ધારાસભ્ય ઝાલાવડિયાના પુત્ર વિરૂદ્ધ દાખલ કરાયેલ ફરિયાદ

0
24

અસભ્ય વર્તન કરી ગાળો અને ધમકી આપતા વેપારીએ ફરિયાદ કરી : પોલીસે સમગ્ર મામલામાં તપાસ શરૂ કરી
અમદાવાદ, તા.૮
સુરતના કામરેજના ભાજપના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયાના પુત્ર શરદ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટને લઈને ધમકી આપવામાં આવી હોવાની સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધાવનાર વેપારીએ ધારાસભ્ય દ્વારા ધમકી આપ્યાનું રેર્કોડિંગ પણ પોલીસને આપ્યું હતું. આ સમગ્ર મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, પાસોદ્રા ગામ ખાતે રહેતા વેપારી રાજેન્દ્રભાઈ લવાભાઈ સવાણીએ ગત તા.૨ ઓગસ્ટના રોજ ફેસબૂકમાં શાળાને લગતી પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, જે શાળાની મુલાકાત લીધી તેની હાલત જોઈ અને જોઈ તો કેટલા સમયમાં નિકાલ આવશે? રાજેન્દ્રભાઈનો આ લખાણ કરવા પાછળનો હેતુ એ હતો કે, સરકારી શાળાની સમસ્યાનો નિકાલ થાય તેવો હતો અને આ પોસ્ટ કોઈ વ્યક્તિને ઉદેશીને કરી ન હતી. પરંતુ બાદમાં તા.૩ ઓગસ્ટના રોજ કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયાના દીકરા શરદ ઝાલાવડીયા સાથે ફોનમાં વાતચીત થઈ હતી. જેમાં શરદ ફેસબૂક પોસ્ટ અંગે એલફેલ બોલવા લાગ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારા ખોટા કામમાં કોઈ સાથ સહકાર ન આપે અને તમારા જે આકા હોય તેને કહી દેજો કે માપમાં રહે. અને ગાળા ગાળી કરી અસભ્ય વર્તન કર્યું હતું. જેથી ગાળો ન આપવા જણાવતા ધમકી આપી હતી કે, હવે ધારાસભ્ય વિરુદ્ધ પોસ્ટ મૂકી તો, જોવો પછી ખબર પડશે. રાજેન્દ્રભાઈને આપવામાં આવેલી ધમકીના કારણે સરથાણા પોલીસ સ્ટેશનમાં ધારાસભ્યના પુત્ર શરદ ઝાલાવડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પુત્ર વિરુદ્ધ થયેલી ફરિયાદ અંગે ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયાએ જણાવ્યું હતું કે, પહેલાં પોસ્ટ કરીને ઉશ્કેરણી કરવામાં આવી છે અને અગાઉ માફી માંગી પોસ્ટ ન કરવા અંગે જણાવ્યું હતું. જા કે, બે દિવસ બાદ ફરી પોસ્ટ કરવા લાગ્યો હતો. જે બાબતે તમામ પુરાવાઓ પોલીસને આપવામાં આવ્યા છે અને ફરિયાદીના પણ અનેક ખોટા કામો બહાર આવશે. માર્ચ-૨૦૧૮માં ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાના પુત્ર શરદ ઝાલાવડીયા સામે સરથાણા પોલીસ મથકમાં જાનથી મારી નાખવા અંગેની ફરિયાદ દાખલ થઈ હતી. ફરિયાદમાં ધારાસભ્યના પુત્ર શરદ ઝાલાવડીયા અને તેના મિત્ર શૈલેષ મેર દ્વારા તેમને આ ધમકી આપવામાં આવી હતી. ફરિયાદી અલ્પેશ ડોંડાએ તેમની સોસાયટીમાંથી રેતી ભરેલી ટ્રકો બન્ને આરોપીના કહેવા મુજબ લઈ જવામાં આવી રહી હતી.મોડી રાત્રે સોસાયટીમાંથી રેતીની ટ્રકો પસાર થવાના કારણે લોકોને હેરાનગતિ થતી હોય લલિતે બંનેને ટકોર કરી હતી. તાપી નદીમાંથી રેતી લાવવામાં આવી રહી હોય તે અંગે પણ પુછપરછ કરી હતી. જેથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ, શરદ વારેઘડીયે એક પછી એક વિવાદમાં આવતો રહેતો હોઇ રાજકીય વર્તુળમાં પણ ભારે ચર્ચા ચાલી છે.