વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર, 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન ટકરાશે

0
2
વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19મી નવેમ્બરે રમાશે
વર્લ્ડકપ 2023ની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે

અમદાવાદ : ભારતમાં પાંચમી ઓક્ટોબરથી રમાનારા ICC વન ડે વર્લ્ડકપના કાર્યક્રમ અંગેની ક્રિકેટ ચાહકોની ઈંતેજારીનો અંત આવ્યો છે. ICCએ ODI વર્લ્ડકપ 2023નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ બંને ટીમો 2019 વર્લ્ડ કપની ફાઇનલમાં સામ સામે રમી હતી. આ બંને ટીમો ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. આ સાથે જ ભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નઈના મેદાન પર ઓસ્ટ્રેલિયા સાથે રમાશે. ભારત 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેદાન પર પાકિસ્તાન સામે ટકરાશે. આ વર્લ્ડકપમાં કુલ 10 ટીમો ભાગ લેશે. ટૂર્નામેન્ટ માટે આઠ ટીમો પહેલેથી જ ક્વોલિફાય થઈ ચૂકી છે અને બાકીના બે સ્થાનો પર ઝિમ્બાબ્વેમાં ક્વોલિફાયર રાઉન્ડ સાથે રમાઈ રહી છે, જેમાં છ ટીમો સુપર સિક્સમાં જગ્યા બનાવી રહી છે. આમાંથી બે ટીમ ભારતમાં યોજાનાર વર્લ્ડ કપના મેઈન રાઉન્ડમાં ભાગ લેશે. હાલમાં પ્રથમ બે વર્લ્ડકપ જીતનાર વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ વર્લ્ડ કપમાંથી બહાર થવાની અણી પર છે. શ્રીલંકા અને ઝિમ્બાબ્વેની મેઈન રાઉન્ડમાં રમવાની સૌથી વધુ તકો છે. વિશ્વકપમાં સામેલ થવાની બાકીની બે ટીમો પણ 9 જુલાઈએ નક્કી થશે. હવે વર્લ્ડકપ શરુ થવાને 100 દિવસ જ બાકી છે.આ વર્લ્ડ કપમાં તમામ ટીમો અન્ય નવ ટીમો સાથે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમશે. તેમાંથી પોઈન્ટ ટેબલમાં ટોચની ચાર ટીમો સેમિફાઈનલ માટે ક્વોલિફાય થશે અને વિજેતા ટીમો ફાઇનલમાં ટકરાશે. વનડે વર્લ્ડ કપની તમામ મેચો ભારતમાં 12 મેદાનો પર રમાશે વર્લ્ડકપ માટે આ મેદાનોને સંપૂર્ણ રીતે તૈયાર કરવાનું કામ પણ ચાલી રહ્યું છે.BCCI અને ICCએ પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. પાકિસ્તાને ચેન્નઈમાં યોજાનારી અફઘાનિસ્તાન સાથેની મેચ શિફ્ટ કરવાની માંગ કરી હતી. પાકિસ્તાન બેંગ્લોરમાં ઓસ્ટ્રેલિયા સામે રમવા પણ ઈચ્છતું ન હતું. પરંતુ આ બે મેદાનમાં જ પાકિસ્તાને અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે રમવું પડશે.આ પહેલા ગઈકાલે ICC મેન્સ વનડે વર્લ્ડ કપની ટ્રોફીનું અનાવરણ સ્પેસમાં કરવામાં આવ્યુ હતું. ટ્રોફીને જમીનથી 1,20,000 ફૂટની ઊંચાઈએ અવકાશમાં મોકલાઈ હતી અને ત્યાં તેનું અનાવરણ કરાયું હતું. બાદમાં ટ્રોફીને અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં નીચે ઉતારવામાં આવી હતી. BCCI સેક્રેટરી જય શાહે આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.ટ્રોફી ટૂરના લોન્ચિંગ પ્રસંગે ICC ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે જણાવ્યું કે, ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી ટૂર અત્યાર સુધીના સૌથી મોટા ક્રિકેટ વર્લ્ડ કપની ગણતરીમાં એક મહત્વપૂર્ણ બાબત છે. ક્રિકેટના એક અબજથી વધુ ચાહકો છે અને અમે શક્ય તેટલા વધુ લોકોને આ પ્રખ્યાત ટ્રોફીની નજીક જવાની તક આપવા માંગીએ છીએ. ટ્રોફી ટૂર ભારતમાં આજથી શરૂ થશે અને વિશ્વભરમાં પ્રવાસ કરશે ત્યારબાદ 4 સપ્ટેમ્બરે યજમાન દેશમાં ટ્રોફી પરત લાવવામાં આવશે.