UNમાં જયશંકરે કહ્યું- વૈશ્વિક આતંકવાદીઓનો બચાવ કરતું નિવેદન ઉચ્ચારીને સત્ય છુપાવી શકશો નહીં

0
3
આતંકવાદીઓને બચાવવા માટે કોઈ વ્યાજબી કારણ નથી
આતંકવાદ સહન નહીં કરીએ- જયશંકર

ન્યુયોર્ક : ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 77મા સત્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વિના બંને દેશો પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભારત કોઈપણ સ્વરૂપમાં આતંકવાદને સહન કરશે નહીં. આ માટે ભારત ટૂંક સમયમાં જી-20 અને આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે. જયશંકરે વધુમાં કહ્યું- આતંકવાદની તરફેણ કરતા નિવેદન ઉચ્ચારીને કોઈ પોતાના કૃત્યને છુપાવી શકશે નહીં. તેમનું આ નિવેદન પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા આર્ટીકલ 370 પર આપવામાં આવેલા નિવેદન બાદ સામે આવ્યું છે. ખરેખરમાં, પાકિસ્તાનના પીએમ શાહબાઝે કહ્યું હતું – જમ્મુ-કાશ્મીરને હિન્દુ પ્રદેશ બનાવવાનું ષડયંત્ર ઘડવામાં આવી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો બદલવા માટે ભારતે 5 ઓગસ્ટ 2019ના રોજ એકપક્ષીય પગલું ભર્યું હતું. ભારતના નિર્ણયથી ઉકેલ વધુ મુશ્કેલ બન્યો છે. યુનાઈટેડ નેશન્સ ગુનેગારો પર પ્રતિબંધો લાદીને આતંકવાદનો જવાબ આપે છે, એમ તેમણે જણાવ્યું હતું. UN સુરક્ષા પરિષદ 1267 સમિતિ (સેન્કશન રેજીમ) આતંકવાદીઓ પર પ્રતિબંધ લગાવે છે. જે દેશે UNSCની 1267 સમિતિનું રાજનીતિકરણ અને સંયુક્ત રાષ્ટ્રમાં જાહેર આતંકવાદીઓનો બચાવ કરે છે તેઓ પોતાના જોખમે આમ કરે છે. આમ કરીને તે પોતાની પ્રતિષ્ઠા સુધારી શકશે નહીં. અહીં તેમના સંકેત ચીન અને પાકિસ્તાન તરફ કર્યા હતા. ચીને અનેક વખત પાકિસ્તાનના આતંકવાદીઓને સિક્યોરિટી કાઉન્સિલની ગ્લોબલ ટેરરિસ્ટ લિસ્ટમાં સામેલ કરવા બાબતે રોડા નાંખ્યા છે. એસ જયશંકરે કહ્યું- અમે આતંકવાદને સહન કરીશું નહીં. આતંકવાદ ફેલાવતા અને આતંકવાદીઓને આશ્રય આપતા દેશો સામે કાર્યવાહી કરવી જોઈએ. તેમના 16 મિનિટના ભાષણની શરૂઆત કરતા તેમણે કહ્યું – હું વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાંથી 1.3 બિલિયન લોકોની શુભેચ્છાઓ સાથે લઈને આવ્યો છું. ભારત આઝાદીના અમૃત ઉત્સવની ઉજવણી કરી રહ્યું છે. આ નવું ભારત પીએમ મોદીના નેતૃત્વમાં વિકાસ માટે પ્રતિબદ્ધ છે.રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતાં જયશંકરે કહ્યું- અમને યુક્રેન સંઘર્ષ વિશે પૂછવામાં આવે છે કે અમે કોના પક્ષમાં છીએ અને અમારો જવાબ દરેક વખતે સીધો અને પ્રમાણિક હોય છે. ભારત શાંતિના પક્ષમાં છે. અમે શાંતિની તરફેણ કરીએ છીએ જે વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો એકમાત્ર રસ્તો છે.