નર્મદા ડેમમાં સંગ્રહશક્ત પૈકીનું ૬૭.૮૯ ટકા પાણી

0
29

અમદાવાદ,તા.૭
ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૭ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૬૨.૯૧ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૭ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૧૦ જળાશયો છલકાયા છે. ૮ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૮ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૬૭.૮૯ ટકા ભરાયું છે. અત્યારસુધીમાં રાજયમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૯૦.૨૦ ટકા વરસાદ થયો છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે. રાજ્યમાં હાલમાં ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૪૮,૬૯૯, ઉકાઇમાં ૭૧,૭૧૧, દમણગંગામાં ૩૮,૨૧૦, કડાણામાં ૭,૭૭૦, કરજણમાં ૭,૦૨૯, ઝૂજમાં ૧,૨૪૩, વેર-૨માં ૧,૧૯૪, વાણાકબોરીમાં ૧,૧૦૦ અને કેલિયામાં ૧,૦૩૭ ક્યુસેકનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૬.૪૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૫૩.૪૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૧.૯૮ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૫૮ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૨૦.૨૮ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૪૨.૦૬ ટકા એટલે ૨,૩૪,૧૪૩.૩૯ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.