેનો મુસાફરી સમય ઘટીને અંદાજે 1 કલાકથી પણ ઓછો રહેશે તથા ધોલેરાને સીધા અમદાવાદ–મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોર સાથે જોડવામાં પણ સહાય મળશે.
પ્રોજેક્ટના મુખ્ય લાભો:
* અંદાજે 5 લાખથી વધુ વસ્તીને સીધો લાભ
* દર વર્ષે લગભગ 20 લાખ ટન વધારાની માલવહન ક્ષમતા
* લોજિસ્ટિક્સ ખર્ચમાં દર વર્ષે અંદાજે ₹54 કરોડની બચત
* નિર્માણ તબક્કામાં અંદાજે 91 લાખ માનવ-દિવસ રોજગાર સર્જન
* દર વર્ષે અંદાજે 0.48 કરોડ લિટર ઇંધણની બચત
* અંદાજે 2 કરોડ કિલોગ્રામ CO₂ ઉત્સર્જનમાં ઘટાડો — જે લગભગ 10 લાખ વૃક્ષો વાવવાના સમકક્ષ પર્યાવરણીય લાભ સમાન છે
* સાબરમતી, ગાંધીગ્રામ અને વસ્ત્રાપુર સ્ટેશનોં પર મેટ્રો નેટવર્ક સાથે એકીકરણ
* સાબરમતી સ્ટેશન પર બુલેટ ટ્રેન કનેક્ટિવિટી
* મોરૈયા (સાણંદ) ખાતે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર અને ભીમનાથ લોજિસ્ટિક્સ હબ સાથે જોડાણ
આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનને અનુરૂપ વિકસાવવામાં આવી રહ્યો છે, જેનો હેતુ મલ્ટી-મોડલ કનેક્ટિવિટી મજબૂત બનાવવાનો અને ભારતની લોજિસ્ટિક્સ કાર્યક્ષમતાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાનો છે. આ કોરિડોર ગુજરાતને આધુનિક, હરિત અને ઉચ્ચ ગતિના પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નવા યુગમાં પ્રવેશ કરાવતી ઐતિહાસિક પહેલ સાબિત થશે.
અતુલ કુમાર ત્રિપાઠી
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ
