સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- શ્રાવણી સત્સંગ.
મિત્રો- શુભ સવાર.
આજે 20 ઓગસ્ટ, એટલે કે સદભાવના દિવસ! ચાલો શિવ પાસેથી સદભાવના શીખીએ!
હે દેવોના દેવ મહાદેવ.
સૌનાં હ્રદયમાં કરુણા રૂપે રહેલાં આપનાં સૌમિત્રી સ્વરૂપને મારાં સાષ્ટાંગ પ્રેમ પ્રણામ.આજે 20 ઓગસ્ટ એટલે સદભાવના દિવસ, અને બીજું સદભાવના એ જ જાણે જન્મ લીધો હોય એવાં પપ્પાની પુણ્ય તિથિ,પપ્પાની વિદાયને છ વર્ષ પૂરાં થયાં! પણ 20 ઓગસ્ટ આવતાં જ જીવન કિતાબનાં એ પાનાઓનો ફફડાટ એવો તીવ્ર થાય છે, કે અતીતમાં ગયાં વગર રહેવાતું નથી. એમની એક એક શીખ સંસ્કાર આજ સુધી જીવન અજવાળી રહ્યાં છે. પપ્પાએ સ્વકેન્દ્રી નહીં પણ સ્નેહ કેન્દ્રી બનવાની શીખ આપી છે. એ હવે નથી એ વિચારે ક્યારેક ક્રોધ આવે, દુઃખ થાય,અને નિરાશા ઘેરી વળે, એમ માનવ સહજ લાગણીઓ ક્ષણિક થાય. પણ અંતે તો સદગુરુ કૃપાથી સુખ દુઃખની લાગણીઓ ભગવાન શંકરની જટામાં સમાઈ જાય,અને હૃદયસ્થ સત્ય, પ્રેમ, કરુણાનાં ભાવમાં કોઈ ફેર પડે નહીં. જોકે અમારી માટે તો એ જ શંકર હતાં, આબેહૂબ ગૌર વર્ણ, તેજસ્વી કપાળ, અને સમાજ સંસારને સમ રાખવાં કેટલુય વિષ પીધું! અને સંસારી હોવા છતાં નિત્ય સંન્યાસી જેમ જીવ્યા! અમે તો માત્ર એણે ચીંધેલા પરમાર્થનાં માર્ગ પર પા પા પગલી કરીએ છીએ. આમતો ચિંતનની ધારામાં નીજી પરિવાર વિશે લખવું ઉચિત નથી, પણ પૂરાં શ્રાવણ મહિનાની તપશ્ચર્યા બાદ આ દુનિયામાંથી પપ્પાએ વિદાય લીધી, અને પૂર્ણ શિવભક્ત હતાં. ગાંધીજીના અગિયાર મહાવ્રતનાં વ્રતી, નામ તનસુખ પણ શરીર તદ્દન સુકલકડી હતું, છતાં દ્રઢ નિશ્ચયી અને સકારાત્મક મનોબળ વાળાં પૂર્ણ વિરક્તિ સંન્યાસી, શબ્દો મળે નહીં એટલું ઉદાર અને પ્યારું વ્યક્તિત્વ હતું. પપ્પા એ પરોપકારના પંથે દોરતાં કહ્યું કે, કોઈ વસ્તુ લેવાથી ખુશી મળી શકે, પરંતુ આનંદ તો આપવાથી જ મળે! અને એ વાત એણે જીવન પર્યંત એવું જીવીને સાબિત કરી, એમ કહો કે જીવ શિવ ની સમ્યકતા એમનામાં હતી. તો શ્રાવણ ચાલે છે, એટલે શિવ કંઈ રીતે થવાય એ જરા જોઈએ.
