
ભારત અને ફ્રાન્સે સોમવારે 26 રાફેલ મરીન એરક્રાફ્ટની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. ભારત વતી સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે આ કરાર પર હસ્તાક્ષર કર્યા. ડીલ અંતર્ગત ભારત ફ્રાન્સ પાસેથી 22 સિંગલ સીટર એરક્રાફ્ટ અને 4 ડબલ સીટર એરક્રાફ્ટ ખરીદશે.રાફેલ મરીન પહેલાં ભારતે ફ્રાન્સ પાસેથી વાયુસેના માટે 36 રાફેલ જેટ પણ ખરીદ્યાં છે. 2016માં થયેલી આ ડીલનાં તમામ વિમાનો 2022માં ભારત પહોંચ્યાં હતાં. આ વિમાનો વાયુસેનાના અંબાલા અને હાશિનારા એરબેઝ પરથી સંચાલિત થાય છે. આ સોદો 58,000 કરોડ રૂપિયામાં થયો હતો. રાફેલ મરીન વિમાનની વિશેષતાઓ વાયુસેનાનાં રાફેલ વિમાન કરતાં વધુ અદ્યતન છે.આ વિમાનો પરમાણુ બોમ્બ ફાયર કરવાની ક્ષમતાથી સજ્જ હશે. અહેવાલો અનુસાર, ફ્રાન્સ સાથે 63,000 કરોડ રૂપિયામાં આ ડીલ થઈ છે. શસ્ત્ર ખરીદીના સંદર્ભમાં ફ્રાન્સ સાથે ભારતની આ અત્યારસુધીની સૌથી મોટી ડીલ છે.23 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS)ની બેઠકમાં વિમાનની ખરીદીને મંજૂરી આપવામાં આવી હતી. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આ બેઠક બોલાવવામાં આવી હતી.ભારત INS વિક્રાંત પર રાફેલ મરીન વિમાન તહેનાત કરશે. વિમાન ઉત્પાદક કંપની દસોલ્ટ એવિએશને ભારતની જરૂરિયાતો અનુસાર આ વિમાનોમાં ઘણા ફેરફારો કર્યા છે. એમાં એન્ટી-શિપ સ્ટ્રાઈક, પરમાણુ શસ્ત્રો લોન્ચ કરવાની ક્ષમતા અને 10 કલાક સુધી ફ્લાઇટ રેકોર્ડિંગ જેવી સુવિધાઓ સામેલ છે. આ ઉપરાંત કંપની ભારતને હથિયાર પ્રણાલી, સ્પેરપાર્ટ્સ અને વિમાન માટે જરૂરી સાધનો પણ પૂરાં પાડશે.અહેવાલો અનુસાર, આ વિમાનોની ડિલિવરી 2028-29માં શરૂ થશે અને બધાં વિમાન 2031-32 સુધીમાં ભારત પહોંચી જશે.