શનિવારે ઉત્તર ગુજરાતમાં અતિભારે, શુક્રવારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

0
11
ગુજરાતમાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં 59 ટકા વરસાદ વરસ્યો
શુક્રવારે સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે

અમદાવાદ : રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી હળવો વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક છૂટોછવાયો અને ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ફરીવાર ચોમાસાના બીજા રાઉન્ડના સંકેતો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. શનિવારથી અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. રાજ્યમાં NDRFની 13 ટીમ અને SDRFની 21 પ્લાટૂન તહેનાત કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ, શુક્રવારે સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. શનિવારે બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. એ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. મંગળવારે રાત્રિના 12 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ સહિત છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, દાહોદ, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 184 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં કપરાડા, માતર, વસો, નડિયાદ, પોશીના, મહેમદાવાદમાં 3થી ચાર ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે. એ ઉપરાંત હાલોલ, અમીરગઢ, ખેડા, વિજયનગર, કડાણામાં બેથી અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સીઝનનો કુલ 20 ઈંચ વરસાદ થયો છે, જેમાં કચ્છમાં 104.09, ઉત્તર ગુજરાતમાં 35.22, મધ્યગુજરાતમાં 50.01, સૌરાષ્ટ્રમાં 58.05 અને દક્ષિણ ગુજરાતમા 75.11 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યમાં 59 ટકા વરસાદ વરસ્યો છે.રાજ્યમાં 30 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે 43 જળાશયોમાં 70 ટકાથી 100 ટકાની વચ્ચે, 29 જળાશયોમાં 50 ટકાથી 70 ટકાની વચ્ચે, 49 જળાશયોમાં 25 ટકાથી 50 ટકાની વચ્ચે, 55 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.રાજ્યમાં 30 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 19 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 11 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 12 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.રાજ્યમાં હાલ કુલ સરેરાશ 59 ટકા વરસાદ નોંધાયો છે, જેમાં 237 તાલુકામાં પાંચ ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે, જેને પરિણામે રાજ્યમાં હાલ કુલ 55.41 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. રાજ્યનાં 30 જળાશય 100 ટકા ભરાયાં છે, જ્યારે 207 જળાશયમાં 54 ટકા પાણીનો સંગ્રહ છે. વરસાદને કારણે પૂરની સ્થિતિવાળા વિસ્તારોમાંથી 60 હજારથી વઘુ લોકોને સલામત સ્થળે ખસેડીને આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યાં હતાં. એ ઉપરાંત અન્ય જગ્યાએ ફસાયેલા 1513 જેટલા નાગરિકોને NDRF તથા SDRFની ટીમો સાથે સંકલનમાં રહીને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતાં. તે ઉપરાંત રાજ્ચમાં કુલ 14642 બસના રૂટમાં જે બંધ કરવામાં આવ્યા હતા એ તમામ રૂટ ફરીવાર શરૂ કરી દેવાયા છે. રાજ્યનાં 18 હજાર ગામ પૈકી માત્ર એક ટકા ગામમાં વીજળી બંધ હતી, એ તમામ ગામોમાં વીજળી ફરીવાર ચાલુ કરી દેવામાં આવી છે.