ભગવાન શંકર કરુણા અવતાર છે, અને એમનો મૂળ સ્વભાવ કરુણા છે, તો આજે આ વાતને જુદી રીતે સમજીએ. એટલે કે શું શંકર અને શિવ બંને એક છે? એવો કોઈ પ્રશ્ન થાય તો આપણો જવાબ શું હોઈ શકે! ભારતીય અધ્યાત્મ પ્રમાણે શંકર અને શિવ બંને એક નથી, પરંતુ જીવની શંકર જેવી એક સ્થિતનું નામ શિવ છે. શિવ એટલે અધ્યાત્મની પૂર્ણ પરાકાષ્ઠાની સ્થિતિ, કે જ્યાં જીવ જ શિવ તત્વમાં ફેરવાઈ જાય છે. આ લખવું અને કહેવું એ જેટલું સહેલું છે, એટલું કરવું બહુ અઘરું છે. જીવ પૂર્ણ પણે સંસારી અને ભોગી છે, જ્યારે જીવને ભગવાન શંકરની સ્થિતિએ લઈ જવાનો છે, એટલે કે એનાં સ્વભાવને આત્મસાત કરવાનો છે. ભગવાન શંકર ત્રિગુણાવતીત છે, એટલે અહીં સત્વ રજસ અને તમસની બાદબાકી હોય, એવો સ્વભાવ બનાવવાનો છે, આ ઉપરાંત વિષમ પરિસ્થિતિઓનું વિષ પી ને પણ પ્રસન્ન રહેવાનું છે. વૈરાગ્યની વૃતિને કેળવીને, સ્મશાનમાં રહેવાનું છે, એટલે કે નિત્ય મૃત્યુનું સ્મરણ કરી, મૃત્યુ શાશ્વત સત્ય છે, એને સહજ બનાવવાનું છે. અઘરું છે પરંતુ અશક્ય નથી. કારણ કે ભગવાન શંકર સંસારી છે, અને એણે સંસારી હોવા છતાં સંન્યાસીના ધર્મને સહજ રીતે નિભાવ્યો છે.
પરિવારથી જ દરેકનું પરિસર બનતું હોય છે, તો એ રીતે વિચારીને ભગવાન શંકરનાં પરિવારની વાત કરીએ તો, માતા સતી એટલે કે બુદ્ધિ, તો બુદ્ધિમાં જ્યારે શંકા કે સંશયનો પ્રવેશ થાય, ત્યારે એનો પણ ત્યાગ કરવો! પાર્વતી એટલે શ્રદ્ધા! તો એને પ્રેમ માન સન્માન આપવું, એટલે કે શ્રદ્ધાની પુષ્ટિ કરવી. ગણેશ એટલે પરિપક્વ વિવેક પણ જ્યારે વિવેકનાં નામ પર બગાવત કરે તો એને પણ અહંકાર મુક્ત કરવા એનો છેદ કરવો. કાર્તિકેય એટલે શૂરવીરતા,પણ આપણાં બળ પર અહમ આવે ત્યારે એને નાથવું બહુ જરૂરી છે. ભગવાન શંકરનું વાહન નંદી એટલે કે ધર્મનાં વાહન પર બેસીને જીવન વિચરણ કરવું! અને સદા માનવતાનો ધર્મ પ્રેરિત થાય એવો વ્યવહાર કરવો.
