
સૌથી ખુંખાર માડવી હિડમા સહિત અનેક માઓવાદી કમાન્ડરો તાજેતરમાં માર્યા ગયા છે અને માઓવાદ વિરોધી ઓપરેશન ઝડપી બનાવાઇ રહ્યું છે. એવામાં માઓવાદ પ્રભાવિત છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. જેમાં ૧૨ માઓવાદીઓ કે નક્સલીઓ માર્યા ગયા હતા જ્યારે ત્રણ જવાનોના પણ મોત નિપજ્યા છે અને બે ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે.
હાલમાં છત્તીસગઢમાં સીઆરપીએફના કોબરા કમાન્ડો, પોલીસના બે યુનિટ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને ડીઆરજી દ્વારા મોટાપાયે નક્સવાદ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા જ એક ઓપરેશન માટે ટુકડી બીજાપુર પહોંચી હતી, આ દરમિયાન નક્સલીઓ અને સુરક્ષાદળોના જવાનો બન્ને સામસામે આવી ગયા હતા અને ભારે ગોળીબાર કરાયો હતો. આ દરમિયાન નક્સલીઓ પર સુરક્ષાજવાનો ભારે પડયા હતા અને ૧૨ નક્સલીઓને ઠાર માર્યા હતા. જોકે આ દરમિયાન કેટલાક જવાનો ઘાયલ થયા હતા જેમાંથી ત્રણ જવાનોએ જીવ ગૂમાવ્યો છે. જ્યારે અન્યોની સારવાર ચાલી રહી છે. સુરક્ષાદળોએ જણાવ્યું હતું કેએન્કાઉન્ટર સ્થળેથી અત્યાર સુધીમાં ૧૨ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. જોકે આ નક્સલીઓમાં કોણ કોણ સામેલ છે તેની વિગતો હજુ મેળવવામાં આવી રહી છે. જે પણ જવાનો માર્યા ગયા છે તેઓ દંતેવાડા અને બીજાપુરમાં તૈનાત હોવાનું સામે આવ્યું છે તેમના નામ હેડ કોન્સ્ટેબલ મોનુ વડાડી, કોન્સ્ટેબલ ડુકારુ ગોંડે અને જવાન રમેશ સોઢીનો સમાવેશ થાય છે.


