આજથી PM મોદી 6 દિવસના વિદેશ પ્રવાસે, આ દેશમાં પહેલીવાર જશે, 40થી વધુ કાર્યક્રમમાં લેશે ભાગ

0
1

પીએમ મોદી જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાની છ દિવસની મુલાકાતે જઈ રહ્યા છે

શિખર સંમેલનમાં બે ડઝનથી વધુ વૈશ્વિક નેતાઓ સાથે વાતચીત કરશે, જેમાં દ્વિપક્ષીય બેઠકો પણ સામેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7, ક્વાડ ગ્રૂપ સહિત કેટલીક મોટી બહુપક્ષીય સમિટમાં હાજરી આપવા શુક્રવારે જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાની છ દિવસની મુલાકાતે જઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી 40 થી વધુ કાર્યક્રમોમાં ભાગ લઈ શકે છે. પીએમ મોદી શિખર સંમેલનમાં બે ડઝનથી વધુ વૈશ્વિક  નેતાઓ સાથે વાતચીત કરશે, જેમાં દ્વિપક્ષીય બેઠકો પણ સામેલ છે.

વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ પત્રકારોને જણાવ્યું હતું કે 19 મેના રોજ સવારે વડાપ્રધાન મોદી તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં જાપાનના શહેર હિરોશિમા જવા રવાના થશે, જ્યાં તેઓ જી-7ની વાર્ષિક સમિટમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાના આમંત્રણ પર ત્યાં જઈ રહ્યા છે. જાપાન G-7 જૂથના વર્તમાન અધ્યક્ષ તરીકે સમિટનું આયોજન કરી રહ્યું છે અને ભારતને અતિથિ દેશ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.

G-7 જૂથની બેઠકમાં આ મુદ્દાઓ પર થશે ચર્ચા 

ક્વાત્રાએ જણાવ્યું કે G-7 જૂથની બેઠકમાં પ્રાથમિકતાઓ સાથે જોડાયેલા ઘણા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. જેમાં કનેક્ટિવિટી, સુરક્ષા, પરમાણુ નિઃશસ્ત્રીકરણ, આર્થિક સુરક્ષા, પ્રાદેશિક મુદ્દાઓ, ક્લાઈમેટ ચેન્જ, ખોરાક અને આરોગ્ય અને વિકાસ ઉપરાંત ડિજિટાઈઝેશન, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.  તેમણે માહિતી આપી હતી કે ભારત ત્રણ ઔપચારિક સત્રોમાં ભાગ લેશે, જેમાં પ્રથમ બે સત્ર 20 મેના રોજ અને ત્રીજું સત્ર 21 મેના રોજ યોજાશે. પ્રથમ બે સત્રોની થીમ ખોરાક અને આરોગ્ય અને લિંગ સમાનતા અને ક્લાઈમેટ ચેન્જ તથા પર્યાવરણ હશે. સાથે જ ત્રીજા સત્રમાં શાંતિપૂર્ણ, ટકાઉ અને પ્રગતિશીલ વિશ્વ જેવા વિષયો સામેલ કરવામાં આવ્યા છે.

જાપાનમાં ક્વાડની બેઠક યોજાવાની શક્યતા 

ક્વાત્રાએ કહ્યું કે આ અઠવાડિયે જાપાનના હિરોશિમામાં ક્વાડ ગ્રૂપના નેતાઓની બેઠક યોજાય તેવી શક્યતા છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકી પ્રમુખ જો બાઈડેન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝ ભાગ લેશે. જોકે અમેરિકામાં આર્થિક સંકટના ઉકેલ માટે બાઈડેને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ મોકૂફ રાખ્યા બાદ સિડનીમાં પ્રસ્તાવિત ક્વાડ દેશોના નેતાઓની બેઠક રદ કરવામાં આવી છે.