હવે કરુણાનો મૂળ ભાવ એટલે કે આપવાની વૃત્તિ! આપણી માટે આમ તો આપવા માટે કંઈ એવું છે નહીં! છતાં ઈશ્વરે થોડું ઘણું કંઈ આપ્યું હોય, તો સામેવાળાના ગુણ દુર્ગુણ જોયા વગર એની જરૂરિયાતને મહત્વ આપી એને આપવું એ શંકરનો પહેલો સ્વભાવ છે. સમગ્ર સૃષ્ટિના હિતનું તો આપણે કેટલું વિચારી શકીએ! આપણા વિચારની પણ એક મર્યાદા છે! પરંતુ છતાં સમસ્ત સૃષ્ટિના હિત માટે સતત પ્રયત્નશીલ રહેવું, જેમકે પ્રકૃતિ સંવર્ધન વિશે વિચારવું! સામાન્ય રીતે દ્રષ્ટિથી જે દેખાતું હોય એ જ સત્ય નથી, એવી સમજણ કેળવવી, અને અન્ય સાથેનો વ્યવહાર સુમધુર રાખવો એ ત્રિનેત્રીનું મૂળ લક્ષણ છે, એટલે કે સમજણનું ત્રીજું નેત્ર અભ્યાસથી ખોલવું. વૈરાગ્ય પરિપક્વ થાય એ માટે સત્ય પ્રેમ ને કરુણાનું ત્રિપુંડ કરવું! આપણે સ્થૂળ રીતે તો મહાદેવના ઉપાસક છીએ એમ દર્શાવવા આવું કરતા હોઈએ છીએ, પણ સુક્ષ્મ રીતે એ સ્થિતિ તરફ જોતા પણ નથી. ગંગાને જટામાં સમાવી એટલે કે સાંસારિક વૃત્તિઓમાં પવિત્રતા રાખવી. ભાલમાં બીજનો ચંદ્ર એટલે કલા કે વિદ્યાની પ્રગતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરી તેને પૂર્ણતા બક્ષવી. સામાજિક નિંદા ઈર્ષા કે અન્યના અન્ય પ્રકારના દૂષિત ભાવને બહાર જ રોકી દેવા અંદર પ્રવેશે નહીં, તેનું સતત ધ્યાન રાખવા સર્પનો શણગાર કર્યો. ડમરું નો નાદ પોતે શંકર છે, એને અન્યથી કોઈ લેવાદેવા નથી, એવી મસ્તીમાં રાખવા માટે છે. ત્રિશૂલ એટલે કે ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળનું મુખ્ય શૂળ, ભોગની લાલસા, એને નાથવા માટે. વાધ ચર્મ પર આસન એટલે હિંસક વૃત્તિની સમાપ્તિ,ને અહિંસાનું આચરણ.
તો ભારતીય અધ્યાત્મદર્શનમાં જીવનું શિવ થવું એ શક્ય બતાવ્યું છે, અને જે ઈશ્વર નામે અધ્યાર તત્વ છે, એને આપણી અંદર જ મહેસુસ કરવાનું છે, અને એટલે જ અહમ બ્રહ્માસ્મીની વાત પણ આવી. આ સૂત્ર એક ખુમારી દર્શાવે છે, નહીં કે અહમ! પરંતુ આપણે એવી સ્થિતિ અર્જિત કર્યા વગર અહમ બ્રહ્માસ્મી થઈ, અને સમાજમાં આતંક ફેલાવીએ છીએ, જેને કારણે સામાજિક અશાંતિ છે. શિવ તત્વની પ્રાપ્તિ કે અનુભૂતિ એ અંતરને પ્રકાશિત કરનારી છે, અને એ ઈશ્વરમાં ઓતપ્રોત થઈ જતી એક એવી સ્થિતિ છે, કે જ્યાં દર્શન માત્રથી પવિત્રતાનો અનુભવ થાય,અને સર્વનાં કલ્યાણ માટેનો વિચાર આવે! આ ઉપરાંત જ્યાં સંસારમાં પણ સહજતાથી સંન્યાસ નિભાવી શકાય છે! અને સંન્યાસ એટલે વૃત્તિનો પરમ વૈરાગ્ય, સંન્યાસ એટલે જ્યાં મારું મારું સમાપ્ત, સંન્યાસ એટલે ગુણ દુર્ગુણની સમાપ્તિ, એટલેકે સર્વનો સ્વીકાર! બુદ્ધિની અનુગામી કક્ષા કે જ્યાં સરળ શ્રદ્ધાનું સ્થાપન, પરિપક્વ વિવેક,અને સંસ્કૃતિનાં રક્ષણ માટેની શૂરવીરતા હોય! તો શિવ, શંકર બંને ભિન્ન હોવા છતાં આપણે એ સ્થિતિ નિર્માણ કરીને શિવત્વ પ્રાપ્ત કરી શકીએ છીએ! આપણી સંસ્કૃતિ જ છે, કે જ્યાં માનવી પણ ઈશ્વરની ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકે છે! તો શિવત્વનાં આવાં ઉમદા વિચારોનાં પાયા પર ઉભેલી આપણી મહાન સંસ્કૃતિને આત્મસાત કરી જીવન ધન્ય બનાવીએ. બોલો ઓમ નમઃ શિવાય.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
