‘આપ’ને લઈ પુછાયેલા સવાલના જવાબમાં કહ્યું- વરસાદ પડે ત્યારે દેડકાઓ આવે છે, ચોમાસું પૂર્ણ થતાં પરત જતા રહે છે

0
13
નવસારીમાં કથિત મંદિર ડિમોલિશન મુદ્દે 'AAP' બાદ હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે. સ્થાનિકોને ન્યાય અપાવવાની દિશામાં કામગીરી શરૂ કરી છે
કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ રાજકીય હરીફાઈઃ રઘુ શર્મા

નવસારી : નવસારીમાં કથિત મંદિર ડિમોલિશન મુદ્દે ‘AAP’ બાદ હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે. સ્થાનિકોને ન્યાય અપાવવાની દિશામાં કામગીરી શરૂ કરી છે, જેને પગલે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ આજે સર્કિટ હાઉસ ખાતે આવીને સ્થાનિકોને સાંભળ્યા હતા. ત્યારે પત્રકાર પરિષદમાં રઘુ શર્માએ ‘AAP’નું નામ લીધા વગર પ્રહાર કર્યા હતા.આ દરમિયાન પત્રકારોએ આમ આદમી પાર્ટીના વધતાં કદ અને પ્રચારને લઈને પ્રશ્ન પૂછતાં રઘુ શર્માએ કહ્યું હતું કે વરસાદ પડે ત્યારે દેડકાઓ આવે છે, જ્યારે ચોમાસું પૂર્ણ થાય ત્યારે એ પણ જતા રહે છે, એવું જ રાજકીય પાર્ટીઓનું પણ છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નવી પાર્ટીઓ આવે છે, પરંતુ ગુજરાતમાં 40 વર્ષથી વધુનો મને પણ અનુભવ છે. અહીં માત્ર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ રાજકીય હરીફાઈ થશે.નવસારીના જલાલપોરમાં રસ્તાની જગ્યાએ કથિત મંદિર ઊંભું થતાં તંત્રએ ડિમોલિશન કર્યું હતું. ત્યારે આ મુદ્દો બિલ્ડર અને સ્થાનિકોમાંથી પર ઊઠીને હવે રાજકીય બનવા તરફ જઈ રહ્યો છે. ગત દિવસોમાં AAPના નેતા ગોપાલ ઇટાલિયાએ સ્થાનિકો સાથે મળીને ભાજપ અને કોંગ્રેસને આડેહાથ લીધા હતા. ત્યાર બાદ હવે આ મુદ્દે કોંગ્રેસે લાગ જોઈને ઝુકાવ્યું છે.આજે નવસારીમાં આવેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પત્રકાર પરિષદ યોજી ભાજપના શાસનમાં મંદિર ડિમોલિશન દરમિયાન થયેલા અત્યાચાર અંગે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા તેમજ AAPને ઈશારો કરતી કોમેન્ટ કરી જણાવ્યું હતું કે વરસાદની મૌસમમાં જેમ દેડકા બહાર આવે તેમ અન્ય પક્ષો બહાર આવે છે, જોકે ચોમાસું પૂર્ણ થાય એટલે એ પણ જતા રહે છે. એવી જ રીતે ચૂંટણી આવે છે એટલે નવી પાર્ટીઓ આવે છે અને જેવી ચૂંટણી પૂરી થશે કે એ જતી રહેશે. ગુજરાતમાં માત્ર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ હરીફાઈ થશે.