ક્વાડના ચારેય નેતૃત્વકાર એકઠા થવાના છે 

વિદેશ સચિવે કહ્યું કે સિડનીમાં કયા કારણોથી નિર્ધારિત બેઠક યોજવામાં આવી નથી તે તમે બધા જાણો છો અને હિરોશિમામાં ચાર નેતાઓની હાજરીનો લાભ લઈને ત્યાં આ બેઠક યોજવાની યોજના છે. ક્વાત્રાએ જણાવ્યું હતું કે અગાઉની બેઠકમાં સહમત થયેલા સહકાર, સહયોગ વગેરે સંબંધિત કાર્યસૂચિના આધારે જૂથમાં વધુ ચર્ચાઓ કરવામાં આવી શકે છે. આમાં આર્થિક મુદ્દાઓ, શિપિંગ, વિકાસ, ઈન્ડો-પેસિફિક વગેરે પર સહકાર કેવી રીતે વધારવો તેના પર ચર્ચા થઈ શકે છે.

જાપાનના પીએમ સાથે દ્વિપક્ષીય બેઠકની શક્યતા 

વિદેશ સચિવે માહિતી આપી હતી કે વડાપ્રધાન મોદી જી-7 સમિટની બાજુમાં જાપાનના વડાપ્રધાન અને કેટલાક અન્ય દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. તેમણે કહ્યું કે જાપાનના વડાપ્રધાન કિશિદા સાથે વડાપ્રધાન મોદીની દ્વિપક્ષીય વાતચીતમાં આર્થિક બાબતો સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે. હિરોશિમામાં વડાપ્રધાન મોદી મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. ક્વાત્રાએ માહિતી આપી હતી કે વડા પ્રધાન મોદી જાપાનથી પોર્ટ મોરેસ્બી જશે, જ્યાં તેઓ 22 મેના રોજ પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાન જેમ્સ મરાપે સાથે ફોરમ ફોર ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ્સ કો-ઓપરેશન (FIPIC)ની 3જી સમિટનું સંયુક્ત આયોજન કરશે. 

પહેલીવાર મુલાકાત લેશે પાપુઆ ન્યૂ ગિનીની  

નોંધનીય છે કે કોઈ ભારતીય વડાપ્રધાનની પાપુઆ ન્યુ ગિનીની આ પ્રથમ મુલાકાત હશે. 2014 માં સ્થપાયેલ FIPIC જેમાં ભારત અને 14 પેસિફિક ટાપુ દેશોનો સમાવેશ થાય છે. તેમાં ફિજી, પાપુઆ ન્યુ ગિની, ટોંગા, તુવાલુ, કિરીબાતી, સમોઆ, વનુઆતુ, નિયુ, ફેડરેટેડ સ્ટેટ્સ ઓફ માઇક્રોનેશિયા, રિપબ્લિક ઓફ માર્શલ આઇલેન્ડ્સ, કૂક આઇલેન્ડ્સ, પલાઉ, નૌરુ અને સોલોમન ટાપુઓ સામેલ છે. 

પાપુઆ ન્યૂ ગિનીમાં પણ દ્વિપક્ષીય બેઠક કરશે 

ક્વાત્રાએ કહ્યું કે મોરેસ્બીમાં વડાપ્રધાન મોદી પાપુઆ ન્યુ ગિનીના નેતૃત્વ સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે. ઉપરાંત, તેઓ ફિજીના વડાપ્રધાન રોબુકાને પણ મળવાના છે. વિદેશ સચિવે માહિતી આપી હતી કે તેમની મુલાકાતના ત્રીજા અને અંતિમ તબક્કામાં મોદી ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે 22 થી 24 મે દરમિયાન સિડની જશે.

ઓસ્ટ્રેલિયાનો આ છે કાર્યક્રમ 

તેમણે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મોદી 24 મેના રોજ વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયન કંપનીઓના સીઈઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરશે અને 23 મેના રોજ સિડનીમાં એક સામુદાયિક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. ખાલિસ્તાન સાથે જોડાયેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ભારત આ સંવેદનશીલ મુદ્દાને ઓસ્ટ્રેલિયા સાથે ઉઠાવતું રહ્યું છે અને આ અંગે વાતચીત ચાલી રહી છે.