
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના અંતિમ તબક્કામાં શહેરમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને અમુક વોર્ડોમાં આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપક્ષીય જંગ વચ્ચે હવે પ્રચારનો છેલ્લો દાવ જોરશોરથી રમાઈ રહ્યો છે.ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં એક સાથે બાઈક રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે યોજાયેલી આ રેલીઓ દ્વારા કાર્યકર્તાઓમાં જુસ્સો વધારવાનો અને વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.રેલીઓ પૂર્ણ થયા બાદ ભાજપ દ્વારા વિવિધ વિસ્તારોમાં કાર્યકર્તા સમ્મેલનો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમો દ્વારા કાર્યકર્તાઓને પ્રેરણા આપવી અને ચૂંટણી પૂર્વે સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભાજપની આક્રમક રેલી પોલિટિક્સ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ સમાજના સમ્મેલનો અને બેઠકો યોજી પ્રચાર આગળ વધારવામાં આવ્યો હતો. વિશેષ કરીને જાતિ અને સમાજ આધારિત મતદારોને ધ્યાનમાં રાખીને પ્રચારની વ્યૂહરચના અપનાવવામાં આવી હતી. ચૂંટણીના અંતિમ તબક્કામાં હવે તમામ પક્ષો દ્વારા ડોર-ટુ-ડોર સંપર્ક પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઘરેઘરે જઈને મતદારોને મનાવવાના પ્રયાસો તેજ બન્યા છે. જામનગરમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપક્ષીય મુકાબલો વધુ રસપ્રદ બની રહ્યો છે. એક તરફ ભાજપ રેલી અને શક્તિ પ્રદર્શન પર ભાર મૂકી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસ અને ‘આપ’ સીધા મતદારો સુધી પહોંચવાનો રસ્તો અપનાવી રહ્યા છે. પ્રચારના અંતિમ દિવસોમાં શહેરમાં રાજકીય ચહલપહલ તેજ બની છે. હવે જોવાનું રહ્યું કે રેલીઓ, સમ્મેલનો અને ડોર-ટુ-ડોર સંપર્કમાંથી કઈ વ્યૂહરચના મતદારોને વધુ અસર કરે છે.
