
સરકાર 2011ની વસતી ગણતરીના આધારે સીમાંકનની યોજના બનાવી રહી છે. વિપક્ષનો આરોપ છે કે 2029ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. દક્ષિણ ભારતના રાજ્યોને ભય છે કે આ પ્રક્રિયાથી તેમની સંસદીય શક્તિ ઘટી શકે છે અને પ્રાદેશિક સંતુલન બગડી શકે છે.
કેન્દ્ર સરકાર આજે સંસદમાં ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ સહિત ત્રણ મહત્ત્વના વિધેયકો રજૂ કરવા જઈ રહી છે. સરકારનો લક્ષ્ય 2029ની ચૂંટણી પહેલા મહિલાઓ માટે 33% અનામત અને સીમાંકન (Delimitation) ની પ્રક્રિયા પૂર્ણ કરવાનો છે.લોકસભામાં વિપક્ષના વિરોધ પ્રદર્શન પર આકરા પ્રહાર કરતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નારી શક્તિ વંદન અધિનિયમ અંતર્ગત આ ત્રણેય બિલો એકસાથે રજૂ થવાના હતા અને અગાઉ સદને તેમની સંમતિથી જ આ પસાર કર્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે, વિપક્ષી નેતાઓ આજે સવારે જ મન બનાવીને આવ્યા છે કે ગમે તે થાય વિરોધ જ કરવો છે, અને તેથી જ તેઓ સરકારના દરેક પગલા અને દરેક બિલનો તર્ક વગર વિરોધ કરી રહ્યા છે.મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપવાના મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ અને અખિલેશ યાદવ વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. અમિત શાહે સ્પષ્ટપણે જણાવ્યું કે ધર્મના આધારે અનામત ગેરબંધારણીય છે અને તેનો પ્રશ્ન જ ઊભો થતો નથી, જેના જવાબમાં અખિલેશ યાદવે આ નિવેદનને અલોકતાંત્રિક ગણાવ્યું અને અડધી વસ્તી એટલે કે મહિલાઓ માટે અનામતની માંગ કરી હતી. જ્યારે અખિલેશ યાદવે મુસ્લિમ મહિલાઓના અધિકારો અંગે સવાલ કર્યો, ત્યારે અમિત શાહે વળતો પ્રહાર કરતા કહ્યું કે જો સમાજવાદી પાર્ટી બધી જ ટિકિટો મુસ્લિમ મહિલાઓને આપી દે તો અમને કોઈ વાંધો નથી.સંસદમાં જાતિ આધારિત વસતી ગણથરી મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને અખિલેશ યાદવ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. અખિલેશ યાદવે સરકાર પર વસતી ગણતરી નહીં લોકોને છેતરવાનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દે વળતો પ્રહાર કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, દેશમાં વસતી ગણતરીની પ્રક્રિયા પહેલેથી જ ચાલુ છે અને કેટલાક નિવેદનો જનતામાં ખોટી ચિંતા પેદા કરી રહ્યા છે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે સરકારે આ અંગે નિર્ણય લઈ લીધો છે અને આ વસતી ગણતરી જાતિ આધારિત વિગતો સાથે જ કરવામાં આવી રહી છે, જેથી વિપક્ષની જાતિ આધારિત વસતી ગણતરીની માંગનો સ્વીકાર પહેલેથી જ થઈ ચૂક્યો હોવાનો તેમણે સંકેત આપ્યો હતો. લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓને 33% અનામત આપવા માટે ગુરુવારે સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું. જેમાં નીચલા ગૃહમાં સભ્યોની વર્તમાન સંખ્યા 543થી વધારીને 850 કરવાનો પ્રસ્તાવ છે. આ સાથે સરકારે સીમાંકન આયોગની રચના માટે એક બિલ રજૂ કર્યું અને તેની સાથે કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ નવા વિધેયક હેઠળ લોકસભાની હાલની 543 બેઠકો વધારીને 850 સુધી કરવામાં આવી શકે છે. સીમાંકન બાદ રાજ્યોની બેઠકો 815 અને કેન્દ્રશાસિત પ્રદેશોની બેઠકો 35 થવાની શક્યતા છે. આ માટે સરકાર સીમાંકન આયોગના ગઠન અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદામાં સુધારા માટેના બિલ લાવવાની તૈયારીમાં છે.બંધારણીય સુધારા હોવાને કારણે આ બિલો પસાર કરવા માટે બે-તૃતિયાંશ બહુમતીની જરૂર પડશે. લોકસભામાં બહુમતી માટે 360 મતોની જરૂર છે, જ્યારે સત્તાધારી NDA પાસે 293 સભ્યો છે, એટલે કે તેમને વધુ 67 મતોની જરૂર પડશે. રાજ્યસભામાં 163 ના જાદુઈ આંકડા સામે NDA પાસે 142 સભ્યો છે, જ્યાં 21 સભ્યોની ઘટ છે.
