
અમરેલી જિલ્લાના ખેડૂતો માટે મુખ્ય આજીવિકાનો સ્ત્રોત ગણાતો મગફળીનો પાક આ વર્ષે ભારે વરસાદના કારણે મોટા નુકસાનનો સામનો કરી રહ્યો છે. ખાસ કરીને સાવરકુંડલા તાલુકાના ગોરડકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદ પડતાં ખેડૂતોની ચિંતા વધી છે. નવરાત્રી દરમિયાન પડેલા આ વરસાદે પાકને સો ટકા જેટલું નુકસાન પહોંચાડ્યું છે, જે ખેડૂતો માટે આર્થિક આંચકો બન્યો છે.ગોરડકા ગામના ખેડૂત મેરૂભાઈ વનરાએ જણાવ્યું કે, તેમણે 20 વીઘામાં મગફળીનું આગોતરું વાવેતર કર્યું હતું. પાક હાથમાં આવવાનો સમય આવ્યો હતો, પરંતુ અચાનક પડેલા વરસાદે પાકમાં પુનઃ અંકુરણ શરૂ કર્યું. મગફળીના દાણા ફાટી જમીનમાં વધવા લાગ્યા, જેના કારણે કોળિયા તોડી નાખાયા. આથી પાકની ગુણવત્તા ખરાબ થઈ, અને ખેડૂતોને આવક તો દૂર, ખેતરનો ખર્ચ પણ વસૂલ નહીં થાય. અવિરત વરસાદથી પાથરા ભીંજાઈ ગયા, અને તેમાં ફૂગ લાગવાની શરૂઆત થઈ, જે વેપારીઓના ભાવ પર અસર કરશે.સાવરકુંડલા ઉપરાંત ધારી, બગસરા, ખાંભા અને રાજુલા તાલુકામાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે. આ ખેડૂતો આગોતરું વાવેતર કરી વધુ ઉપજ અને સારા ભાવની અપેક્ષા રાખતા હતા, પરંતુ વરસાદે તેમના પાકને નષ્ટ કર્યો. ખેડૂતોનું કહેવું છે કે પાકને બચાવવો અશક્ય બન્યો છે, અને નુકસાન 100 ટકા છે. આ પરિસ્થિતિએ ખેડૂતોને નાણાકીય અને માનસિક તકલીફ આપી છે.


